- ગુજરાતના નાગરિકો ઉપર આવતી કુદરતી આફતોમાં અમારી સરકાર હંમેશા તેમની પડખે ઉભી રહી છે: મંત્રી બલવંતસિંહ રાજપૂત
- વર્ષ 2024માં પાક નુકશાની માટે SDRFમાંથી અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ. 1333.62 કરોડની સહાય ચૂકવાઈ
- છેલ્લા પાંચ વર્ષમાં ભારત સરકારે SDRF હેઠળ 75 ટકા લેખે કુલ રૂ. 5,852.8 કરોડ તેમજ ગુજરાત સરકારે 25 ટકા લેખે કુલ રૂ. 1,949.6 કરોડના ફંડની ફાળવણી કરી
વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી વતી મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની અમારી ડબલ એન્જિનની સરકારે હરહંમેશ ગરીબો, યુવાનો, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષને પ્રાધાન્ય આપ્યું છે.
ગુજરાતના નાગરિકો ઉપર આવતી કુદરતી આફતોમાં અમારી સરકાર હંમેશા તેમની પડખે ઉભી રહી છે. આફતો સમયે નાગરિકોને થયેલા નુકસાન સામે SDRFના ધારા ધોરણો મુજબ તેમને રાજ્ય સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં 75 ટકા કેન્દ્ર સરકાર અને 25 ટકા ફાળો રાજ્ય સરકારનો હોય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ સંદર્ભે વધુ વિગતો આપતાં મંત્રીએ કહ્યું હતું કે, ગત વર્ષ 2024માં ગુજરાતમાં પડેલા કમોસમી અને ભારે વરસાદમાં થયેલા નુકશાન સામે ખેડૂતોને સહાય ચૂકવવામાં માટે SDRFમાંથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને કુલ રૂ. 1333.62 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં ભારત સરકારે SDRF હેઠળ 75 ટકા લેખે કુલ રૂ. 5852.8 કરોડ તેમજ ગુજરાત સરકારે 25 ટકા લેખે કુલ રૂ. 1949.6 કરોડના ફંડની ફાળવણી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કુદરતી આપત્તિઓ સમયે અસરગ્રસ્તોને માનવમૃત્યુ/માનવઇજા, કપડા અને ઘરવખરી સહાય, મકાન/ઝૂંપડા સહાય, ઘાસચારા સહાય, ખેડૂતોને પાક નુકશાન અને જમીન ધોવાણ સહાય, પશુ મૃત્યુ સહાય, દૈનિક રોકડ સહાય (કેશડોલ્સ ), માછીમારોની હોડી અને જાળીને થયેલ નુકશાન માટે, હસ્તકલા અને હાથશાળ કારીગરોને થયેલ નુકશાન માટેની સહાય રાજ્ય સરકાર દ્વારા SDRFમાંથી આપવામાં આવે છે.