Abtak Media Google News

હમ મરેંગે લડતે લડતે, લેકિન લડાઈ નહિ મરને વલી… બહૂત લડી મરદાની, વહતો ઝાંસીવાલી રાનીથી.. અપની આઝાદીકો હમ હરગીઝ મીટા શકતે નહિ, શિર કટા શકતે હય, લેકિનશિર ઝૂકા શકત નહિ… શહીદ તેરી મોત હી, તેરે વતનકી જિન્દગી… તેરે લહૂસે જાગ ઉઠેંગી ઈસ ચમનકી જિન્દગી… ખીલેંગે ફૂલ ઉસ જગાપે તૂમ જહાં શહીદહો… સારે જહાસે અચ્છા, હિન્દોસ્તાં હમારા… જો શહીદ હૂએ હૈ ઉસકી, જરા યાદ કરો કુરબાની… અને એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી, લખજો ખાક પડી આહીં કોઈના લાડકવાયાની…

આપણો દેશ જે શૂરવીર સપૂતોનાં પિતૃતર્પણ કરી રહ્યો છે. એ સૌને નિવાપાંજલી અર્પણ વખતે આ દેશની પ્રજા દેશદાઝનો સૂરમાં આંખોમાં આંજીને તેમની આ ભારતભૂમિમાં તેમનાં સંતાનો માટે રામરાજય લાવી દેવાની અધૂરી-અપૂરી રહેલી અપેક્ષાઓને પરિપૂર્ણ કરવાનો ધર્મ બજાવે એમ કોણ નહિ ઈચ્છે? વતનપરસ્તીનાં ગીતો ગજાવવાનો એ જ સુયોગ્ય અવસર લેખાશે… જો આપણા વર્તમાન શાસકો એમ ન કરી શકે તો આ દેશ ઉપર રાજકરવાનો હકક તેઓ ખોઈ બેસશે!

આપણા દેશના કમભાગ્યે આ દેશમાં અત્યારે જાણે કે દેશભકિતનો દેશદાઝનો દુકાળ પડયો છે.

‘યદા યદા હી ધર્મસ્ય’માં શ્રી કૃષ્ણે તેમણે અવતાર લેવા માટેના જે કારણો આપ્યા છે તે ઘણે ભાગે આપણા દેશમાં વર્તમાનમાં પણ ઘર કરી બેઠા છે. ‘તદાત્માન સંભવામિ યુગે યુગે’નું વચન પાળવા માટે આપણા દેશની વર્તમાન સ્થિતિ તેમજ ગતિવિધિઓ પૂરેપૂરી સુમેળ સાધે છે.

‘કોરોના’ની બિમારી વિષે કોઈએ એવી ટકોર કરી હોવાનું જાણી શકાયું હતુ કે, સરકરી વહિવટ કરતા દર્દીની બિમારી વહેલીસુધરે એવો ઘાટ અત્યારે આપણા દેશના અતિ ગંદાગોબરાં અને બેસુમાર મતિભ્રષ્ટ યહિવટમાં પ્રવર્તે છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિવૃષ્ટિએ અર્થાંત લીલાદુકાળના કાળઝાળ ઓછાયાએ હાહાકાર સજર્યો તેમજ વરસાદ ‘વેરણ થયો’ની બૂમરાણ સર્જાઈ ત્યારે સત્તાધીશોના પક્ષે, રાજકારણીઓના પક્ષે કે શબ્દભંભોટિયા ભાષણખોરોનાં પક્ષે દેઝદાઝની છાંટ સુધ્ધાં દેખાઈ નહિ.

એવો આક્ષેપ થાય છે કે આપણા રાજકીય પક્ષોનાં પ્રપંચો અને સત્તાની લાલસા તથા સ્વાવાંધતા આને માટે જવાબદાર છે.

કોઈપણ લોકશાહી તંત્રમાં શાસકપક્ષે જે ભૂમિકા ભજવવાની હોય એટલી જ મહત્વની ભૂમિકા વિપક્ષોએ પણ ભજવવી પડે છે.

આપણો દેશ આખરે તો શાસક પક્ષ તેમજ અન્ય રાજકીય પક્ષોનો તથા સમગ્ર પ્રજાનો છે. રાજસત્તા તેમજ ધર્મસત્તા, એમ બંનેનો હોય છે. દેશની રખેવાળીની તેમજ વિકાસ સમેત તમામ સામાજિક ગતિવિધિઓની જવાબદારીઓમાં સૌએ સમાનરીતે સામેલ થવું ઘટે છે. મહાપુરૂષોનાં વિચારોને આપણે બધાએ આપણા અંતરમાં સ્થાપિત કરવા જોઈએ વિચાર જ આનંદનું સ્વરૂપ છે. પ્રેમ કેવળ વિચારના માધ્યમથી જ વ્યકત થઈ શકે છે. વિચારની સચ્ચાઈ પ્રેમથી જ મનાય છે. જેણે સુવિચાર આપ્યા અને સુવિચાર કર્યા તેણે જ દુનિયાને આકાર આપ્યો છે. એમ કહી શકાય તેમ છે.

આપણે દેશ પ્રત્યેની વર્તમાન ફરજો બજાવતી વખતે દેશના સમગ્ર ઈતિહાસને ધ્યાનમાં લેવો જ પડે, એ સ્વાધિન ન હોય તે વખતના અને સ્વાધીનતા-સંગ્રામ વખતના બનાવોને લક્ષમાં લેવા જ પડે… દેશને ખાતર બલિદાન અને કુરબાની આપનાર દેશના નરનારીઓને દેશ પ્રત્યે ગદ્દારી આચરનારાઓ અને દેશના દુશ્મનોની ગતિવિધિઓ અંગે સાવધાન રહેવું પડે નરવીરોને સલામ કરીને એમનાં ઋણોને અદા કરવાનો ધર્મ પણ બજાવવો પડે.

દેશની અને માતૃભૂમિથી અધિક અમૂલ્યવાન કે સર્વોપરી અન્ય કશું જ હોતું નથી એ મંત્ર કદાપિ, કોઈ સંજોગોમાં, કોઈ લાભ કે સ્વાર્થને ખાતર વિસારે પાડવો ન જોઈએ.

આપણો દેશના રામાયણ, મહાભારત, ભગવદગીતા અને પાગૈતિહાસિક ઈતિહાસને આપણી સંસ્કૃતિના પ્રમુખ આધારસ્તંભો તરીકે સ્વીકારવા જોઈએ અને તેનું અનુસરણ કરવું જોઈએ.

આપણા દેશવાસીઓને આપણા ભાઈ ભાંડુઓ અને માતાઓ બહેનો ગણીને તેમને સાથે સદાસર્વદા ઐકય સાધવું જોઈએ.

આપણો દેશ દેવદેવીઓનો દેશ છે, આપણો દેશ પૂણ્યભૂમિ છે, આપણા દેશના ઋષિમૂનિઓનાં તપ-જપ આપણી સંસ્કૃતિનાં પાયાનાં અંગો હોવાનું આપણે લગીરે ન ભૂલવું જોઈએ.

આપણી સંસ્કૃતિનો અને વેદવાણીનો તાંતણો પકડીને શકય હોય ત્યાં સુધી એની સાથે સુસંગત સામાજિક વ્યવહારો કરવા જોઈએ. આપણા દેશમાં અત્યારે રાજસત્તા અને ધર્મસત્તા, એમ બંને ખોખલા બન્યા છે. અને એમની પંગુતા-પોકળતા છેક જગતના ચોક સુધી છતી થઈ ગઈ છે. એક જમાનામાં આપણો દેશ શ્રી કૃષ્ણનો, શ્રી રામનો, અનેક ધર્મધુરંધરોનો દેશ હતો અને આખી દુનિયાને ધર્મની અને સંસ્કાર, સંસ્કૃતિ તેમજ સભ્યતાની દોરવણી આપતો હતો. જૂની કહેવત પ્રમાણે, એ પાંચમાં પૂછાતો હતો અને એના મોભીઓ આખી દુનિયાનાં ચોકમાં પૂછાતા પણ હતા અને પૂજાતા પણ હતા.

અત્યારે કૂદરતી આફતો અને ઈશ્ર્વરી કોપથી તે ઘેરાયેલો છે. ઓછામાં પૂરૂ ‘કોરોના’ એને બધી રીતે કમજોર બનાવવામાં કાંઈ બાકી રાખ્યું નથી. આપણા દેશનું શાસન નિરંકુશ અને નિરાધાર બનતું જતું હોવાના આક્ષેપો થાય છે.

આપણા દેશની આર્થિક, સામાજીક અને વિદેશ નીતિઓ ડોલમડોલ રહી છે. નકલખોરીએ એમને પાંગળા બનાવી દીધા છે.

એક ઠેકાણે એટલી હદે લખાયું છે કે, ‘હે મા, હવેતું મને મારા માથા ઉપર અને ગાલ ઉપર હાથ મૂકીને પહેલાનાં જેવું સાચુ વહાલ કર ! સંતાનોને વહાલ કરવામાં અને તેમના ઉછેર તથા પાલન પોષણમાં આપણા મોભીઓ નકલખોર બની બેઠા છે !

અહી એવી ચેતવણી આપવી પડે છે કે, જો નકલખોરીને જાકારો નહિ અપાય તો આપણો દેશ બધી રીતે પાંગળો બની જશે.

અત્યારે તો આપણો ધર્મ દેશદાઝ અને વતનપરસ્તી તરફ વિના વિલંબે પાછા ફરવાનો છે.અને આપણી રાષ્ટ્રીય અસલિયતને પ્રસ્થાપિત કરવાનો છે.

આપણે ફરીને એવું ગાતા અને કહેતા થઈએ કે, ‘સલામ ઉસ વીરો કો જીન્હોને અપને ખૂનસે હિન્દોસ્તાંકે બાગકા સિંચા… હમ મરેંગે લડતે લડતે, પર લડાઈ નહિ મરને વાલી… હમ શિર કટા શકતે હૈ, લેકિન શિર ઝૂકા શકત નહિ. વતનકી રાહમેં વતન કે નવજવાં શહિદ હો…ખીલેગેં ઉસ જગાપે તુમ જહાં શહિદ હો, અને અય મેરે વતનકે લોગો, જરા આંખો મેં ભરલોપાની… અત્યારે આપણો મંત્ર આ એક જ હોઈ શકે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.