Abtak Media Google News

૧૫મીથી રાજયભરમાં શરૂ થતી બોર્ડની પરીક્ષા ટાંણે જ એસ.ટી.ના કર્મચારીઓની હડતાલથી વિદ્યાર્થીઓ રઝળી પડશે.

પગાર, જરૂરી ભથ્થા, છઠ્ઠા પગારપંચ અને કર્મચારીઓને થતી હેરાનગતિ સામે એસ.ટી.ના કર્મચારીઓનો વિરોધ: ૧૬મીથી માસ સી.એલની ચિમકી

એસ.ટી.નિગમમાં ફરજ બજાવતા ડ્રાઈવર-કંડકટર સહિત અન્ય કર્મચારીઓને મળવાપાત્ર લાભોથી વંચિત રાખીને રાજય સરકારે કરેલા અન્યાય સામે એસ.ટી.ના કર્મચારીઓએ બાયો ચઢાવી છે. આગામી ૧૫મી મધરાતથી કર્મચારીઓ માસ સી.એલ ઉપર ઉતરી જઈ વિરોધ નોંધાવશે. એકબાજુ ૧૫મીથી રાજયભરમાં બોર્ડની પરીક્ષાઓ શ‚ થઈ રહી છે. તે સમયે જ એસ.ટી.ના કર્મચારીઓની હડતાલથી બસોના પૈડા થંભી જશે અને વિદ્યાર્થીઓ પરીક્ષા ટાંણે જ રઝળી પડે તેવી જ પરિસ્થિતિ સર્જાય છે.

તા.૧૫ના રોજ માસ સી.એલ ઉપર કર્મચારીઓ વિરોધ પ્રગટ કરશે. બુધવારે મધ્યરાત્રીથી જ એસ.ટી.બસોના પૈડા બે દિવસ સુધી થંભી જનાર હોવાની માહિતી મળી છે અને એસ.ટી.ના કર્મચારીઓની માંગણીઓ સાથે વિરોધાત્મક કાર્યક્રમો અપાશે. છેલ્લા કેટલાક સમયથી રાજય સરકાર એસ.ટી.નિગમના કર્મચારીઓ સાથે ઓરમાયુ વર્તન કરી રહી છે. એસ.ટી.કર્મચારી મંડળની બનેલી સંકલન સમિતિ દ્વારા નિગમના કર્મચારીઓને લગતા જુદા-જુદા ૨૨ જેટલા પ્રશ્ર્નો મુદ્દે વારંવાર રજુઆત કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે છઠ્ઠા પગારપંચની વિસંગતતા દુર કરવા અને જીપીએસ સિસ્ટમના પગલે ડ્રાઈવર અને કંડકટરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. બીજીબાજુ ડ્રાઈવર કંડકટરની ભરતીમાં પણ મોટાપાયે અન્યાય થયો છે.

અન્ય સરકારી કર્મચારીઓની જેમ એસ.ટી.નિગમના કર્મચારીઓને એલટીસીનો લાભ આપવા, નવા પગારપંચ મુજબ ઓવરટાઈમ આપવા સહિતના પ્રશ્ર્નો મુદ્દે અવાર-નવાર રજુઆત કરવા છતા સરકારે કોઈ નકકર પગલા લીધા નથી. ત્યારે સરકારની આવી નીતિ સામે વિરોધ કરવા એસ.ટી.નિગમના કર્મચારીઓએ આગામી ૧૫મીની મધ્યરાત્રીથી માસ સી.એલ ઉપર જવાનું નકકી કર્યું છે. તા.૧૬ અને ૧૭ બે દિવસ કર્મચારીઓની માસ સી.એલ.ને પગલે રાજયની મોટાભાગની એસ.ટી.બસોના પૈડા થંભી જશે.

એકબાજુ આગામી ૧૫મી તારીખથી રાજયભરમાં બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ શ‚ થઈ રહી છે. તેવા સમયે જ રાજયભરની એસ.ટી.બસોના પૈડા થંભી જનાર હોય. મુસાફરોની સાથે વિદ્યાર્થીઓ પણ પરીક્ષા ટાંણે જ રઝળી પડશે. ગામડાના વિદ્યાર્થીઓને શહેરમાં બોર્ડની પરીક્ષા આપવા માટે એસ.ટી.બસની સુવિધા નહીં મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે અને નાછુટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે.

સંકલન સમીતીના ક્ધવીનર મહેશ વેકરીયાએ જણાવ્યું હતું કે એસ.ટી.નિગમમાં છઠ્ઠા પગારપંચના ૩૩ મહિનાના એરીયર્સ આ સંસ્થા અને અધિકારીઓ આપતા નથી. સાતમો પગારપંચ એસ.ટી નિગમના કામદારોને ન મળે પરંતુ સરહદ પર દેશનો જવાન ગન લઈને રક્ષણ કરે છે તેનાથી કમ અમારો એસ.ટી.નો ડ્રાઈવર કંડકટર નથી કારણકે તે પોતાની જાન જોખમમાં રાખીને મુસાફરોની સેવા કરે છે. શિયાળો, ઉનાળો કે ચોમાસુ હોય, ધરતીકંપ હોય કે સુરતમાં પાણી હોય કે પછી સરહદ પર પણ જ‚ર પડે ને તો એસ.ટી.નો કર્મચારી પાછી પાની નથી કરતો અને આવા કર્મચારીને સરકાર સાતમો પગાર પંચ ન આપે તો લાલ આંખ તો કરવી જ પડે અને આજે એસ.ટી.નિગમમાં આવેલા ત્રણેય યુનિયન એક થઈ ગયા છે અને આ સંગઠનને રોકવા માટે કોઈની તાકાત નથી. તા.૧૫મીએ રાત્રે ૧૨ વાગ્યા પછી એસટીનું વીલ એક પણ ઈંચ આગળ વધશે નહીં, અને આના માટે અમારા કર્મચારીઓ લડવા માટે તૈયાર છે. અમારા પ્રશ્ર્નો વ્યાજબી છે. સરકાર જો જાગે તો આ એસ.ટી.નિગમ તેની સાથે છે. નહિતર આ એસ.ટી.નિગમના કર્મચારીઓ કોઈની સાથે નથી. અમારા બાળકોની ચિંતા અમારા સંગઠનના માંધાતાઓ કરે છે. સરકારે સંકલન સમિતિને બોલાવી છે અને જો ઘીના ઠામમાં ઘી પડી જાય તો અમને આંદોલન કરવાની કોઈ જ‚ર નથી. આંદોલન અમારો હેતુ જ નથી માત્ર અમારા પ્રશ્ર્નો માટે આંદોલન કરવુ પડે છે. આ અંગે સરકારે આંખ ખોલવી જોઈએ અને અમારા પ્રાણ પ્રશ્ર્નનો ઉકેલ લાવવો જોઈએ અને જો અમારા પ્રશ્ર્નનો ઉકેલ નહી આવે તો અમે જાતની શરમ રાખ્યા વગર રોડ પર આવી જઈશું અને અમારું જે પણ થાય તે માટે અમારા સંગઠનના મિત્રોની તૈયારી છે.

રમેશભાઈ મોરવીયાએ જણાવ્યું હતું કે અમારી માંગણી સાતમા પગાર પંચને લઈને છે અને અમે સરકારને અમારી માંગણી અંગે તા.૧૬ અને ૧૭નું અલ્ટીમેટમ આપેલું છે અને જો સરકાર અમારી માંગણીનું નિવારણ કરશે તો અમે આવી કોઈ હડતાલ કરવા ઈચ્છતા નથી અને સરકાર જો અમારી માંગણીને પુરી નહી કરે તો અમે આનાથી વધારે આંદોલન કરવાની અમારી તેયારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.