Abtak Media Google News

ખેડૂતોમાં ભભૂકતો રોષ: અધિકારીઓની મનમાની

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી પીવાના પાણીની લાઈનનું અવારનવાર પાણી પુરવઠા વિભાગ ચેકીંગ કરે છ ત્યારે વઢવાણ તાલુકાના નગરા સહિત આસપાસના ગામોમાં ચેકીંગ દરમિયાન ખેડૂતોના ઉભા પાકમાં જેસીબી ચલાવી દઈ લાખોનું નુકસાન થવાથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે. નુકસાન અંગે અધિકારીઓને પુરતા તેઓ પોલીસ કેસ કરવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી નર્મદાનું પાણી પાઈપલાઈન વાટે સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં જાય છે. આ પાઈપલાઈનમાંથી પાણીચોરી થતી હોવાથી તંત્ર અવારનવાર ચેકીંગ પણ હાથ ધરે છે. ત્યારે પાણી પુરવઠાની ટીમ દ્વારા ચેકીંગના બહાને ખેડૂતોના ઉભા મોલને નુકશાન કર્યાની રાવ ઉઠી છે. વઢવાણ તાલુકાના નગરા સહીતના ગામોમાં પાણી પુરવઠાની ટીમ ચેકીંગ કરવા પહોંચી હતી. જેમાં ખેડૂતોએ બોરમાંથી પીયત કરવા સ્વ ખર્ચે નાંખેલી પાણીની લાઈનો તોડી નાંખવામાં આવી હતી.

આ ઉપરાંત કપાસ, એરંડા, જુવાર, બાજરી સહિતના પાકોને નુકસાન પહોંચાડાયુ હતુ. મહા મહેનતે ખેડૂતોએ ઉભા કરેલ મોલ પર જેસીબી ફેરવી દેવામાં આવતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયુ છે. આ અંગે નગરા ગામના ખેડૂત સતીશભાઈ મહેતા, મહેશભાઈ ધુડાભાઈ, ઘનશ્યામભાઈ સહિતનાઓએ જણાવ્યુ કે, અમારી પાઈપલાઈન તથા પાકને નુકશાન થતુ હોવાની અમોએ પાણી પુરવઠાના મહિલા અધીકારી તથા ટીમને રજૂઆત કરી તો તેઓ અમોને પોલીસ કેસ કરવાની ધમકી આપે છે. જો આ રીતે ખેડૂતોને હેરાન અને નુકસાન કરવાનું બંધ નહી કરાય તો અમો જિલ્લા કલેકટર કચેરીએ આત્મ વિલોપન કરતા અચકાશુ નહીં. નગરા ગામ સહિત આસપાસના ગામોના ખેતરોમાં થયેલ નુકસાન અંગે પાણી પુરવઠાના અધિકારીને ફોન કરવા છતાં તેઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.