Abtak Media Google News

જમીનમાં માયા હોવાનું કહી વિધિ કરવાના બહાને રૂ.૪.૨૦ લાખની ઠગાઈ કરી ’તી

જમીન વેંચ્યાની જાણ હોવાથી ઠગ ટોળકીએ પ્રૌઢને શિશામાં ઉતાર્યા

વિસાવદરના એક ખેડૂતને માયા (સોનું) કાઢી આપવાની લાલચ આપી, રૂ. ૪.૭૧ લાખ પડાવી લઇ, છેતરપિંડી કરી, રફુચક્કર થઈ જનાર ધૂતારી ટોળકીને વિસાવદર પોલીસે ગણત્રીની કલાકોમાં પકડી પાડી, રૂ. ૩ લાખ રોકડા અને એક વાહન મળી રૂ. ૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી, આરોપીઓના ૨ દિવસના પોલીસ રિમાન્ડ મેળવી, વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સુખપુર ગામે રહેતા અને ખેતી કરતા ફરિયાદી ભુપતભાઇ પરબતભાઇ રામાણી (ઉવ.૫૦) આરોપીઓ રવજી રાઠોડ ઉર્ફે રવિબાપુ, લાલજીભાઇ રામજીભાઇ, રમેશભાઈ ઉર્ફે કાળું તથા અઘોરીબાબા વિરુદ્ધ પોતાની જમીનમાં માયા (સોનુ) હોવાનું જણાવી, વિશ્વાસ દેખાડી, રૂ. ૪,૭૧,૦૦૦ ની વિશ્વાસઘાત, ઠગાઈ, છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી.

જે અંગે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.પટેલ, હે.કો. વિમલભાઈ, પુનાભાઈ, કિશોરભાઈ, વિરલભાઈ, પો.કો. અવિનાશભાઈ, મેણશીભાઇ, હિતેશભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ અંગે સઘન તપાસ હાથ ધરી, જુદી જુદી જગ્યાઓએ રેઇડ કરી, આરોપીઓ લાલજીભાઈ રામજીભાઈ લીંબાણી (રહે. સુખપુર તા. વિસાવદર),  રવજીભાઈ ઉર્ફે રવિબાપુ ખીમાભાઈ રાઠોડ,(રહે. ભઠીયા વિસ્તાર, સતાધાર રોડ, વિસાવદર),  કાળુશા ઇસ્માઇલશા બચુશા રફાઈ તથા દિનેશભાઇ ઉર્ફે સુરેશભાઈ ખીમાભાઈ રાઠોડ,  (રહે. ચુડા તા. ભેસાણ જી. જૂનાગઢ) મહેબુબભાઈ અલ્લારખાભાઈ શેખ ( રહે. સાસણ, સરકારી દવાખાના પાસે, તા. મેંદરડા જી. જૂનાગઢ) તથા અસ્લમશા રહેમાનશા બનવા (રહે. વડલી શેરી, સાસણ તા. મેંદરડા જી. જૂનાગઢ)ની ધરપકડ કરવામાં આવી હતી.

જે મુજબ આરોપી રવજી ઉર્ફે રવિબાપુ ને આરોપી કાળુશા ફકીર સાથે સંપર્ક હોઈ, કાળુશા સોનુ/માયા બતાવી, છેતરપીંડી કરવામાં માહિર હોઈ, આ ત્રણેય આરોપીઓ દ્વારા ફરિયાદીને મળી, તેઓની જમીનમાં માયા દટાયેલ હોઈ, વિધિ કરવામાં આવે તો, માલામાલ થઈ જશે, એવું જણાવી, વિધિ કરવા માટે સ્મશાનની ભભૂત જોઈએ અને તે ભેસાણ બાજુથી મળશે, રૂ. ૫૧,૦૦૦ નો ખર્ચ થશે. તેવું જણાવી, ફરિયાદીને લઈને ભેસાણ બાજુ જતા, આરોપી દિનેશભાઇ ઉર્ફે સુરેશભાઈ ખીમાભાઈ રાઠોડ ભભૂત લઈને આવેલ અને રૂ. ૫૧૦૦૦ તેને આપવામાં આવેલ હતા. ત્યારબાદ આ ભભૂત લઈને ખેતરમાં આયોજનપૂર્વક વિધિ કરતા, ત્રણ સોનાના જણાવી, પિત્તળના બિસ્કીટ કાઢી આપેલ હતા.

જેથી ફરિયાદીને વિશ્વાસ આવેલ હતો. ત્યારબાદ ત્રણેય મુખ્ય આરોપીઓ દ્વારા વધુ માયા માટેની વિધિ કરવા સાડા સાત તોલાના સોનાના નાગની જરૂરિયાત પડશે, જેના માટે રૂ. ૪,૨૦,૦૦૦ ની જરૂરિયાત હોવાનું જણાવતા, ફરિયાદીને લાલચ જતા, જમીન વહેંચેલ તે રૂપિયા એચડીએફસી બેંકમાં પડ્યા હોય ત્યાંથી ઉપાડી, આપેલ અને પિતળનો નાગ સોનાનો હોવાનું જણાવી, લઈ આવી, ખેતરમાં ત્રણ ચાર કલાક વિધિ કરી, ડબ્બામાં નાગ મુકેલ છે એને બે ત્રણ દિવસ બાદ ખોલી, ખેતરમાં બતાવેલ જગ્યાએ ખોદકામ કરવા જાણ કરવામાં આવેલ હતી. વિસાવદર પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓ પાસેથી બાકીના મુદ્દામાલના રોકડ રૂપિયા રિકવર કરવા પૂછપરછ હાથ ધરી, દિન ૨ ના પોલીસ રીમાન્ડ ઉપર મેળવી, વધુ તપાસ વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.પટેલ તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.