- યજમાનો દ્વારા 1008 શિલાઓનું પૂજન કરાશે: ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શિલાપૂજન સમારોહ યોજાશે
આવતીકાલનો દિવસ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ માટે ઐતિહાસિક અને અવિસ્મરણીય આવતીકાલનો દિવસ કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 8 વર્ષ પૂર્ણ થઈને નવમા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આ પાવન દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા વધુ એક ઐતિહાસિક ઘડીની ઉજવણી કરવામાં આવશે.કાલે મંગળવારના રોજ શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાત (સંડેર)ના 1008 શિલાપૂજન સમારોહનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા પાટણ જિલ્લાના સંડેર ગામ પાસે વિશાળ જગ્યામાં શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાતના સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ સંકુલનો ભવ્યાતિભવ્ય શિલાપૂજન સમારોહ યોજાશે. કાલે મંગળવારના રોજ સવારે 7 વાગ્યાથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં 1008 યજમાન પરિવારો દ્વારા 1008 શિલાઓનું પૂજન કરવામાં આવશે. હિંદુ શાસ્ત્રોક્ત વિધિથી શાસ્ત્રી મહેતા પ્રદ્યુમ્ન પ્રહલાદજી (લાલાભાઈ) દ્વારા શિલાપૂજન વિધિ કરાવવામાં આવશે. શિલાપૂજન વિધિમાં ઉપયોગમાં લેવાયેલ માતાજીની પ્રતિમા, બાજોઠ, પૂજાની થાળી, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, નાડાછડી, સોપારી, આચમની અને આસન સહિતની વસ્તુઓ યજમાન પરિવારને ભેટ સ્વરૂપે આપવામાં આવશે જેથી તેઓ આજીવન આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાની યાદગીરી રાખીને ધન્યતા અનુભવી શકે.
આ શિલાપૂજન સમારોહમાં ઠેર-ઠેરથી ભાવિકો પધારશે. જેના માટે ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. શિલાપૂજન સમારોહમાં પધારનાર ટ્રસ્ટીઓ, દાતાઓ, સંગઠન ટીમ, યજમાનઓ, તેમના પરિવારજનો, ભાવિકો સહિતના તમામ લોકો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. સાથે જ કાર્યક્રમ પૂર્ણ થયે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
નોતરા આપવા માઁ ખોડલના રથનું 28 દિવસ પરિભ્રમણ
શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાત (સંડેર)ના 1008 શિલાપૂજન સમારોહનું રૂબરૂ આમંત્રણ આપવા માટે મા ખોડલનો રથ ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ફર્યો હતો. તારીખ 15 ડિસેમ્બરના રોજ અરવલ્લી જિલ્લાના ભુડાસણ ગામે રથ પરિભ્રમણનો પ્રારંભ થયો હતો અને 12 જાન્યુઆરીના રોજ મહેસાણા જિલ્લાના ફિંચડી ગામે રથ પરિભ્રમણનું સમાપન થયું હતું. આમ કુલ 28 દિવસમાં મા ખોડલનો રથ 250થી વધુ ગામડા અને શહેરી વિસ્તારમાં 3 હજારથી વધુ કિલોમીટર ફર્યો હતો. ગામડે ગામડે અને સોસાયટી સોસાયટીમાં મા ખોડલના રથના સૌએ વધામણા કર્યા હતા અને આરતી કરી હતી. સાથે જ દરેક ગામમાંથી એક-એક શિલા લેવામાં આવી હતી. આ શિલાનો ઉપયોગ શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાત (સંડેર) સંકુલના નિર્માણ કાર્યમાં કરવામાં આવશે.