Abtak Media Google News

નિકાસ માટેનો રસ્તો વધુ મોકળો બન્યો : સમગ્ર ભારતમાં એક કરોડ ગાસડીની આવક થઈ

છેલ્લા ઘણા સમયથી કપાસ ના પગલે કાપડ ઉદ્યોગને ઘણી માઠી અસરનો સામનો કરવો પડ્યો છે. પરંતુ છેલ્લા થોડા દિવસોમાં જે રીતે કપાસના ભાવમાં સ્થિરતા આવી છે તેને જોતા મંદ પડેલા ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવા પ્રાણ મુકાયા છે અને નિકાસ માટેનો રસ્તો વધુ મોકળો બન્યો છે. ભાવમાં જે રીતે સ્થિરતા આવી છે તેના કારણે સ્થાનિક બજારમાં કપાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યાપારીઓમાં એક આત્મવિશ્વાસ વધ્યો છે એટલું જ નહીં કપાસના ઓર્ડરોમાં પણ ઘણો ખરો વધારો નોંધાયો છે ત્યારે આ ઉદ્યોગ સાથે જોડાયેલા તજજ્ઞોનું માનવું છે કે હજુ પણ કપાસને લગતી નવી માંગ હોળી બાદ શરૂ થશે.

ગુજરાત કોટન એસોસિએશનના સચિવ અજય શાહે જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસમાં માર્કેટિંગ યાર્ડમાં નવા રો કોટનની આવક વધી છે. સમગ્ર ભારતમાં દોઢ લાખ ગાસડીયોની આવક થઈ છે જે ખરા અર્થમાં ખૂબ જ ઓછી કહી શકાય. ગુજરાત અંગે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રતિ દિવસ 45000 ગાંસડીઓ આવી રહી છે જ્યારે મહારાષ્ટ્રમાં પ્રતિ દિવસ ચાલીસ હજાર ગાંસળીઓની આવક નોંધાય છે જે સૂચક છે કે આવનારા સમયમાં કપાસની માંગમાં વધારો થશે અને જે નિકાસ માટેના જે દ્વાર છે એ પણ મોકળા બનશે. વૈશ્વિક પરિપેક્ષમાં કપાસના ભાવમાં ઘણો પોકાર ચડાવ જોવા મળતો હતો પરંતુ હવે તે ઘટના માંથી ટેક્સટાઇલ ઉદ્યોગને મુક્તિ મળી છે અને વૈશ્વિક સ્થિતિ સાનુકૂળ થતા જ કપાસના ભાવ સ્થિર થયા છે.

કપાસને લઈ આંતરરાષ્ટ્રીય બજાર અંગે જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો ભારતનો કપાસ વિશ્વના દેશોની સરખામણીમાં મોંઘુ છે ત્યારે નિકાસ માટે છેલ્લા દિવસોમાં માંગ પણ વધી છે એટલું જ નહીં હાલ વ્યવહારોની સાથે લગ્નની સીઝન હોવાના કારણે સ્થાનિક બજારમાં કપાસની માંગમાં જબ્બર વધારો નોંધાયો છે. પાવરલૂમ ડેવલોપમેન્ટ અને એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ભૂતપૂર્વ ચેરમેન ભરત છાજેરે જણાવ્યું હતું કે, સ્થાનિક ડિમાન્ડમાં જે વધારો થોડા દિવસોમાં જોવા મળ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે કપાસના ભાવમાં સ્થિરતા આવી. હાલ વિવિંગ અને પ્રોસેસિંગ યુનિટો માંગ વધતા ની સાથે 60% ની ક્ષમતાએ ચાલી રહી છે અને ચાઇનામાં માંગ ઘટી હોવાના કારણે ભારતને તેનો સીધો જ ફાયદો પહોંચ્યો છે.

સૌરાષ્ટ્રમાં કપાસની આવક હજુ પણ નહીંવત : હિતેશ રુઘાણી

જિનર્સ એસોસિએશનના હિતેશભાઈ રૂઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં હજુ પણ જે કપાસની આવક થવી જોઈએ તે થઈ નથી ત્યારે હોળી બાદ સૌરાષ્ટ્રમાં કપાસની વેચવાલી આવે તો નવાઈ નહીં. હાલ જે સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે મહારાષ્ટ્રમાં 350 થી 400 ગાડીઓની આવક થઈ છે અને પરિણામે કપાસની માંગમાં વધારો થયો છે પરંતુ હાલ જે રીતે ખેડૂતો દ્વારા કપાસને હોલ્ડ કરી દેવામાં આવ્યો છે તેનાથી સ્થાનિક બજારમાં આવકમાં સહેજ પણ વધારો જોવા મળ્યો નથી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ખેડૂતો કપાસ નથી વેચતા તેનું મુખ્ય કારણ એ છે કે તેઓને ઊંચા ભાવ જોઈ છે ત્યારે ગઈકાલે યાડમાં 2500 થી 3,000 ની રેન્જ વચ્ચે કપાસની આવક થઈ હતી. હિતેશભાઈ જણાવ્યું હતું કે નવી સિઝન ઓક્ટોબર મહિનાથી શરૂ થઈ જતી હોય છે પરંતુ હજુ સુધી જે આવક થવી જોઈએ તે થઈ શકી નથી. જો કપાસની આવક સૌરાષ્ટ્રમાં વધે તો જીનર્સને ઘણો ફાયદો પહોંચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.