Abtak Media Google News

વરસાદ ખેંચાશે તો પાક તો ઠીક પીવાના પાણીના પણ સાસા પડશે

56 ડેમમાં પીવાનું પાણી 30 સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખીને બાકીનું પાણી ખેડૂતોનો ઊભો પાક બચાવવા સિંચાઈ માટે આપવાનો નિર્ણય

અબતક, ગાંધીનગર : રાજ્યમાં જો વરસાદ હજુ ખેંચાશે તો સિંચાઈ માટેના તો ઠીક પણ પીવાના પાણીના પણ સાસા પડી જશે. ત્યારે આ જળ સંકટને ખાળવા માટે સરકાર હરકતમાં આવી છે. સરકારે પણ 56 ડેમમાં પીવાનું પાણી 30 સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખીને બાકીનું પાણી ખેડૂતોનો ઊભો પાક બચાવવા સિંચાઈ માટે આપવાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત ગુજરાતની જીવાદોરી કહેવાતા નર્મદા ડેમમાંથી પણ રાજ્યમાં ઓગસ્ટના અંત સુધીમાં જ સિંચાઈ માટે પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. નર્મદા ડેમમાં 18મી ઓગસ્ટની સ્થિતિએ 115.69 મીટરની સપાટીએ પાણી ભરેલું છે, જેમાંથી 3.49 મિલિયન એકર ફૂટ (એમએએફ) એટલે કે 45.50 ટકા પાણી ડેડ સ્ટોરેજ છે, જ્યારે વાપરી શકાય એટલું પાણી 0.55 એમએએફ એટલે 11 ટકા જ છે, તેથી અત્યારે ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઈ માટે વધુ કાપ આવે એવા સંજોગો છે.

રાજ્યમાં જો વધુ પાંચ દિવસ વરસાદ ખેંચાશે તો નર્મદામાંથી જે ડેમોમાં પાણી છોડવામાં આવે છે એ પાણી પણ બંધ થઈ જશે અને ગંભીર જળસંકટનો સામનો કરવો પડે એવી સ્થિતિ સર્જાઈ શકે છે. મધ્યપ્રદેશમાં અત્યારે હાઇડ્રો વીજળી ઉત્પન્ન થઈ રહી હોઈ 17મી ઓગસ્ટની સ્થિતિએ નર્મદા ડેમમાં 12 હજાર 412 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે, એટલે સામે નર્મદા ડેમમાંથી 15 હજાર 200થી 15 હજાર 792 ક્યૂસેક સુધી કેનાલો દ્વારા પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમમાંથી રોજ ઉદ્યોગોને અપાતું 125 ક્યૂસેક પાણી બંધ થવું જોઈએ. ખેડૂતોનું કહેવું છે કે સરકારે પ્રથમ અગ્રતા પીવાના પાણીને અને દ્વિતીય અગ્રતા સિંચાઈના પાણીને આપવી જોઈએ અને જરૂર પડ્યે ઉદ્યોગોને અપાતું પાણી સદંતર બંધ કરીને ખેતી બચાવવા ફાળવવું જોઈએ

સૌરાષ્ટ્રને સિંચાઈ માટે 2500 MCFT પાણી અપાશે

હાલની સ્થિતિમાં રાજ્ય સરકારે સિંચાઈ માટે કુલ 36 હજાર 500 મિલિયન ક્યૂબિક ફૂટ પાણી આપવાનું નક્કી કર્યું છે. આમાં ઉત્તર ગુજરાતને 2 હજાર એમસીએફટી, મધ્ય ગુજરાતને 12 હજાર એમસીએફટી, સૌરાષ્ટ્રને 2500 એમસીએફટી તેમજ દક્ષિણ ગુજરાતને 20 હજાર એમસીએફટી પાણી સિંચાઈ માટે પૂરું પડાશે. 9.5 લાખ એકર ખેતીની જમીનને સિંચાઈ માટે પાણી ફાળવાશે.

9.5 લાખ એકર વિસ્તારને 39 જળાશયોમાંથી પાણી અપાશે

દક્ષિણ ગુજરાતના દમણગંગા, ઉકાઇ, જૂજ, કેલિયા, કાકરાપાર અને ગોરધા જળાશયોમાંથી પાણી આપીને 4 લાખ 69 હજાર 300 એકર વિસ્તારને સિંચાઇનું આયોજન કર્યું છે. આ આયોજન પૈકી ઉકાઇ, કાકરાપાર, દમણગંગા અને ગોરધા વિયરમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે. આમ, ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાવાની પરિસ્થિતિમાં મુખ્યમંત્રીના મહત્ત્વના નિર્ણય અનુસાર જે વિસ્તારમાં સિંચાઇના પાણીની માગણી આવેલી છે એ વિસ્તારમાં ઊભા પાકને બચાવવા માટે 39 જળાશયમાંથી સાડાનવ લાખ એકર જેટલા વિસ્તાર માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.