Abtak Media Google News

પતિ, સાસુ, સસરા, જેઠ સામે નોંધાતો ગુનો:
ઘર કંકાસ કરી મેળાટોણા મારતા તા

ભાવનગરમાં ત્રણ વર્ષ પહેલા ભાગીને પ્રેમલગ્ન કરનાર યુવતિને તુ ગમતી નથી તેમજ રસોઇ બનાવતા આવડતી નથી. તેવા સાસરીયાઓ દ્વારા મેણાટોણા મારી ત્રાસ આપી આપઘાતની ફરજ પાડયાની પતિ, સાસુ, સસરા અને જેઠ સામે પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.

અમદાવાદ નિકીલ ભગીરથ સોસાયટીમાં રહેતા ભરતભાઇ ઠાકરશીભાઇ ધંધુકીયા (ઉ.વ.40) એ ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કુંભારવાડામાં રહેતા જમાઇ વિપુલ ચીમનભાઇ રાવળ, સાસુ મધુબેન, અટારા ચીમનભાઇ અને જેઠ ઉમેશભાઇના નામ આપ્યા છે.

પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે  ફરીયાદી ભરતભાઇ ત્રણ વર્ષ પહેલા ભવનગર નિર્મળનગરમાં રહેતા હતા ત્યારે તેમની મોટી પુત્રી ફાલ્ગુનીબેન (ઉ.વ.ર4) કુંભારવાડામાં રહેતા વિપુલ રાવલ સાથે ભાગી જઇને પ્રેમલગ્ન કરી લીધા હતા જેના કારણે સમાજમાં બદનામીના ડરથી ફરીયાદી પોતાના પરિવાર સાથે અમદાવાદ રહેવા જતા રહ્યા હતા.

પ્રેમલગ્ન કરનાર પુત્રી સાથે છ માસ સુધી સંબંધ તોડી નાખ્યા બાદ પત્ની બિમાર પડતા પુત્રી ફાલ્ગુનીને જાણ કરી હતી અને બાદમાં સમાધાન થઇ  જતા પુત્રી અને જમાઇ અવાર નવાર ઘરે આવતા -જતા હતા. ત્યારે પુત્રી ફરીયાદી પિતા અને માતાને સાસુ, સસરા અને જેઠ નાની-નાની  બાબતમાં ઘર કંકાસ કરી પતિની ચડામણી કરતા હોવાની વાત કરી હતી. પરંતુ ઘરસંસાર તુટે નહી તે માટે માતા-પિતા પુત્રીને સમજાવી દેતા હતા.

ત્યારબાદ ફાલ્ગુનીબેને પુત્રને જન્મ આપ્યા બાદ મોડા ઉઠવા બાબતે અને ઘરકામ બાબતે સાસરીયાનો ત્રાસ વધી જતા ફાલ્ગુની તેના પતિ સાથે અમદાવાદ માતા-પિતા પાસે રહેવા જતી  રહી હતી.

એક સપ્તાહ પહેલા જેઠના દિકરાના કર કરવાના હોય ફાલ્ગુની તેના પતિ સાથે ભાવનગર ગઇ હતી ત્યારે ફરી પતિની ચડામણી કરી સાસરીયા ત્રાસ આપવા લાગતા ગઇકાલે સવારે ફાલ્ગુનીએ માતાને ફોન કરી આ લોકો મને જીવવા નહી દે તેમ કહી ફોન કાપી નાખી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું ફરીયાદમાં જણાવ્યું છે.

આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ પીએસઆઇ એસ.વાય મીણા સહીતનો સ્ટાફ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.