Abtak Media Google News

સંતકબીર રોડ પર ધરાર પ્રેમીના ત્રાસથી કંટાળી ત્યક્તાએ ગળાફાંસો ખાઇ લીધો: આપઘાતની ફરજ પાડવાનો નોંધાતો ગુનો

મોચી બજારમાં નવોઢાએ કર્યો આપઘાત, હત્યાનો આક્ષેપ: રેલનગરમાં ‘હું મારી મોજમાં..’સ્ટેટસ રાખી યુવાને જીવન ટૂંકાવ્યું

શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળોએ આપઘાતના ત્રણ બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં સંતકબીર રોડ પર ધરાર પ્રેમીના ત્રાસથી કંટાળી ત્યક્તાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે ધરાર પ્રેમી સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો છે. તો બીજી તરફ મોચી બજારમાં તિલક પ્લોટમાં રહેતી નવોઢાએ રિસામણેથી સાસરીયે પરત આવીને આપઘાત કરી લેતા માવતરે હત્યાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે ત્રીજા બનાવમાં રેલનગરમાં શ્રદ્ધા પાર્કમાં રહેતા યુવાને વોટ્સઅપ પર ” હું મારી મોજમાં…..” અને ” બહેકી હવા સા થા વો..” સ્ટેટસ મૂકી આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સંતકબીર રોડ પર ત્રિવેણી સોસાયટીમાં રહેતી રાજલબેન મહેશભાઈ મેવાડા નામની 28 વર્ષીય ત્યકતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતકની માતા મધુબેનએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ રાજલ બેનના છૂટાછેડા થયા બાદ તે માવતરે જ રહેતી હતી.

જ્યાં છેલ્લા ત્રણ વર્ષથી લાલપરી વિસ્તારમાં રહેતો રાજેશ મકવાણા નામનો શખ્સ ત્યક્તાને પોતાની સાથે ધરાર સબંધ રાખવા માટે પજવણી કરતો હતો. પરંતુ રાજલ બેન ન માનતા રાજેશ તેણીની સાથે મારકૂટ પણ કરતો હતો.જેથી ગઇ કાલે રાજલ બેનના પરિવારજનો બહારગામ હતા ત્યારે ત્યકતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતકની માતાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાજેશ મકવાણા સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

અન્ય બનાવમાં મોચી બજાર તિલક પ્લોટમાં રહેતી દક્ષાબેન પ્રવીણભાઈ મકવાણા નામની 26 વર્ષીય નવોઢાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા માવતર પક્ષનાઓએ હત્યાનો આક્ષેપ કરતા પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક દક્ષાબેન પરમારના 10 માસ પહેલા જ લગ્ન થયા હતા. ત્યાર બાદ એક માસના જ લગ્ન ગાળા બાદ પોતે માવતર રિસામણે આવી ગઈ હતી. ગત શનિવારના રોજ દક્ષાબેનના સાસરિયા સાથે સમાધાન કરી તેડી ગયા હતા. પરંતુ ત્યાર બાદ દક્ષાબેનએ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે. જેથી માવતર પક્ષનાઓએ પોતાની પુત્રીની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

જ્યારે ત્રીજા બનાવમાં રેલનાગરમાં શ્રઘ્ધાપાર્ક સોસાયટીમાં રહેતા હર્ષદભાઈ રમેશભાઈ ચાવડા નામના 26 વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે જાણ થતાં પ્ર નગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક હર્ષદભાઈ ફર્નિચરનું કામ કાજ કરતા હતા. તેઓએ પોતાના વોટસએપ પર ” હું તો મારી મોજમાં…” અને “બહેતી હવા સા થા વો..” જેવા સ્ટેટસ મૂકી આપઘાત કરી લીધો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.