Abtak Media Google News

વર્ષ ૨૦૨૧-૨૦૨૨નો એડવાન્સ ટેક્સ ભરનાર પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે હાલ કોર્પોરેશન દ્રારા વળતર યોજના ચાલી રહી છે. જેની મુદત આગામી ૩૦ જૂનના રોજ પૂર્ણ થઈ રહી છે ત્યારે મિલ્કતધારકોને વેરા વળતર યોજનાનો લાભ લેવા મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે.

૧.૫૮ લાખ મિલ્કતધારકોએ વળતર યોજનાનો લાભ લેતા કોર્પોરેશનની તિજોરીમાં ૫૭ કરોડ ઠાલવ્યાં:કરદાતાઓએ વેરો ભરવા પદાધિકારીઓની અપીલ

તેઓએ ઉમેર્યું છે કે, સને ૨૦૨૧-૨૨ના વર્ષમાં તા.૩૦ જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને તા.૩૧ જુલાઈ સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૫% અને મહિલા મિલ્કત ધારકને ૧૦% વળતર આપવાનું મંજુર કરાયુ છે. આ બંને યોજનામાં ઓનલાઈન મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને વિશેષ ૧% વળતર આપવામાં આવશે.

ચાલુ વર્ષમાં આજ સુધીમાં રૂ.૧.૫૮ લાખ લોકોએ વળતર યોજનામાં લાભ લીધેલ છે. જેમાં રૂ.૨.૭૦ કરોડ રોકડ, રૂ.૧૨.૮૭ કરોડ ચેક દ્વારા અને રૂ.૪૧.૨૬ કરોડ ઓનલાઈન દ્વારા ભરવામાં આવેલ છે.

મિલ્કત વેરાની યોજનાનો વધુ ને વધુ લોકોએ લાભ લેવા પદાધિકારીઓએ અપીલ કરી છે.કરદાતાઓ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, તમામ સિટી સિવિક સેન્ટર, તમામ ૧૮ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક ખાતે અને ઓનલાઈન મિલ્કત વેરો ભરપાઈ કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.