Abtak Media Google News

આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કલ્પના હતી કે, પંચાયતો મિની સચિવાલય બને. તે કલ્પનાને સાકાર કરવા ગુજરાતે હાલ અત્યાધુનિક અને સુવિધાસભર પંચાયત ભવનોના નિર્માણ કાર્યો કર્યા છે, અને અમુક જિલ્લામાં નિર્માણ કાર્યો ચાલુ છે. આ સાથે મુખ્યમંત્રી રૂપાણીએ મોરબી જિલ્લા પંચાયતનું નૂતન ભવનનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ‘પંચાયત ભવનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પંચાયતી રાજના મંદિર સમાન છે. પંચાયતો મિની સચિવાલય બને તેવી ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકારે ગામડાં તાલુકા અને જિલ્લા કક્ષાએ અત્યાધુનિક, સુવિધાસભર પંચાયત ભવનોના નિર્માણ કર્યા છે. સત્તાના વિકેન્દ્રીકરણ એટલે કે ડીસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવરને પરિણામે સ્થાનિક સ્તરે જ વિકાસ કામોના નિર્ણયો થવાથી રાજ્યમાં વિકાસની ગતિને નવી દિશા મળી છે. સત્તાનું–પાવરનું વિકેન્દ્રિકરણ એ આજના યુગની આવશ્યકતા છે.’

Morbi Gandhinagar
‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રના નાણા સીધા જ ગ્રામ પંચાયતોને આપીને ગ્રામપંચાયતોને પોતાના વિકાસ સ્વયં કરવાની સત્તા અને તક આપી છે. લોકો પોતાનો ઇચ્છિત વિકાસ જાતે કરી શકે તેવી નેમ સાથે રાજ્ય સરકારે પણ ગ્રામપંચાયતને વધુ અધિકારો સાથે સક્ષમ કરી છે. જિલ્લા પંચાયતો લોકશાહીનું સારી રીતે જતન કરે અને માર્ગદર્શક સિદ્ધાંતોનું સારી રીતે પાલન કરે પરિણામે વ્યવસ્થિત વિકાસ થાય એ હેતુથી પંચાયતોને સ્વંતત્રતા આપવામાં આવી છે.’ એમ CMએ ઉમેર્યુ હતું.

Morbi
મુખ્યમંત્રીએ મોરબીમાં 27.46 કરોડના ખર્ચે નિર્મિત જીલ્લા પંચાયત ભવનનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કરતાં કહ્યું કે, ‘ગુજરાતના ગ્રામીણ લોકોની હૃદયની ભાવનાને ધબકતી રાખતા પંચાયત ભવનો સરકારની યોજનાઓને જન-જન સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પંચાયત ભવનો થકી લોકશાહીના મૂલ્યોનું જતન થાય અને વિકાસની સરવાણી વહેતી રહે તે માટે રાજ્યમાં પંચાયતી રાજની વ્યવસ્થા સુપેરે કાર્યરત છે. લોકોનો સરકાર પ્રતિ વિશ્વાસ વધે અને કર્મચારીઓ સ્ફૂર્તિથી ફરજ બજાવીને સાચા અર્થમાં કર્મયોગીઓ બને એવું આ સુવિધાસભર ભવન રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ લોકો સુધી પહોંચાડીને વિકાસનો ધોધ વહેડાવનારું ભવન બની રહેશે.’

Morbi 2આ સાથે CM રૂપાણીએ વધુ માહિતી આપતા કહ્યું કે, ‘જિલ્લા પંચાયતો સહિત સરકારી કચેરીઓના ભવનો સુવિધાસભર હોય. કોર્પોરેટ બિલ્ડિંગો કરતાં પણ ગુજરાત સરકારની કચેરીઓના ભવનો આધુનિક હોય એ દિશામાં ગુજરાત મોડેલ સ્ટેટ બની રહ્યું છે. અત્યાર સુધીમાં અમરેલી, અરવલ્લી, બોટાદ, મહીસાગર, દેવભૂમિ દ્વારકા, છોટાઉદેપુર, ગીરસોમનાથ અને મોરબી જિલ્લા પંચાયતોના નૂતન ભવન નિર્માણ થઈ ગયાં છે. જ્યારે સુરત, સુરેન્દ્રનગર, પંચમહાલ, ડાંગ અને ખેડા જિલ્લાપંચાયત ભવનોના નિર્માણ કાર્ય પ્રગતિમાં છે.’

Morbi 3‘મારૂ ગામ કોરોનામુક્ત ગામ’નો ઉમદા વિચાર મોરબી જિલ્લાએ આખા રાજ્યને આપ્યો છે, એમ કહીને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતું કે, ‘કોરોનાના કેસો ખૂબ જ વધારે હતા ત્યારે મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન અહીંના યુવાનોના ગામડાઓને સુરક્ષિત રાખવાના પ્રયત્નોની જાણકારી મળી હતી. મોરબી જિલ્લાની આ પ્રેરણાદાયી પહેલનો આખા રાજ્યમાં સારી રીતે અમલ થઇ શક્યો આ માટે તેમણે મોરબી જિલ્લાને વિશેષ અભિનંદન આપ્યા હતા.’

Morbi 4સમારોહના આરંભે પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશે સ્વાગત ઉદ્દબોધનમાં કહ્યું હતું કે, ‘રાજ્ય સરકાર જિલ્લાપંચાયતોના ભવનના નિર્માણ માટે 29 કરોડ અને તાલુકાપંચાયતના ભવન નિર્માણ માટે 2.5 કરોડ જેટલી માતબર રકમનું અનુદાન આપે છે. એટલું જ નહી ગ્રામપંચાયતોને નવા મકાનના બાંધકામ માટે વસતીના ધોરણે અનુદાન આપવામાં આવી રહ્યું છે. અત્યારે ગુજરાતમાં 92 તાલુકા પંચાયતોના નવા ભવનોનું નિર્માણ થઈ ગયું છે અને 2,227 ગ્રામપંચાયતોના નવા ભવનો બંધાયા છે જ્યારે 1,007 ગ્રામ પંચાયતોના નવા ભવનોના નિર્માણની કામગીરી પ્રગતિમાં છે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.