Abtak Media Google News

ભારતની એકતાના શિલ્‍પી સરદાર વલ્લભભાઈની આજે પુણ્યતિથી છે. વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડીઆદ – ગુજરાતમાં થયો હતો. તેમની વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાઇ ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષાના પેપર વખતે ૩૧ ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લેખાવી હતી. તેઓ હિંદુ ધર્મ પાળતા પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતાં. તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી. સોમાભાઈ, નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ (કે જેઓ પોતે પણ આગળ જઈને રાજનીતિજ્ઞ થયા) તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ – કાશીભાઈ તેમજ એક નાના બહેન – દહીબા હતા. નાનપણમાં વલ્લભભાઈ તેમના પિતાને ખેતરમાં મદદ કરતા તેમજ બે મહીને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન-જળ ગ્રહણ ન કરતા.

૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાંજ રહેતા, ૧૨ કે ૧૩ વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા. રિવાજને આધીન, જ્યાં સુધી પતિ કમાઈને ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી ન શકે ત્યાં સુધી તેની પરિણીતા તેના પિતાના ઘરે રહેતી.

વલ્લભભાઈને નિશાળનું ભણતર પુરું કરવા નડીઆદ, પેટલાદ તથા બોરસદ જવું પડ્યું હતું કે જ્યાં તેઓ બીજા છોકરાઓ સાથે સ્વનિર્ભરતાથી રહ્યાં. તેમણે પોતાનો પ્રખ્યાત સંયમી સ્વભાવ કેળવ્યો – એક લોકવાયકા પ્રમાણે તેમણે પોતાને થયેલાં એક ગુમડાંને જરાય સંકોચાયા વિના ફોડ્યું હતું કે જે કરતા હજામ પણ થથર્યો હતો. વલ્લભભાઈ મેટ્રીકની પરીક્ષામાં ૨૨ વર્ષની મોટી ઉંમરે ઉત્તીર્ણ થયા ત્યારે તેમના વડીલો તેમને એક મહત્વકાંક્ષી વ્યક્તિ તરીકે નહોતા ઓળખતા પણ એમ માનતા કે તેઓ કોઈ સાધારણ નોકરી કે ધંધો કરશે.

પણ વલ્લભભાઈની પોતાની અલગ યોજના હતી – તેમને વકીલાતનું ભણી, કામ કરીને પૈસા બચાવી, ઈંગ્લેન્ડમાં ભણી બૅરિસ્ટર બનવુ હતું. વલ્લભભાઈ વર્ષો સુધી તેમના કુટુંબથી વિખુટા રહીને તથા બીજા વકીલો પાસેથી ચોપડીઓ માંગી, પોતાની રીતે ભણીને બે વર્ષમાં પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં. ઝવેરબાને તેમના પિયરથી લઈ આવીને તેમણે ગોધરામાં પોતાના ગૃહસ્થ જીવનની શરુઆત કરી તથા ત્યાંના બાર (વકીલ મંડળ) માં નામ નોંધાવ્યું. તેમને પૈસા બચાવવા માટે જે ઘણાં વર્ષો લાગ્યા તેમાં તેમણે પોતાના માટે એક તીવ્ર તથા કુશળ વકીલ તરીકેની કિર્તી મેળવી. તેમના પત્ની ઝવેરબાએ બે સંતાનો – ૧૯૦૪માં મણીબેન તથા ૧૯૦૬માં ડાહ્યાભાઈને જન્મ આપ્યો.

ગુજરાતમાં જ્યારે બ્યુબોનિક પ્લેગનો આતંક છવાયો હતો ત્યારે વલ્લભભાઈએ તેમના એક મિત્રની સુશ્રુષા પણ કરી હતી, પણ જ્યારે તેમને પોતાને તે રોગ થયો ત્યારે તેમણે તરતજ પોતાના કુટુંબને સુરક્ષિત સ્થાને મોકલી દઈ પોતે ઘર છોડીને નડીઆદ સ્થિત ખાલી ઘરમાં જઈને રહ્યા (બીજા વૃત્તાન્ત પ્રમાણે તેમણે આ સમય જીર્ણ થઈ ગયેલા એક મંદિરમાં વ્યતીત કર્યો હતો) કે જ્યાં તેઓ ધીરે ધીરે સાજા થયા.

વલ્લભભાઈએ ગોધરા, બોરસદ તથા આણંદમાં વકીલાત કરતી વખતે પોતાની કરમસદ સ્થિત વાડીની નાણાંકીય જવાબદારી પણ ઉપાડી લીધી હતી. જ્યારે તેમણે ઈંગ્લેન્ડ જઈને ભણવા જેટલા પૈસા ભેગા કરી લીધા ત્યારે તેમણે ત્યાં જવા માટે પરવાનો તેમજ ટીકીટ બુક કરાવી કે જે તેમના વી. જે. પટેલ ના સંક્ષીપ્ત નામે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલને ત્યાં આવી.

વિઠ્ઠલભાઈની પણ ઈંગ્લેન્ડ જઈ ભણવાની યોજના હતી અને તેથી તેમણે તેમના નાના ભાઈ વલ્લભભાઈ ને ઠપકો આપતા કહ્યું કે મોટો ભાઈ નાના ભાઈની પાછળ જાય તે સારું ના લાગે અને ત્યારે સમાજમાં કુટુંબની આબરુને ધ્યાનમાં રાખી વલ્લભભાઈએ તેમના મોટા ભાઈને તેમની જગ્યાએ જવા દીધા. તેમણે તેમના મોટા ભાઈનો ઈંગ્લેન્ડ ખાતેનો ખર્ચ ઉપાડ્યો અને તે ઉપરાંત પોતાના ધ્યેય માટે પણ બચત કરવા માંડી.

૧૯૦૯માં વલ્લભભાઈના પત્ની ઝવેરબાને કેંસર માટેની શસ્ત્રક્રિયા માટે મુંબઈના મોટા રુગ્ણાલયમાં ભરતી કરવામાં આવ્યા. તેમની તબીયત અચાનક વણસી અને તેમની ઉપર કરેલી તાત્કાલીક શસ્ત્રક્રિયા સફળ હોવા છતાં તેમનું રુગ્ણાલયમાંજ દેહાંત થયું. વલ્લભભાઈને તેમના પત્નીના દેહાંતના સમાચાર આપતી ચબરખી જ્યારે આપવામાં આવી ત્યારે તેઓ ન્યાયાલયમાં એક સાક્ષીની ઉલટ-તપાસ કરી રહ્યા હતા.

બીજાઓના વૃત્તાન્ત પ્રમાણે કે જેમણે તે ઘટના નિહાળી હતી, વલ્લભભાઈએ તે ચબરખી વાંચી તેમના ખીસામાં સરકાવી દીધી અને સાક્ષીની ઉલટ તપાસ ચાલુ રાખી અને તેઓ તે મુકદ્દમો જીતી ગયા. તેમણે બીજાઓને તે સમાચાર મુકદ્દમો પત્યા પછીજ આપ્યા હતા. વલ્લભભાઈએ પુનઃલગ્ન નહીં કરવાનું નક્કી કર્યું હતું. તેમણે તેમના બાળકોનો ઉછેર કુટુંબની મદદથી કર્યો તથા મુંબઈ સ્થિત અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મુક્યા હતા. ૩૬ વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ ગયા તેમજ લંડનની મિડલ ટેમ્પલ ઈન્ન ખાતે ભરતી થયા.

મહાવિદ્યાલયમાં ભણવાનો જરાય અનુભવ ન હોવા છતાં તેમણે ૩૬ મહીનાનો અભ્યાસક્રમ ૩૦ મહીનામાં પતાવી વર્ગમાં પહેલા સ્થાને આવ્યા. ભારત પાછા આવી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા તથા શહેરના એક નામાંકિત બૅરિસ્ટર બન્યા. તેઓ યુરોપિય શૈલીના કપડાં પહેરતાં તથા વિવેકી શિષ્ટતા જાળવતા અને તેઓ બ્રિજ રમતના માહેર ખેલાડી પણ થયા. તેમણે એવી મહત્વકાંક્ષા રાખેલ કે જેમાં તેમને પોતાની વકીલાતથી ખુબ પૈસા ભેગા કરી તેમના બાળકોને આધુનિક શિક્ષણ આપવું હતું. તેમની પોતાના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ સાથે એક સમજુતી હતી કે જેના થકી તેમના મોટા ભાઈ મુંબઈ પ્રેસિડંસીમાં રાજકારણી તરીકે ઉતરે અને તે સમયે વલ્લભભાઈ ઘરની જવાબદારીઓ પુર્ણ કરે.

  • આઝાદીની લડત

મિત્રોના આગ્રહને માન આપી વલ્લભભાઈ ચુંટણીમાં ઉતરી ૧૯૧૭માં અમદાવાદ શહેરના સ્વચ્છતા વિભાગના અધીકારી તરીકે ચુંટાઈ આવ્યા. તેમના બ્રિટિશ અધીકારીઓ સાથે સુધરાઈ બાબત થતા મતભેદો છતાં તેઓને રાજકારણમાં બહુ રસ ન હતો. મોહનદાસ ગાંધીની બાબતમાં સાંભળીને તેમણે મવલંકરને મજાકમાં કહ્યું હતું કે “પુછશે કે ઘઉંમાંથી કાંકરાં વિણતા આવડે છે અને એનાથી દેશને આઝાદી મળશે”. પણ ગાંધીજીએ જ્યારે ચંપારણ્ય વિસ્તારના શોષિત ખેડુતો માટે બ્રિટિશ સામ્રાજ્યની અવમાન્યા કરી ત્યારે વલ્લભભાઈ તેમનાથી ખુબ પ્રભાવિત થયા હતા.

ત્યારના ભારતીય રાજકારણના ચલણથી વિરુધ્ધ ગાંધીજી ભારતીય ઢબના કપડા પહેરતા તથા અંગ્રજી, કે જે ભારતીય બુદ્ધિજીવીઓની સાહજીક ભાષા હતી, તેના બદલે માતૃભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપતા. વલ્લભભાઈ ખાસ કરીને ગાંધીજીના નક્કર પગલાં ભરવાના વલણ તરફ આર્કષાયા હતા – જેમાં રાજકીય નેતા ઍની બૅસન્ટની ધરપકડને વખોડતો પ્રસ્તાવ મુકવા સિવાય ગાંધીજીએ તેમને મળવા સ્વયંસેવકોને શાંતિપ્રિય કુચ કરવા પણ કહ્યું હતું.

વલ્લભભાઈએ તેમના સપ્ટેમ્બર ૧૯૧૭ના બોરસદમાં આપેલાં ભાષણમાં દેશભરના ભારતીયોને ગાંધીજીની અંગ્રેજો પાસેથી સ્વરાજની માંગણી કરતી અરજીમાં સહભાગી થવા માટે આવાહન કર્યું હતું. એક મહીના પછી ગોધરામાં આયોજીત ગુજરાત રાજનૈતિક મહાસભામાં ગાંધીજીને મળ્યા બાદ તથા તેમના તરફથી પ્રોત્સાહન મળ્યા બાદ વલ્લભભાઈ ગુજરાત સભાના સચિવ બન્યા કે જે આગળ ચાલીને ઈંડિયન નેશનલ કોંગ્રસની ગુજરાતી શાખામાં પરીર્વતીત થઈ હતી. વલ્લભભાઈએ હવે ‘વેઠ’ – ભારતીયો દ્વારા યુરોપિયનોની ફરજીયાત બેગારી સામે સ્ફુર્તિથી લડ઼વાનું ચાલુ કરી દીધુ હતું તથા ખેડા જિલ્લામાં થયેલા પ્લેગના અતિક્રમણ અને દુષ્કાળથી રાહત આપતા પગલાઓ ભરવાનું ચાલુ કર્યું હતું.

ખેડા જિલ્લાના ખેડુતોને કર માંથી રાહત આપવની વિનંતીને અંગ્રેજ સરકાર ઠુકરાવી ચુકી હતી અને તેથી ગાંધીજીએ તેની સામે લડત આપવાની સંમતી આપી. તેઓ પોતે ચંપારણ્યમાં વ્યસ્ત હોવાથી આ લડતનું નેતૃત્વ ન કરી શક્યા અને તેથી તેમણે જ્યારે એક ગુજરાતી સક્રિય કાર્યકરને આ કામ માટે પોતાની જાતને સમર્પિત કરવાની હાકલ કરી ત્યારે વલ્લભભાઈએ સ્વેચ્છાથી પોતાનું નામ આગળ ધર્યું જે વાતની ગાંધીજીને ખુશી હતી. તેમણે આ નિર્ણય ત્વરિત કર્યો હોવા છતાં પાછળથી વલ્લભભાઈએ કહ્યું હતું કે એ ઈચ્છા તથા પ્રતિબધ્ધતાને અનુસરવાના તેમના નિર્ણય પર પહોંચતા પહેલા તેમણ ખુબ આત્મચિંતન કર્યું હતું, કારણકે તેના માટે તેમણે પોતાની વકીલાતની કારકિર્દી તથા ભૌતિક મહત્વકાંક્ષાઓનો ત્યાગ કરવાનો હતો.

  • ગુજરાતનો સત્યાગ્રહ

નરહરિ પરીખ, મોહનલાલ પંડ્યા તથા અબ્બાસ તૈયબજી જેવા કોંગ્રેસી સ્વયંસેવકોના સહયોગ સાથે વલ્લભભાઈએ ખેડા જિલ્લાના ગામે ગામ ફરી ગામવાસીઓના દુ:ખ તથા તકલીફોની નોંધ કરી તેમને બ્રિટિશ સરકારને કર નહીં ભરીને રાજ્યવ્યાપી બળવામાં સહભાગી થવા કહ્યું. તેમણે સંભાવિક મુશ્કેલીઓ વચ્ચે પુર્ણ એકતા તથા ઉશ્કેરણી સામે અહિંસા આચરવાને મહત્વ આપ્યું હતું.

તેમને મોટાભાગે પ્રત્યેક ગામમાંથી ઉમળકાભેર પ્રતિસાદ મળ્યો. જ્યારે બળવાનું એલાન થયું અને કર નહીં ભરાયો ત્યારે અંગ્રેજ સરકારે મિલ્કત, તબેલાના પશુઓ તેમજ આખે આખાં ખેતરો જપ્ત કરવા પોલીસ તથા ઘમકી આપવાવાળી પઠાણોની ટુકડીઓ મોકલી. વલ્લભભાઈએ પ્રત્યેક ગામના રહેવાસીઓને તેમની મુલ્યવાન વસ્તુઓ છુપાવવા તથા પોલીસના છાપામાં સ્વરક્ષણમાં મદદ કરી શકે તેવા સ્વયંસેવકોની એક ટોળકી બનાવી હતી. હજારો કાર્યકર્તા તથા ખેડુતોની ધરપકડ કરવામાં આવી, પણ પટેલને બંદી બનાવવામાં ન આવ્યા. બળવાને ભારતભરમાં સહાનુભુતિ તેમજ પ્રસંશા મળવા માંડી અને તે ગુટમાં બ્રિટિશ સરકારની તરફેણ કરવાવાળા રાજનિતિજ્ઞોનો પણ સમાવેશ થયો. બ્રિટિશ સરકાર વલ્લભભાઈ સાથે સમજુતિ કરવા તૈયાર થઈ અને વરસ માટે કર નહીં ભરવા તથા તેનો દર ઓછો કરવા તેણે મંજુર થવું પડ્યું.

આ ઘટના બાદ પટેલ ગુજરાતીઓ માટે નાયક તરીકે ઉભરી આવ્યા તથા ભારતભરમાં તેમના વખાણ થયા. ૧૯૨૦માં તેઓ નવ-રચિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના અધ્યક્ષ તરીકે ચુંટાયા કે જેનો કારભાર તેમણે ૧૯૪૫ સુધી સંભાળ્યો. ગાંધીજીની અસહકાર ચળવળના સમર્થનમાં વલ્લભભાઈએ રાજ્યભરમાં પ્રવાસ કરી ૩ લાખ સભ્યો ભરતી કર્યા તથા રુ.૧૫ લાખનું ભંડોળ ઉભું કર્યું. તેમણે અમદાવાદમાં અંગ્રેજી વસ્તુઓની હોળીઓ કરવામાં મદદ કરી તથા તેમાં પોતાના બધા અંગ્રેજી શૈલીના કપડાઓ નાંખી દીધા. તેમણે પુત્રી મણીબેન તથા પુત્ર ડાહ્યાભાઈ સાથે સંપુર્ણ ખાદી પહેરવાનું ચાલુ કર્યું. ચૌરી ચૌરાની ઘટના બાદ અસહકાર ચળવળને તત્પુર્તી બંધ કરવાના ગાંધીજીના નિર્ણયને પણ વલ્લભભાઈએ સમર્થન આપ્યું.

ત્યાર બાદના વર્ષો દરમ્યાન તેમણે ગુજરાતમાં મદિરાપાનના અતિરેક, અસ્પૃશ્યતા તેમજ જાત-પાતના ભેદભાવના વિરોધમાં તથા નારી અધીકારની તરફેણમાં વિસ્તૃત કામ કર્યું. કોંગ્રેસમાં તેઓ સ્વરાજીય ટીકાકારોની વિરુધ્ધમાં ગાંધીજીના દૃઢ સમર્થક રહ્યા. વલ્લભભાઈ ૧૯૨૨, ૧૯૨૪ અને ૧૯૨૭માં અમદાવાદ સુધરાઈના અધ્યક્ષ તરીકે ચુંટાયા હતા અને તેમના કાર્યકાળ દરમ્યાન અમદાવાદને મહત્વની વધારાની વિજળી પુર્તી આપવામાં આવી, ત્યાંની શાળા પદ્ધતિમાં ધરખમ સુધારાઓ થયા અને ત્યાંની જળ-કચરાના નિકાસ વ્યવસ્થામાં આખા શહેરને આવરી લેવાયું.

રાષ્ટ્રવાદીઓ દ્વારા સ્થાપવામાં આવેલી શાળાઓ (જે બ્રિટિશ સરકારના નિયંત્રણની બહાર હતી) માં ભણાવતા શિક્ષકોની માન્યતા અને પગાર માટે તેઓ લડ્યા હતાં તથા તેમણે હિંદુ-મુસ્લિમના સંવેદનશીલ મુદ્દાને પણ હાથ ધર્યો હતો. ૧૯૨૭માં થયેલી અનરાધાર વર્ષાને કારણે આવેલા પુરમાં અમદાવાદ શહેર તથા ખેડા જિલ્લામાં થયેલી જાન-માલની તારાજીને પહોંચીવળવા તેમણે સહાયતા અભિયાનનું સંચાલન કર્યું. તેમણે જિલ્લામાં નિરાશ્રીતો માટે કેંદ્રો ખોલ્યા – ખોરાક, દવા તેમજ કપડાંની ઉપલબ્ધી કરાવી આપી તથા સ્વયંસેવકો ઉભા કરી સરકાર તથા જનસમુદાય પાસેથી તાત્કાલિક નાણાં ભેગા કરી આપ્યા.

૧૯૨૩માં જ્યારે ગાંધીજી જેલમાં હતા ત્યારે કોંગ્રેસીઓએ સરદાર પટેલને ભારતીય ધ્વજને નહીં ફરકાવવાના કાયદા સામે નાગપુરમાં સત્યાગ્રહની આગેવાની કરવા કહ્યું. વલ્લભભાઈએ દેશભરમાંથી હજારો સ્વયંસેવકોને એકઠા કરી ધ્વજવંદન આયોજ્યું. તેમણે વાટાઘાટો દ્વારા બંદીઓની મુક્તિ કરાવી તથા રાષ્ટ્રવાદીઓ જાહેરમાં ધ્વજવંદન કરી શકે તેવી ગોઠવણ પણ કરાવી. તે વર્ષ દરમ્યાન પાછળથી વલ્લભભાઈ તથા તેમના કાર્યકરમિત્રોએ મળીને પુરાવા એકઠા કર્યાં કે જેના પ્રમાણે સરકાર ડાકુઓ સામે લડવા માટે વધારાનો કરવેરો નાંખવાની પેરવીમાં હતી તેજ સમય દરમ્યાન પોલીસ બોરસદ તાલુકાના સ્થાનિક ડાકુઓ સાથે મળેલી હતી.

૬૦૦૦થી પણ વધુ લોકો વલ્લભભાઈના ભાષણને સાંભળવા એકઠા થયા હતા અને બિન-જરૂરી તેમજ અનૈતિક ઠરાવેલાં આ વધારાના કરની સામે પ્રસ્તાવિત વિરોધ ચળવળને સમર્થન આપ્યું. વલ્લભભાઈએ હજારો કોંગ્રેસી કાર્યકરોને ભેગા કર્યા તથા આજુબાજુના તાલુકાઓ વચ્ચે સુચનાઓની આપ-લે ચાલુ કરાવી. તાલુકાના દરેક ગામે કર ભરવાનો પ્રતિકાર કર્યો અને સંયુક્ત રહીને જમીન અને મિલ્કતને સરકારના કબ્જા હેઠળ જતા અટકાવી. એક લાંબી લડત બાદ સરકાર વધારાનો કરવેરો પાછો ખેંચવા તૈયાર થઈ.

ઇતિહાસકારોનું માનવું છે કે આ લડતમાં વલ્લભભાઈની મુખ્ય ભુમિકા જુદી જૂદી જાત-પાતના લોકોને કે જેઓ ભિન્ન સામાજીક અને આર્થિક પાર્શ્વભૂમિથી સંકળાયેલા, તેમને સાથે લાવી તેમની વચ્ચે સુમેળ તથા વિશ્વાસ બેસાડવાની રહી.

એપ્રિલ ૧૯૨૭માં અમદાવાદ સુધરાઈની તેમની જવાદારીઓમાંથી બહાર નીકળી વલ્લભભાઈ આઝાદીની ચળવળમાં પાછા જોડાયા જ્યારે બારડોલીમાં કપરો દુષ્કાળ પડ્યો હતો અને ભારે કર વધારો કરવામાં આવ્યો હતો. મોટાભાગનું ગુજરાત દુષ્કાળની ઝપેટમાં આવ્યુ હોવા છતાં આ કર વધારો ખેડા જીલ્લમાં કરેલા પહેલા વધારા કરતા પણ વધુ હતો. ગામવાસીઓના પ્રતિનિધિઓની સાથેની વાતચીત દરમ્યાન તેમને આગામી મુશ્કેલીઓની પુરતી ચેતવણી આપ્યા બાદ તથા અહિંસા અને એકતાની ઉપર પુરતો ભાર મુક્યા પછી તેમણે સત્યાગ્રહની ધોષણા કરી – કર અદાયગીનો પુર્ણ બહીષ્કાર.

વલ્લભભાઈએ સંબંધિત વિસ્તારોમાં સ્વયંસેવકો, શિબિરો તથા માહિતીની આપ-લેની ગોઠવણ કરી. ખેડા જિલ્લામાં થયેલા કર બહિષ્કાર સત્યાગ્રહ કરતા પણ આ વખતે વધુ પ્રતિસાદ મળ્યો અને રાજ્યભરમાં સહાનુભુતિક ટેકો આપતા અન્ય સત્યાગ્રહો આયોજાયા. ધરપકડો તથા જમીન-મિલ્કતની જપ્તીઓ થઈ હોવા છતાં સત્યાગ્રહે જોર પકડ્યું.

ઓગસ્ટ મહીના સુધીમાં સ્થિતિ તેની ચરમ સિમાએ પહોંચી ગઈ હતી અને ત્યારે મુંબઈ સરકારમાં ફરજ બજાવતા એક સહાનુભુતિક પારસીની મધ્યસ્થતાથી વલ્લભભાઈ સમજુતી માટે રાજી થયાં કે જેના થકી કર વધારો પાછો ખેંચાયો, સત્યાગ્રહની તરફેણમાં જે સરકારી અધિકરીઓએ રાજીનામા આપ્યા હતા તેમની ફરી નિમણુક થઈ તથા જપ્ત કરેલી જમીન-મિલ્કત પરત કરાઈ. આ બારડોલી સત્યાગ્રહ દરમ્યાન તથા તેમાં વિજય મેળવ્યા બાદ વલ્લભભાઈ વધુ ને વધુ લોકોથી ‘સરદાર’ના નામે સંબોધાવા લાગ્યા.

સરદાર પટેલે ભારતના ભાગલા સમયે કહ્યું હતું કે, “કાયરતા એ આપણી નબળાઇ છે, દુશ્મન સામે છપ્પનની છાતી રાખો.” આપણે સહુ જાણીએ છીએ કે કાશ્મીર મુદ્દે સરદાર અને નહેરૂ વચ્ચે મતભેદો હતા. દેશના ભાગલા સમયે જ્યારે બ્રિટિશ સરકારે સત્તા છોડી ત્યારે લોર્ડ માઉન્ટબેટને કાશ્મીરના મહારાજાને હિંદી સંઘ અથવા પાકિસ્તાનમાંથી એકમાં ભળી જવાની સલાહ આપી હતી રાજા હરિસિંહજીએ તેમની અવગણના કરી હતી. મહારાજાએ પાકિસ્તાન સાથે અમુક કરારો કર્યા પરંતુ વિધિવત જોડાણ ન કર્યું જેથી પાકિસ્તાન ગુસ્સે થયું અને કાશ્મીર સાથેનો તમામ વ્યવહાર અટકાવી દીધો. આ સમયે જીવન-જરૂરી પુરવઠો મેળવવા માટે કાશ્મિર ભારત તરફ વળ્યું અને પાકિસ્તાનને લાગ્યું કે કાશ્મિર તેમનાં હાથમાંથી છુટીને ભારત પાસે સરકી જશે, અને આ ભય હેઠળ પાકિસ્તાને કાશ્મીરની સરહદ ઉપર છમકલાં કરવાની શરૂઆત કરી.

૨૩ ઓકટોબર ૧૯૪૭ના રોજ પાકિસ્તાને મોટાપાયે હુમલો કર્યો અને તેનુ સૈન્ય શ્રીનગરથી આશરે ૬૫ કિ.મી. દૂર સુધી પહોંચી ગયું. આ કટોકટીભરી સ્થિતિમાં મહારાજા હરિસિંહજીએ સરદારનો સંપર્ક સાધ્યો. સરદારતો આવા કોઇપણ આમંત્રણની રાહ જ જોઇ રહ્યા હતા. તેમણે તાબડતોબ મેનનને વિમાનમાં જમ્મુ મોકલ્યા અને મહારાજાએ હિંદી સંઘ સાથેના જોડાણખત ઉપર સહી કરી આપી અને લશ્કરી મદદની માંગણી કરી.

સરદાર પટેલને આ સમાચાર મળતાં જ તેમણે લોર્ડ માઉન્ટ બેટન અને નહેરૂ સાથે મસલત કરી હવાઇ માર્ગે લશ્કર કાશ્મીર મોકલ્યું, પાકિસ્તાની સૈન્યએ ૨૬ ઓક્ટોબરને દિવસે શ્રીનગરમાં ઇદ ઉજવીને પોતાનો વિજય જાહેર કરવાનું ફરમાન કરી દીધું હતું, પરંતુ તે સાંજે જ ભારતીય લશ્કરનાં ધાડા ઉતરી પડ્યાં. ઘમાસાણ યુદ્ધ થતા પાકિસ્તાની સૈન્યએ પીછેહઠ કરવી પડી, પરંતુ કાશ્મીર પ્રશ્ને બંને દેશનાં ગવર્નર જનરલો તથા બે વડાપ્રધાનો વચ્ચે કોઈ સમજુતી થઇ શકી નહીં. બંને સરકારોએ કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં સામેવાળા લશ્કરને પાછું ખેંચવાની માંગણી કરી, પરંતુ બંનેની હઠના કારણે ત્યાં પણ કોઇ નિર્ણય થઈ શક્યો નહી.

લોર્ડ માઉન્ટબેટને બ્રિટિશ વડાપ્રધાનને ‘અંગત મધ્યસ્થી’ માટે પ્રયાસ કરવા વિનંતિ કરી પરંતુ તેમણે એમ કરવાની ના પાડી અને સંયુક્ત રાષ્ટ્રસંઘનાં શરણે જવા સુચવ્યું. અંતે લોર્ડ માઉન્ટબેટનની સલાહથી હિંદ સરકારે સંયુકત રાષ્ટ્રસંઘ પાસે કાશ્મીરનો પ્રશ્ન રજૂ કરવાનો નિર્ણય કર્યો. આ ઝઘડો બહારની સંસ્થા સમક્ષ લઇ જવાના નિર્ણયથી ગાંધીજી ખુશ નહોતા, તેમણે ચેતવણી આપી હતી કે, ‘એથી કેવળ વાંદરાનો ન્યાય જ મળશે.

  • કોંગ્રેસનું નેતૃત્ત્વ

મૌલાના આઝાદ, સરદાર પટેલ (ડાબી બાજુથી ત્રીજા, અગ્રભૂમિમાં), તથા અન્ય કોંગ્રેસીઓ, વર્ધામાં

જ્યારે ગાંધીજીએ દાંડીસત્યાગ્રહ ચાલુ કર્યો ત્યારે સરદારની રાસ ગામમાંથી ધરપકડ કરી તેમની ઉપર સાક્ષી, વકીલની કે પત્રકારોની ગેરહાજરીમાં મુકદમો ચલાવવામાં આવ્યો. પહેલા સરદાર અને ત્યાર બાદ ગાંધીજીની ધરપકડથી સત્યાગ્રહે વધુ જોર પકડ્યું અને જ્યાં સુધી બન્નેને છોડવામાં નહીં આવ્યા ત્યાં સુધી ગુજરાતના જિલ્લાઓએ કર વિરોધી ચળવળ ચલાવી.

જેલમાંથી છુટ્યા બાદ સરદાર વચગાળાના કોંગ્રેસ પ્રમુખ બન્યા પણ તરતજ મુંબઈમાં એક સરઘસની આગેવાની કરતી વખતે તેમની પાછી ધરપકડ કરવામાં આવી. ગાંધી-ઇરવિન કરાર પર સહી થયા બાદ સરદારને કોંગ્રેસના ૧૯૩૧નાં કરાચી અધિવેશનમાં પ્રમુખ તરીકે ચુંટવામાં આવ્યા કે જ્યાં કોંગ્રેસે સમજુતીની બહાલી કરી જેના પ્રમાણે તે મુળભુત હક્કો અને માનવીય સ્વતંત્રતાઓ, બિનસાંપ્રદાયિક દેશ માટેની કલ્પના તથા ન્યૂનતમ વેતનની બહાલી અને અસ્પૃશ્યતા તથા ખેતગુલામીને નાબુદ કરવા પ્રત્યે કટીબદ્ધ રહેશે. સરદાર તેમના હોદ્દોનો ઉપયોગ કરી ગુજરાતના ખેડુતોની જપ્ત થયેલી જમીન પરત અપાવવાનું આયોજન કરી આપ્યું.

લંડનની ગોળમેજી પરીષદ નિષ્ફળ નીવડતા વેંત આઝાદી માટેની ચળવળને પુન: જોર મળ્યું અને જાન્યુઆરી ૧૯૩૨માં ગાંધીજી તેમજ સરદારની ધરપકડ કરી તેમને યરવડાં જેલમાં રાખવામાં આવ્યા. તેમના જેલવાસ દરમ્યાન સરદાર અને ગાંધીજી વચ્ચે સ્નેહ, વિશ્વાસ તથા નિખલાસતાનો બંધન બંધાયો કે જેને મોટાભાઈ – ગાંધીજી અને તેમના નાના ભાઈ સરદાર વચ્ચેના બંધુત્વ તરીકે વર્ણવી શકાય. ગાંધીજી સાથે થતી સરદારની અવારનવાર દલીલો છતાં તેમને ગાંધીજીની સહજ વૃત્તિ તથા આગેવાની પ્રત્યે માન હતું. જેલવાસ દરમ્યાન બન્ને રાષ્ટ્રીય તેમજ સામાજીક મુદ્દાઓ ઉપર ચર્ચા કરતા, હિંદુ મહાકાવ્યો વાંચતા તથા વિનોદી ટુચકાઓ કહેતા. ગાંધીજીએ તેમને સંસ્કૃત ભાષા પણ શિખવી હતી.

ગાંધીજીના સચિવ મહાદેવ દેસાઈ બન્ને વચ્ચેની વાર્તાલાપની વિસ્તૃત નોંધ રાખતા. હરીજનોને વેગળા અપાયેલા મતદારમંડળના વિરોધમાં ગાંધીજી જ્યારે આમરણ ઉપવાસ ઉપર ઉતર્યા ત્યારે સરદારે તેમની દેખરેખ કરી હતા તથા પોતે પણ અન્નનો ત્યાગ કરી તેમાં જોડાયા હતા. પછીથી સરદારને નાસિક જેલમાં ખસેડવામાં આવ્યા કે જ્યાં ૧૯૩૪માં તેમનાં મોટાભાઈ વિઠ્ઠલભાઈના દેહાંત બાદ તેમની અંતિમક્રિયામાં ભાગ લેવા બ્રિટિશ સરકારે સરદારને થોડા દિવસો માટે મુક્ત કરવાની તૈયારી દાખવી હોવા છતા તેમણે તે સ્વીકારી ન હતી. ૧૯૩૪ અને ૧૯૩૭માં સરદારે અખિલ ભારતીય ચુંટણી માટેના કોંગ્રેસી પ્રચારનું નેતૃત્વ કર્યું હતું કે જેમાં તેઓએ નાણાં એકઠા કરાવ્યા, ઉમેદવારોની પસંદગી કરી તથા મુદ્દાઓ અને પ્રતિસ્પર્ધિ તરફ કોંગ્રેસના વલણને નિશ્ચિત કર્યું.

પોતે ચુંટણીમાં ઉભા ન હોવા છતાં તેમણે અન્ય કોંગ્રેસીઓને પ્રાંતિય તેમજ રાષ્ટ્રીય ચુંટણી જીતવામાં માર્ગદર્શન પુરું પાડ્યું હતું. હરસ માટેની શસ્ત્રક્રિયા કરાવ્યા છતાં ૧૯૩૭માં તેમણે બારડોલીમાં પ્લેગ તથા દુષ્કાળના અતિક્રમણ સામેના રાહતના કાર્યોમાં માર્ગદર્શન આપ્યું. તેમણે ચુંટણીમાં જીતેલા કોંગ્રેસી મંત્રીઓને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખ્યું કે જેનાથી પાર્ટીમાં શિસ્ત જળવાઈ રહી. સરદારને ડર હતો કે અંગ્રજો ચુંટાયેલા કોંગ્રેસીઓ વચ્ચે મતભેદો ઉભા કરવામા કસર બાકી નહીં રાખે કે જેના લીધે પુર્ણ સ્વરાજના ધ્યેય ઉપરથી ચુંટાયેલા કોંગ્રેસીઓનું ધ્યાન હટી જાત. ૧૯૩૬ના કોંગ્રેસ અધિવેશન દરમ્યાન નેહરુની સમાજવાદને અપનાવાની ઘોષણાની વિરુધ્ધ તેમના નેહરુ સાથે મતભેદો ઉભા થયા.

૧૯૩૮માં, ત્યારના કોંગ્રસ પ્રમુખ સુભાષચંદ્ર બોઝના ગાંધીજીની અહીંસાને લગતા સિદ્ઘાંતોથી વિમુખ થવાના પ્રયત્નોનો સરદારે બીજા કોંગ્રેસીઓ સાથે મળીને વિરોધ કર્યો. તેઓ બોઝને સરમુખત્યારશાહ તથા પાર્ટી ઉપર વધુ વર્ચસ્વ સાધવાની ઈચ્છા ધરાવતા હોય તેમ માનતા. સરદારે વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓને લઈ વિરોધ દર્શાવ્યો કે જેના લીધે બોઝે રાજીનામું આપવું પડ્યું હતુ. પણ બોઝના સમર્થકો, સમાજવાદીઓ તથા બીજા કોંગ્રેસીઓ પાસેથી તેમણે ટીકાનો સામનો કરવો પડ્યો કે જેમના પ્રમાણે પટેલ પોતે ગાંધીજીના સત્તાધિકારને બચાવવા સરમુખત્યારની જેમ વર્તી રહ્યા હતા.

  • ભારત છોડો

જ્યારે બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ગાંધીજીના મતની વિરુદ્ધ જઈ સરદારે કેન્દ્રીય તથા પ્રાંતિય ધારાસભામાંથી કોંગ્રેસના નીકળી જવાના નેહરુના નિર્ણયનું સમર્થન કર્યું હતું તથા ચક્રવર્તી રાજગોપાલાચારીની એ પહેલ કે જેના પ્રમાણે જો અંગ્રેજ સરકાર યુદ્ધ પછી જો તરતજ લોકશાહીની સરકાર સ્થાપવા તૈયાર હોય તો કોંગ્રેસ તેનુ પુર્ણ સમર્થન યુદ્ધ દરમ્યાન આપે, તે પહેલને પણ ટેકો આપ્યો હતો.

આઞાદ, પટેલ તથા ગાંધી એઆઈસીસી ની એક સભા દરમ્યાન મુંબઈમાં, ૧૯૪૦

ગાંધીજીનો યુદ્ધ સામે નૈતિક વિરોધ હવાથી તેમણે અંગ્રેજ સરકારને કોઈપણ જાતનો ટેકો આપવાની તરફેણમાં ન હતા, જ્યારે સુભાષચંદ્ર બોઝે અંગ્રેજોની સામે લશ્કરી મોર્ચો બાંધ્યો હતો. અંગ્રેજોએ રાજગોપાલાચારીની પહેલ ઠુકરાવી દીધી ને સરદારે પાછી ગાંધીજીની આગેવાની સ્વીકારી. તેઓ ગાંધીજીએ આપેલા વ્યક્તિગત અસહકારની હાકમાં સહભાગી થયા અને ૧૯૪૦માં તેમની ૯ મહીના માટે ધરપકડ કરવામાં આવી. તેમણે ૧૯૪૨માં ક્રિપ્સ મિશનને આપેલી સુચનાઓનો પણ વિરોધ કર્યો હતો. આ દરમ્યાન જેલમાં તેમનું ૯ કિલો જેવું વજન ઘટ્યું હતું શરુઆતમાં જ્યારે નેહરુ, રાજગોપાલાચારી તેમજ મૌલાના આઝાદએ અંગ્રેજોને ભારત છોડાવવા માટે ગાંધીજીની ભારત છોડોની હાકાલની ટીકા કરી હતી ત્યારે સરદાર તેના ઉત્સાહી સમર્થક હતા.

તેમની દલીલ હતી કે જેમ અંગ્રેજોએ સિંગાપુર તથા બર્મામાંથી પિછેહઠ કરી હતી તેમજ તેઓ ભારતમાંથી પણ કરશે અને ભારત છોડોની શરુઆત તુરંત થવી જોઈએ. અંગ્રેજો તુરંત ભારત છોડીને નહી જાય તે વાતથી વાકેફ હોવા છતાં સરદાર ખુલ્લા બળવાની તરફેણમાં હતા કારણકે તેમને એમ હતું કે વિશ્વયુદ્ધ પ્રત્યેના અલગ અલગ અભિગમોમાં વહેચાએલાં લોકોને આવો બળવો ઉત્તેજીત કરી એકજુટ કરશે. તેમના મતે ખુલ્લા બળવાનો એક ફાયદો એ પણ હતો કે તેનાથી અંગ્રેજ સરકારે માનવું પડત કે તેમના રાજનું ભારતમાં કોઈ સમર્થન ન હતું તથા તેમણે ભારતીયોને સત્તા સોંપવાનું કામ ઝડપથી ચાલુ કરી દેવું જોઈએ.

બળવામાં પોતાનો પુર્ણ વિશ્વાસ હોવાથી જો તેને કોંગ્રેસ તરફથી સમર્થન ન મળે તો સરદારે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની ઈચ્છા પણ દર્શાવી હતી. ગાંધીજીએ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતી ઉપર બળવાને સ્વીકૃતી આપવા દબાણ કર્યુ કે જેના પરીણામે સમિતીએ 7 ઓગસ્ટ 1942માં અસહકાર ચળવળને મંજુરી આપી હતી. જેલવાસ દરમ્યાન તેમની તબીયત કથળી હોવા છતાં સરદારે ભારતભરમાં મોટા જન સમુદાયોને લાગણીશીલ ભાષણો આપ્યા હતા કે જેમાં તેમણે લોકોને કર નહી ભરીને અસહકાર ચળવળમાં સામેલ થવા તથા મોટાપાયે ધરણા આયોજી સનદી સેવાઓને ઠપ કરવા કહ્યું હતું. તેમણે નાણાં એકઠા કર્યા તથા રાષ્ટ્રીય નેતાઓની ધરપકડનાં ભય સામે બીજી હરોળના સંચાલકો ઉભા કર્યા. ૭મી ઓગસ્ટે સરદારે મુંબઈની ગોવાળીયા ટેંક મેદાનમાં ૧૦૦૦૦૦ લોકોની સામે ભાષણ કરતા કહ્યુ હતું:

“બર્માના ગવર્નર લંડનમાં શેખી હાંકે છે કે તેઓ બર્મામાં બધુ ધુળમાં મળી ગયા બાદજ ત્યાંથી નિકળ્યા હતા, તો શું તમે અમને પણ એજ વચન આપો છો?… તમે તમારા રેડીયો પ્રસારણ તથા છાપાઓમાં બર્મામાં સ્થપાયેલી સરકારને જાપાનીઓની કઠપુતળી તરીકે ઓળખાવો છો? તો તમારી દિલ્હીની સરકાર કેવી છે? જ્યારે યુદ્ધની મધ્યમાં ફ્રાંસ નાઝીઓની સામે હારી રહ્યું હતું ત્યારે શ્રી ચર્ચીલે ઈંગલેન્ડ સાથે તેના સમન્વયની દરખાસ્ત મુકી. અને તે દરખાસ્ત તો અલબત પ્રેરિત રાજનિતીજ્ઞતાનો દાખલો હતો.

પણ જ્યારે ભારતની વાત આવે છે ત્યારે? નહીં નહીં! યુદ્ધ ગાળા દરમ્યાન બંધારણીય ફેરફારો? તે બાબતમાં વિચારી પણ ન શકાય… આ વખતનું ધ્યેય જાપાનીઓના આવ્યા પહેલા ભારતને આઞાદ કરાવવાનો તથા જો તેઓ આવે તો તેમને લડત આપવા તૈયાર રહેવાનો છે. તેઓ (અંગ્રેજો) નેતાઓને પકડી લેશે, બધા નેતાઓને પકડી લેશે. અને ત્યાર બાદ અહિંસાની હદમાં રહીને સૌથી વધુ પ્રયત્ન કરવાનું કર્તવ્ય પ્રત્યેક ભારતીયનું રહેશે.. બદા સ્ત્રોત્ર વપરાવા જોઈએ, કોઈ પણ હથિયાર બાકી ન રહેવું જોઈએ. આ તક જીવનભરમાં એકજવાર આવે તેવી બની રહેશે.”

ઇતિહાસકારોનુ માનવું છે કે પ્રસ્તાવિત બળવાને શંકાની નજરે જોનારા રાષ્ટ્રવાદીઓને ઉત્તેજીત કરવામા સરદારનું આ ભાષણ જ કારણભુત થઈ રહ્યું હતું. તેમજ આ ગાળા દરમ્યાન સરદારના સંઘટન કાર્યને ઇતિહાસકારોએ ભારતભરમાં બળવાને સફળ બનાવવા પછાળનું મુખ્ય કારણ માન્યું.

9મી ઓગસ્ટે સરદારની ધરપકડ કરવામાં આવી અને તેમને સંપુર્ણ કોંગ્રસ કાર્યકરી સમિતીની સાથે ૧૯૪૨થી ૧૯૪૫ સુધી અહમદનગર કિલ્લાના કારવાસમાં બંદી તરીકે રાખવામાં આવ્યા હતા. ત્યાં તેઓ કપડાં કાંતતા, બ્રિજની રમત રમતા, મોટી સંખ્યામા પુસ્તકો વાંચતા, લાંબા ગાળા સુધી ચાલવા જતા તથા બગીચામાં કામ કરતા. બહારના સમાચારો તથા ગતીવિધીઓમાં થતા વિકાસની રાહ જોતા જોતા તેઓએ તેમના સહકાર્યકરોને ભાવનાત્મક ટેકો પુરો પાડ્યો. મહાદેવ દેસાઈ તથા કસતુરબાના દેહાંતના સમાચાર સાંભળી તેઓ ખુબ દુભાયા હતા. સરદારે તેમના પુત્રીને એક કાગળમાં લખ્યું હતું કે તેઓ તેમજ તેમના સહકાર્યકરો “પુર્ણ શાંતીનો” અનુભવ કરી રહ્યા હતા કારણકે તેમણે ”પોતાની ફરજ” પુર્ણ કરી હતી.

આંદોલનને અન્ય રાજકીય પક્ષોનો વિરોધ તેમજ અંગ્રોજ સરકારે આંદોલનને દાબવા માટે અપનાવેલા કઠોર વલણ છતા, વાઇસરોયે વિંસ્ટન ચર્ચીલને મોકલાવેલા એક તાર પ્રમાણે ભારત છોડો આંદોલન “૧૮૫૭ના બળવા બાદ સૌથી ગંભીર બળવો હતો”. એક લાખથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી તથા હજારો લોકો પોલીસ દ્વારા કરવામા આવેલા ગોળીબારીમાં મૃત્યુ પામ્યા હતા. હડતાળો, ધરણા તથા અન્ય ક્રાંતીકારી ગતીવિધીઓ ભારતભરમાં ઉગી આવી હતી. ૧૫ જુન ૧૯૪૫માં જ્ચારે સરદારને મુક્ત કરવામા આવ્યા ત્યારે તેમણે જાણ્યું કે અંગ્રેજો ભારતીયોને સત્તા સોંપવાના પ્રસ્તાવ ઉપર કામ કરી રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.