Abtak Media Google News

સમગ્ર જૈન સમાજમાં શોકની લાગણી: સરકારી ગાઈડલાઈનને અનુસરી નીકળેલી પાલખીયાત્રામાં મર્યાદિત શ્રાવકો જોડાયા 

‘કાં દીકરાનો જાન બચશે, કાં માતાનો જાન બચશે. શું ઈચ્છા છે તમારી ? મેટરનીટી હોમમાં દાખલ થયેલ એક બહેન માટે ડોકટર એમના પતિ સાથે વાત કરી રહ્યા છે. આ શબ્દો માતૃત્વથી છલકાતા બહેનના કાનમાં પડયા અને એમણે આંખ ખોલી, હતુ એટલું જોર એકઠુ કરી પ્રસુતિની પીડા વચ્ચે પણ ડોકટરને કહ્યું મારૂ જે થવું હોય તે થાય, દીકરાને બચાવજો આ શબ્દોમાં માતૃત્વની જવલંત ભાવના તો હતી જ. સાથે અંતરમાં અરમાન હતા. પોતાની સંયમ લેવાની અધૂરી ઈચ્છા પોતાના પુત્રને શાસનના ચરણે સોંપી એમને પૂરી કરવી હતી. આખરે માતાની ઈચ્છા માન્ય રાખવામાં આવી. સહુના પૂણ્યોદયે માતા અને બાળક બંને સલામત રહ્યા…આ બાળક એટલે જ શાસનના ચરણે સોપાયેલ રત્ન આજના પૂજય આચાર્ય ભગવંત યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજ અને તે રત્નકુક્ષી માતા એટલે જ પૂ. સાધ્વીવર્યા રત્નયશાશ્રીજી મહારાજ (પૂજય બા મહારાજ), જયારે પોતાના દીકરાને સંયમની ભાવના થઈ ત્યારે પોતાના શ્રાવકનો કઠોર વિરોધ હોવા છતાં દીકરાને પૂરૂ પીઠબળ આપ્યું. એની ભાવનાને વધારી, જન્મથી લઈને પોતાના સઘળાં સંતાનોને તેમણે મજબૂત સંસ્કારો આપ્યા હતા. જયણાના, સાધુ સાધ્વીજી ભગવંતોની ભકિતના, પ્રભુદર્શનના સાત્વિકતાના અને સ્વાવલંબનના પાઠો એમણે પોતાના ચારે’ય સંતાનોને ભણાવ્યા હતા. પોતાના માતૃત્વને તેમણે આ રીતે સાર્થક કર્યું હતુ.

પછી તો તેમના સંસ્કારોએ રંગ રાખ્યો. એ દીકરા મારાજ જિનશાસનના આચાર્ય તો થયા જ, બાકીનાં સંતાનોએ પણ પ્રભુનો પંથ સ્વીકાર્યો. તેમણે હોંશે હોંશે પોતાના બધાં જ સંતાનોને પ્રભુ શાસનને સોંપ્યા જેઓ આજે જિનશાસનની શાન વધારી રહ્યા છે. પૂજય પંન્યાસ દિવ્યયશવિજયજી મહારાજ તેમના નાના દીકરા મહારાજ તેમના ઘડપણનો આશરો કહો કે નાના હોવાથી વધુ વ્હાલા કહો. પરંતુ તેઓએ તેમને પણ સંયમ પંથે વળાવ્યા. બંને દીકરી મહારાજ-પૂજય સાધ્વીવર્યા કલાવતીશ્રીજી મહારાજ અને પૂજય સાધ્વીવર્યા પ્રશમરતિશ્રીજી મહારાજ.. આ ચારે’યસંતાનોને તેઓએ પ્રભુનાચરણે સમર્પિત કરી દીધા. પોતાના ભવિષ્યની ચિંતા રાખ્યા વિના ! પરંતુ જે પ્રભુ શાસનના ભવિષ્યને ઉજજવળ બનાવનાર હોય તેનું ભવિષ્ય ઉજજવળ જ હોય ને ! આખરે એમના ભવિષ્યને ઉજાળવાનું કામ એમના જ સંતાનોએ કર્યું. તેમનો જીવ ખૂબ આરાધક ! ખૂબ જયણા પ્રેમી ! જિનશાસન પ્રત્યેનો તથા એના આચાર અને સિધ્ધાંત પ્રત્યેનો એમનો પ્રેમ ખૂબ અદભૂત ! પરંતુ શારીરીક રતી ખૂબ લાચાર હતા. ખોરાક પચતો નહોતો. કશું જ વાપરી શકતા નહતા. પરિણામે અન્ય અન્ય અશકિત વગેરે રોગો રહેતા હતા સહજ છે કે આમા દીક્ષા તો કેમ મળે? પોતાની નાનપણમાં જ સંયમ લેવાની તીવ્ર ભાવના હતી. પરંતુ કાળ સંજોગવશ તેઓ પોતાની ભાવના પૂરી ન કરી શકયા અને સુશ્રાવક રમણિકભાઈ જોડે લગ્નગ્રંથીથી જોડાય. તે છતા અંદર સંયમ લેવાની ભાવના ઝંખના સતત રહેતી હતી દીકરા મહારાજ પ્રવચનકાર થયા, ત્યારે લગભગ દરેક ચોમાસામા પ્રવચન શ્રવણ કરવા આવે અને ચાતુર્માસ કરે, શારીરીક અનેક મુસીબતો હોવા છતાં ત્યારે ઘણીવાર કહે ‘મને તો તમે દીક્ષા ન આપો ને? મારી કેવી તબિયત છે? તમે ચારેય તરી ગયા. હું સંસારમાં ફસાઈ ગઈ.’ દીકરા મહારાજ (પૂ.યશોવિજય સૂ.મ.)ની ગણિપદવીનો પ્રસંગ, પાર્શ્ર્વપ્રજ્ઞાલય તીર્થ, પૂનાની ભૂમિ ! આખા પરિવાર સાથે તેઓ પણ આવેલા પૂજયપાદ સ્વ. ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્ર્વરજી મહારાજની શીળી છાયા ! ત્યારે ફરીથી તેમણે સંયમની ભાવના વ્યકત કરી. તેમની પ્રબળ ભાવના જોતા દીકરા મહારાજે વાત ઝીલી લીધી. બેન મહારાજ સાથે વાત કરી.

પૂજયપાદ ગચ્છાધિપતિશ્રી સાથે પરામર્શ કર્યો. બધાએ હકારાત્મક જવાબ આપ્યો. સહું સંતાનોએ ભેગા થઈ સંસારી પિતા રમણિકભાઈને વાત કરી. રમણિકભાઈએ ચારેય સંતાનો પાસે તેમની સમાધિની ખાતરી લઈ દીક્ષાની પળવારમાં અનૂમતિ આપી દીધી. દીક્ષાનું મૂહૂર્ત બીજા જ દિવસનું હતુ. સહુના ઉત્સાહ સાથે 63 વર્ષની ઉંમરે પૂજયપાદ ગચ્છાધિપતિશ્રીના વરદ હસ્તે તેમને સંયમજીવનની પ્રાપ્તિ થઈ… તેઓ પૂજયપાદ ચુસ્તસંયમી સાધ્વીવર્યા રવિપ્રભાશ્રીજી. મ.ના. શિષ્યત્વને પામ્યા. વર્ષોની તેમની ભાવના પૂર્ણ થઈ. સંયમ જીવનના પક્ષપાતે તેમના આરોગ્યમાં પણ જબરો પલટો આણ્યો તપ ન કરી શકનારા તેઓશ્રી અત્યંત અશકત હોવા છતા અને દીક્ષા પહેલા તો નવકારશીથી વધુ કોઈ પચ્ચક્ખાણ તે કરી શકે તેમ ન હોવા છતાં તેમણે આખા જોગ આંબેલ નીવીથી સળંગ પૂરા કર્યા. આ કોઈ ચમત્કારથી ઓછું ન હતુ. ‘દીક્ષા વિષાપહારિણી’ પૂજય હરિભદ્રસૂ.મ.સા.ના વચનનો આ સાક્ષાત્કાર હતો. દીક્ષા પછી ગણો ખરો વિહાર ચાલીને કરવા લાગ્યા. દીક્ષા લેતી વખતની પ્રદક્ષિણા વખતે પણ જેણે ટેકો લેવો પડયો હોય તે વ્યકિત વિહાર કરે. ચાલીને તે એક આશ્ર્ચર્ય જ કહેવાય ને! છેલ્લા ઘણા વષોથી નિષ્ઠાપૂર્વક બા મહારાજની સેવા કરી છે- ડો. તુષારભાઈએ તથા છેલ્લા સમયે નિષ્ઠાપૂર્વક માર્ગદર્શન અને સેવા આપી છે. સ્ટર્લિંગવાળા ડો. ઝાલા તથા ડો. મોનિલે, ડો. મનીષભાઈ, ડો. સુનીલભાઈ, ડો. નિધિબેન, ડો. ભાવિકાબેન, ડો. મોનિકાબેન, ડો. જાગૃતિબેન, ડો. જિગરભાઈ (અમદાવાદ), વૈદ્ય હરીશભાઈ (જામનગર) ડો. અમિતભાઈ (જામનગર), વૈધ સચીનભાઈ, ડો. રૂપેશભાઈ મેતા, હાડવૈધ વાળાભાઈ દીલીપભાઈ વગેરેની સેવા પણ ભૂલી નહી શકાય.જાગનાથ શ્ર્વે.મૂ. જૈન સંઘ તથા પ્રહલાદ પ્લોટ શ્રીસંઘે પણ ખડા પગે સેવા કરી.બા મહારાજના અનુપાનની વર્ષોથી જવાબાદારી ખૂબ ઉલ્લાસપૂર્વક સંભાળી પાયલ બહેને ! તથા તેમના સાથ પૂરાવવાનું કામ કયું મીનલબેન, પારૂલબેન, કોમલબેન, ઉર્વીબેન તથા ગોપીબેને.પૂજય બા મહારાજના સંસારી પરિવારે પણ સમયે સમયે ખૂબ કાળજી કરી છે. જાગનાથ સંઘના પ્રમુખ દિનેશભાઈ પારેખ, હેમેન્દ્રભાઈ, દિલેશભાઈ, પ્રફુલ્લભાઈ, રાજુભાઈ, ભાવિનભાઈ, મહેન્દ્રભાઈ ઝવેરી, કૌશિકભાઈ, નિલેશભાઈ, પરેશભાઈ, પરીનભાઈ, હર્ષલ, જીતુભાઈ વસા, પંકજભાઈ શેઠ વગેરે અનેક સુશ્રાવકોએ વર્ષોથી પૂજય બા મહારાજની સેવા કરી છે. છેલ્લે છેલ્લે પણ અનેક સુશ્રાવકો કરણભાઈ, વૈભવભાઈ, મિહિરભાઈ, સિમોલીબેન, જુગલભાઈ, ચિરાગભાઈ, નેહલભાઈ, કમલેશભાઈ વગેરેએ પણ દિવસ-રાત ખડેપગે સેવા કરી છે. કોરોનાના કપરા કાળમાં તેમણે નિભાવેલી નિ:સ્વાર્થ સેવાને કયા શબ્દોમાં બિરદાવી શકાય ? આ સહુની સેવા ભાવનાને કારણે એક યોગી આત્માએ પોતાની ડાબી આંખથી શરીરપિંજર છોડી ઊર્ધ્વપ્રયાણ કર્યું…. જય જય નંદા…. જય જય ભદ્રા…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.