Abtak Media Google News

પરિણીત કે અપરિણીત તમામ મહિલાઓને સુરક્ષિત-કાયદાકીય ગર્ભપાતનો અધિકાર!!

સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક ચુકાદો આપતા મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. હાલ સુધી પત્નીની ઈચ્છા વિરુદ્ધ બાંધવામાં આવેલા શરીર સંબંધને વૈવાહિક દુષ્કર્મ તરીકેનો અપરાધ ગણવો કે કેમ તે અંગે અનેક દ્વિધા હતી પરંતુ આ પ્રકારના મામલામાં સુપ્રીમે મહિલાને ગર્ભપાતની મંજૂરી આપતા વૈવાહિક દુષ્કર્મ પણ અપરાધ છે તેવું અદાલતે સ્વીકાર્યું છે. સુપ્રિમનો આ ચુકાદો આગામી સમયમાં વૈવાહિક દુષ્કર્મના ગુન્હામાં લેન્ડમાર્ક ચુકાદો સાબિત થશે.

મેડીકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ પરિણીત મહિલા દ્વારા બળજબરીથી ગર્ભાવસ્થાને બળાત્કાર તરીકે ગણવામાં આવે છે. એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે મહિલા અધિકારો માટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. બધી મહિલાઓને ગર્ભપાતનો અધિકાર છે, પછી એ વિવાહિત હોય કે અવિવાહિત- બધી મહિલાઓ સુરક્ષિત અને કાનૂની ગર્ભપાતની હકદાર છે. વાસ્તવમાં અત્યાર સુધી વિવાહિત મહિલાઓને જ 20 સપ્તાહથી વધુ અથવા 24 સપ્તાહથી ઓછા સમય સુધી ગર્ભપાતનો અધિકાર હતો, પણ કોર્ટના આ ચુકાદા પછી અવિવાહિત મહિલાઓને પણ આ સમયમર્યાદા સુધી ગર્ભપાત કરાવવાનો અધિકાર હશે. આ ચુકાદો જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની ખંડપીઠે આપ્યો હતો.મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ ગર્ભપાત માટેના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

ગર્ભપાત અને શરીર પર મહિલાઓના અધિકારોને લઈને સુપ્રીમ કોર્ટે આ મોટો નિર્ણય આપ્યો છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે, ‘વિવાહિત મહિલાઓ પણ બળાત્કારનો શિકાર બની શકે છે. બળાત્કાર એટલે સંમતિ વિના સંબંધ બાંધવો અને પાર્ટનર દ્વારા હિંસા એ હકીકત છે. આવા કિસ્સાઓમાં, સ્ત્રી બળજબરીથી ગર્ભવતી પણ બની શકે છે. કોર્ટે કહ્યું કે જો આ રીતે પરિણીત મહિલા બળજબરીથી સેક્સને કારણે ગર્ભવતી બને છે તો તે પણ બળાત્કાર સમાન બની શકે છે. કોર્ટે કહ્યું, ‘કોઇપણ પ્રેગ્નન્સી જેમાં મહિલા કહે છે કે તેને બળજબરીથી કરવામાં આવી છે, તેને બળાત્કાર માની શકાય છે.’

કોર્ટે સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે પતિ દ્વારા યૌન સંબંધ બનાવવો એ બળાત્કારની શ્રેણીમાં આવશે. જે પત્નીઓએ પતિ દ્વારા જબરદસ્તી બનાવવામાં આવેલા યૌન સંબંધ પછી ગર્ભધારણ કર્યો છે તો એ મામલો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી રૂલ્સ નિયમ 3 બી(એ) હેઠળ યૌન ઉત્પીડન અથવા બળાત્કારના દાયરામાં આવે છે, એમ કોર્ટે કહ્યું હતું.

એમટીપી એક્ટનો ઉલ્લેખ કરતા, જસ્ટિસ એસ બોપન્ના અને જસ્ટિસ જેપી પારડીવાલાની બનેલી બેંચે કહ્યું કે અપરિણીત મહિલા પણ કોઈની પરવાનગી વિના 24 અઠવાડિયાના સમયગાળા માટે ગર્ભપાત કરાવી શકે છે. છૂટાછેડા લીધેલ, વિધવા મહિલાઓ હાલના નિયમો અનુસાર 20 અઠવાડિયા પછી ગર્ભપાત કરાવી શકતી નથી. અન્ય મહિલાઓ માટે 24 અઠવાડિયા સુધી ગર્ભપાતની મંજૂરી આપવાની જોગવાઈ છે. તેના પર કોર્ટે કહ્યું કે કાયદો સાંકડા આધાર પર વર્ગીકરણ કરી શકે નહીં. ગર્ભાવસ્થા ચાલુ રાખવી કે ગર્ભપાત કરાવવો, તેસ્ત્રીના પોતાના શરીર પરના અધિકાર સાથે જોડાયેલી બાબત છે.

કોર્ટે સ્પષ્ટ કહ્યું કે મહિલા પાસેથી આ અધિકાર છીનવી લેવો તે તેની ગરિમાને કચડી નાખવા સમાન છે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય 25 વર્ષની અવિવાહિત યુવતીની અરજી પર સુનાવણી કરતા આપ્યો છે. યુવતી 24 અઠવાડિયાની ગર્ભવતી હતી અને દિલ્હી હાઈકોર્ટે તેને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી ન હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે તે આ બાળકને દત્તક લેવા માટે કોઈને આપી શકે છે. જો કે, 21 જુલાઈએ જ સુપ્રીમ કોર્ટે આ મામલામાં યુવતીને રાહત આપતાં કહ્યું હતું કે જો તે તબીબી રીતે ગર્ભપાત કરાવવાની સ્થિતિમાં છે, તો તે થઈ શકે છે. ત્યારે કોર્ટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ પર વિચાર કરવાનું પણ કહ્યું હતું, જેના હેઠળ પરિણીત અને અપરિણીત મહિલાઓ માટે અલગ-અલગ નિયમો છે.

ગર્ભપાતની મંજૂરી ન આપવી તે નારી ગરિમાને કચડી નાખવા સમાન: સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે ગર્ભપાત અંગેનો ચુકાદો આપતા કહ્યું હતું કે, મહિલા પરિણીત હોય કે અપરિણીત તેને ગર્ભપાતની મંજૂરી ન આપવી તે નારી ગરિમાને કચડી નાખવા સમાન છે. મહિલાએ કેવી પરિસ્થિતિમાં ગર્ભ ધારણ કર્યો છે તે ફક્ત મહિલા જ જાણે છે અને ઘણીવાર સંકુચિત સમાજમાં મહિલા કોઈની સાથે ખૂલીને વાત પણ કરી શકતી નથી તેવા સમયમાં જો મહિલા ગર્ભપાત કરવા માંગતી હોય અને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એકટની જોગવાઈ મુજબના સમયગાળા દરમિયાન મહિલાએ ગર્ભપાતની મંજૂરી માંગી હોય તો મંજૂરી આપવી ખૂબ જ જરૂરી છે તેવું કોર્ટે નોંધ્યું છે.

પરિણીત અને અપરિણીત મહિલા વચ્ચે ભેદભાવ શા માટે?: સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે ગર્ભપાત અંગે નિર્ણય લેતા સમયે ટાંકયું હતું કે, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટમાં ક્યાંય પણ અપરિણીત કે અપરિણીત મહિલા શબ્દનો ઉપયોગ કરાયો નથી. એક્ટમાં મહિલાઓને સમાન અધિકાર આપવામાં આવ્યો છે તો પછી મહિલા પરિણીત હોય કે અપરિણીત હોય તેને ગર્ભપાતની મંજૂરી આપી જ શકાય છે. ગર્ભપાત કરાવવો કે નહીં તેનો નિર્ણય લેવાનો જવા તે મહિલાને સંપૂર્ણ અધિકાર છે, અપરિણીત અને પરિણીત મહિલા સાથે ભેદભાવ રાખી શકાય નહીં.

લિવ ઇન રીલેશનમાં બંધાયેલા શરીર સંબંધમાં પણ ગર્ભપાત કરાવી શકાય!!

સર્વોચ્ચ અદાલતે ગર્ભપાતના ચુકાદામાં લિવ ઇન રીલેશનમાં રહેતા યુગલનો પણ ઉલ્લેખ કર્યો છે. કોર્ટે નોંધ્યું છે કે, લિવ ઇન રિલેશનમાં રહેતા યુગલ વચ્ચે શરીર સંબંધ બંધાય અને મહિલા ગર્ભ ધારણ કરવા ન ઇચ્છતી હોય તો તેને પણ ગર્ભપાત કરતા અટકાવી શકાય નહીં. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટમાં મહિલાને સંપૂર્ણ હક આપવામાં આવ્યા છે જે લિવ ઇન રીલેશનમાં રહેતી મહિલા માટે પણ લાગુ પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.