Abtak Media Google News

મહેસૂલ વિભાગે રાજ્યના તમામ કલેક્ટર સહિત સબંધિત સરકારી વિભાગોને આપી સૂચના: SDRF માંથી સહાયની રકમ ચૂકવવામાં આવશે

ગુજરાત સરકારે ગુરુવારે મોડી રાત્રે આદેશ જારી કરીને કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓના વારસદારને અરજીના માત્ર 10 દિવસમાં જ સહાયની ચૂકવણી કરી દેવાની સૂચના આપી હતી. મહેસૂલ વિભાગે રાજ્યના તમામ કલેક્ટર સહિત સબંધિત સરકારી વિભાગોને આ આદેશ આપ્યો છે. જે અંતર્ગત SDRF માંથી સહાયની રકમ ચૂકવવામાં આવશે. સહાય માટે જારી કરવામાં આવેલા નવા ફોર્મમાં અરજદારના નામ, મોબાઇલ નંબર, આધાર નંબર, કોરોના મૃતક સાથેના સંબંધ તથા એકથી વધુ વારસદારના કિસ્સામાં અન્ય વારસદારની સંમતિની એફિડેવિટ તથા બેન્ક ખાતાની વિગતો માગવામાં આવી છે.

આદેશની સાથે એક ફોર્મ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આ ફોર્મમાં માગવામાં આવેલી વિગતો મેળવીને માત્ર 10 દિવસમાં સહાયની ચૂકવણી કરવા જણાવાયું હતું. સાથે જ પાટનગર ગાંધીનાગરના 61 કોરોના સહાય લાભાર્થીઓનુ લિસ્ટ પણ જાહેર કરાયુ છે. આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. જેના બાદ ગુજરાત સરકારને આ આદેશ કરવાની ફરજ પડી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવે કોરોનાએ ફરી માથુ ઉચક્યુ છે. ગત 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 31 કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં 10, વડોદરામાં 8, સુરતમાં 3 અને રાજકોટમાં 1 નવા કેસ નોંધાયા છે. અમેરિકા અને યુરોપના અન્ય દેશોની પરિસ્થિતિ જોઈને જ ભારતમાં પણ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. ભારતમાં પણ કોરોના ફરીથી માથું ઉચકી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. 13 રાજ્યોને કેન્દ્ર સરકારે પત્ર લખીને ટેસ્ટિંગનો દર વધારવાની સુચના આપી છે.

કોરોનાના નવા વેરિઅન્ટને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુઁ છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ તમામ રાજ્યોને પત્રથી જાણ કરી છે. રાજ્યોના મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવને પત્ર લખીને સાઉથ આફ્રિકામાં મળેલા નવા વેરિઅન્ટની માહિતી અપાઈ છે. નવા વેરિઅન્ટવાળા દેશમાંથી આવતા પ્રવાસીઓ પર નજર રાખવા તથા પ્રવાસીઓના ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરવાની સૂચના અપાઈ છે. આ વેરિઅન્ટ ઝડપથી ન ફેલાય તે માટેની સૂચના અપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.