Abtak Media Google News

‘તાઉતે’ વાવાઝોડુ ગત રાત્રે ગુજરાતના દરિયાકિનારે ટકરાયું છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી હતી. ‘તાઉતે’નો ખતરો હાલ સૌરાષ્ટ્ર પરથી દૂર થઈને અમદાવાદ તરફ મંડરાય રહ્યો છે. અમદાવાદમાં થોડા કલાકોમાં ‘તાઉતે’ વાવાઝોડું ત્રાટકશે. હાલ વાવાઝોડું ધંધુકા, લીમડી વિસ્તારોમાં જોવા મળે છે. પણ તેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે.

‘તાઉતે’ વાવાઝોડાએ જે તબાહી મચાવી તેના અંગે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે કહ્યું કે, ‘1100 કિલોમીટરમાં જેટકોમાં 123 સબસ્ટેશનની લાઇન ચેક કરવાની કામગીરી શરૂ છે. સર્વે કરાયા બાદ તાત્કાલિક ગામડાઓમાં વીજપુરવઠો શરૂ કરવામાં આવશે. તાઉતે વાવાઝોડાને પગલે PGVCLને કરોડો રૂપિયાનું નુકશાન થયું.’

‘તાઉતે’ વાવાઝોડા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડિઓ કોન્ફોરન્સથી મિટિંગ યોજી. તેમાં કહ્યું કે, ‘આપડી પૂર્વ તૈયારીથી વાવાઝોડામાં થતા નુકશાનથી રાહત મળી છે. આ સાથે ઓક્સિજન પુરવઠામાં કોઈ પણ પ્રકારનો વિલંબ થયો નથી. વાવાઝોડાનો ખતરો આજ રાત સુધી યથાવત રહશે. દરિયાકિનારામાં 4 જિલ્લાઓમાં વાવાઝોડાની અસર વધુ થઈ છે.’

વાવાઝોડાના પળેપળના અપડેટ

•વાવાઝોડાની વધુ અસર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર જિલ્લામાં જોવા મળી છે. ‘તાઉતે’ વાવાઝોડા આવવાના 24 કલાક પહેલાં જ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વાતાવરણ પલટો આવી ગયો હતો. મે મહિનામાં વરસાદી માહોલ સર્જાઇ ગયો છે.

•જૂનાગઢના ચોરવાડમાં ભારે પવન ફૂંકાયો. પવનને કારણે નાળીયેરનું ઝાડ મકાન પર પડતા છત ધરાશાયી. માંગરોળમાં પણ અસર શરૂ.

•આ વાવાઝોડાનું કેન્દ્ર આગામી બે કલાકમાં દીવના પૂર્વેથી સૌરાષ્ટ્રમાં ગમે તે સમયે ઓળંગી જાય તેવી શક્યતાઓ છે. આ સમયે વાવાઝોડાના કેન્દ્રીય વિસ્તારોમાં પવનની ગતિ 160થી 170 કિ.મી. પ્રતિ કલાક રહી શકે છે, જે 190કિ.મી/કલાક સુધી વધી શકે છે.

•વલસાડ જિલ્લાના દરિયા કિનારા પર તોફાની માહોલ જોવા મળ્યો છે. દરિયામાં રાત્રે પણ જોવા મળ્યો કરંટ. કિનારા વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દરિયા કિનારા વિસ્તારમાં અનેક જગ્યાએ કાચા છાપરાની છત ઉડી તો ઝાડ પડવાના બનાવો પણ બન્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.