Abtak Media Google News

દેશભરમાં ઠેર-ઠેર હોસ્પિટલના બેડ ફુલ થયા છે તો બીજી તરફ “કુત્રિમ પ્રાણવાયુ”ની ઘટ ઉભી થઇ છે. પ્રાણવાયુ ન મળતા સેંકડો દર્દીઓના પ્રાણ કોરોના હરી રહ્યો છે. દેશની આ વિકટ સ્થિતિમાં સ્થાનિક તંત્ર તેમજ સરકારને મદદરૂપ થવા ઘણા ઔધોગિક એકમોમાં આગળ આવ્યા છે. જેમાંથી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ પણ બાકાત નથી. દેશમાં પ્રાણવાયુને “પોલાદી”બળ પૂરું પાડી છેલ્લા છ માસમાં ઉત્પાદકોએ 1.43 લાખ ટન ઓક્સિજન ઉત્પાદિત કરી જરૂરીયાત મંદ રાજ્યો સુધી પહોંચાડ્યો છે. જો આ સ્ટીલ ઉત્પાદક કંપનીઓએ આગળ આવી 20 સપ્ટેમ્બરથી ઓક્સિજનનો પુરવઠો પૂરું પાડવાનું શરૂ કર્યું ન હોત તો કદાચ આજે દેશમાં વધુ વિકટ સ્થિતિ હોત.

સપ્ટેમ્બર 2020 થી 22 એપ્રિલ, 2021 સુધી, સ્ટીલ ઉદ્યોગ દ્વારા કુલ જાહેર અને ખાનગી ક્ષેત્રો સહિત – 1,43,876.283 મેટ્રિક ટનનો પ્રાણવાયુનો જથ્થો પૂરો પડાયો છે. જેમાંથી સ્ટીલ સી.પી.એસ.ઇ.નું યોગદાન 39, 805.73 મે.ટનનું છે. ખાનગી સ્ટીલ કંપનીઓમાં ટાટા સ્ટીલ, આર્સેલરમિત્તલ નિપ્પન સ્ટીલ ઇન્ડિયા (એએમએસએન ઈન્ડિયા), જેએસડબ્લ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ અને પાવર લિમિટેડ (જેએસપીએલ) અને વેદાંત ઇએસએલ છે,

જ્યારે રાજ્યની માલિકીની કંપનીઓ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (સેઇલ) અને રાષ્ટ્રીય ઇસ્પાત  નિગમ લિમિટેડનો સમાવેશ છે. આ કંપનીઓ દ્વારા જરૂરિયાત મંદ રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, દિલ્હી, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં  ઓક્સિજન સપ્લાય કરવામાં આવે છે. ટાટા સ્ટીલે કહ્યું કે તે વિવિધ રાજ્યોમાં દરરોજ 300 ટન પ્રાણવાયુ સપ્લાય કરે છે. જેએસડબ્લ્યુ સ્ટીલ અને જેએસપીએલે કહ્યું કે તેઓ દરરોજ અનુક્રમે 185 ટન અને 100 ટન સપ્લાય કરે છે. જ્યારે આરઆઇએનએલ દૈનિક 100 ટન પ્રાણવાયુ પહોંચાડે છે. સેલએ એક ટ્વિટમાં કહ્યું કે તે દરરોજ સરેરાશ 600 ટન ઓક્સિજનનો સપ્લાય કરે છે. અને તમામ કંપનીઓ તેમની દૈનિક સપ્લાય મર્યાદા વધારવાના પ્રયાસો કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.