Abtak Media Google News

શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનિષ્ઠાના પ્રથમ અક્ષરનો શબ્દ એટલે શિક્ષક. એ પોતાની ભૂમિકા અને જવાબદારીઓ પ્રત્યે સભાન હોવો જોઇએ: રાષ્ટ્રની સામાજીક, સાંસ્કૃતિક અને આર્થિક સ્વાસ્થ્યની જવાબદારી શિક્ષકની છે

 

આજે શિક્ષણ વર્ગખંડની ચાર દિવાલોમાંથી બહાર આવીને ઘર, સમાજ અને વિશ્ર્વમાં વિસ્તરી ચુક્યું છે. આજના સમયમાં શિક્ષણ પડકારરૂપે છે, કારણ કે રાષ્ટ્રની સામાજીક, સામાજીક અને આર્થિક સ્વાસ્થ્યની જવાબદારી તેના શિરે છે. તે છાત્રો માટે ફ્રેડ, ફિલોસોફર અને ગાઇડની ભૂમિકા ભજવે છે. આજનું શિક્ષણ આમ જોઇએ તો શૈક્ષણિક વ્યવસાય જ છે.

એક માતા સો શિક્ષકની ગરજ સારે છે, એટલે જ શિક્ષકને ‘માસ્તર’ કહેવાય છે. આ વ્યવસાયમાં પણ વિકાસની હરણફાળ તેના સંબોધનમાં ક્રમિક ફેરફારો થયા. જેમાં માસ્તર, શિક્ષક, ટીચર, સર આવી ગયું વર્ષો પહેલા એ ગુરૂસ્થાને ગુરૂજી કહેવાતા હતા. ગુરૂકુળ આશ્રમમાં ભણાવે તે ગુરૂજી અર્થાત ઋષી. મા-બાપનું કાર્ય જ્યાં પૂર્ણ થાય ત્યાંથી શિક્ષકનું કાર્ય આરંભ થાય છે. તેથી શિક્ષક તેના કાર્યો સંપૂર્ણ સજ્જ અને સજ્જતાવાળો હોવો જોઇએ. જો આમ ન બને તો વર્ગખંડના બાળકોનું ભવિષ્ય રૂંધે છે. બાળક પર મા-બાપ પછી સૌથી વધુ પ્રભાવ શિક્ષકનો જોવા મળે છે. શિક્ષક જ બાળકના જ્ઞાનરૂપી મૂળિયાં મજબૂત કરે છે.

વિદ્યારૂપી અમૂલ્ય ધન મેળવવા માટે એક સારા ગુરૂ કે શિક્ષકની જરૂર પડે છે. આપણાં પૌરાણિક શાસ્ત્રોમાં પણ ‘ગુરૂ બીના જ્ઞાન નહીં’ ની વાત કરી છે. આજના શિક્ષકમાં શક્તિ, પવિત્રતા, પ્રેમ, જ્ઞાન, શાંતિ અને આનંદ જેવા ગુણો હશે તો જ તે બાળકોનો આદર્શ બની શકશે. વિદ્યાર્થીઓ પણ પ્રેરણાં આપનાર શિક્ષકને વધુ યાદ રાખે છે. વેદમાં પણ એક જગ્યાએ શિક્ષકને “ગાતુવિદ્” કહ્યો છે, ગાતુ એટલે માર્ગ, ગમન અને વિદ્ એટલે તેને ખોળનાર. નવી ટેકનોલોજીમાં આજનો શિક્ષક ક્રિએટીવીટી, આધ્યાત્મિક સાથે ઇમોશનલ અને જ્ઞાની હોવો જોઇએ. દ્રશ્ય શ્રાવ્ય કે ઇન્ફરર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી છાત્રોને જ્ઞાન સભર કરી શકે છે.

બાળક સાથેનું શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્ય ક્ષેત્ર વિશાળ છે. શિક્ષણની પ્રક્રિયા વિદ્યાર્થીના કેન્દ્રસ્થાને છે. બાળકોના રસ, રૂચિ, વલણો આધારિત વર્ગખંડની શિક્ષણની ગતિવિધિ હંમેશા સારા પરિણામો લાવે છે એટલે જ શિક્ષણ સજ્જતાનું વિશેષ મહત્વ છે, શિક્ષક બાળકોનો પ્રેરણાસ્ત્રોત હોવો જરૂરી છે. ભૂતકાળમાં શિક્ષકોને ભરપૂર આદર મળતો, આજે તો એ સાવ સમાજ ભૂલી ગયો છે. જેમના માથે સમાજનું ભવિષ્ય છે તે હંમેશા આદરણીય જ હોય છે. શિક્ષક ખુબ જ શ્રધ્ધાવાન હોય છે. નબળા બાળકોને સબળા બનાવવા માટે તેની સખત મહેનત મૂલ્યાંકન બાદ રંગ લાવે ત્યારે તેનો આનંદ અનેરો હોય છે. એ પણ શિક્ષક જ છે.

આપણે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ. ઉત્કૃષ્ઠ પ્રદાન કરનારને સમાજ અને સરકાર એવોર્ડ આપીને તેનું સન્માન કરે છે. પરંતુ આજના યુગમાં 21મી સદીમાં શિક્ષક પોતાની ભૂમિકા, જવાબદારી એ પ્રત્યે સભાન હોવો જોઇએ. આજે તેની ભૂમિકા બદલાય ગઇ છે. તેણે ભાષણ સ્વરૂપે માહિતી આપવાની નથી પણ વિદ્યાર્થીને સમૃધ્ધ અને અસાધારણ અનુભવો પુરા પાડવાનાં છે.

આજે તમે જુના શિક્ષકો અને હાલના શિક્ષકો જોવો તો તમને ઘણું પરિવર્તન લાગશે. ટેકનોલોજી સાથે ભૌતિક સુવિધા વધતા બદલાવ આવ્યો છે પણ શિક્ષણ અને વિદ્યાર્થી વચ્ચેનો આદર્શ સંબંધ-પરસ્પર વિશ્ર્વાસ ક્યારેય બદલાશે નહીં. શિક્ષણ આદાન-પ્રદાનની પ્રક્રિયા છે. વર્ગખંડની અસરકારતા શિક્ષકનું આભૂષણ છે, તેનો ધર્મ જ છાત્રોને જ્ઞાનસભર કરીને શ્રેષ્ઠ નાગરિકોનું ઘડતર કરવાનો છે. વર્ગખંડના બધા છાત્રો સાથેનો સંબંધ અને દરેક સાથે તેમનો વ્યક્તિગત સંબંધ બંને પ્રકારો મહત્વના છે.

આજના શિક્ષણમાં ઘણી કચાશ જોવા મળે છે. આજે તો શિક્ષણ, વાલી કે વિદ્યાર્થીના ત્રિવેણી સંગમ થકી સફળતા શક્ય બનશે એવું લાગે છે. આજે શિક્ષકે માહિતીના મશીનગથી વિદ્યાર્થીઓના માનસિક ભાર વધારવાનો નથી પરંતુ વર્ગખંડનો માહોલ જ એવો બનાવો કે બાળક જાતે પોતે ભણતો થાય. કોઇપણ વ્યવસાય પછી તે રસપ્રદ હોય કે પડકારરૂપ, એક વખત એ રોજીંદો ક્રમ બની જાય પછી કંટાળાની લાગણી જ પકડે છે. પણ શિક્ષણનો વ્યવસાય આ વાતમાં અપવાદ છે કારણ તે 365 દિવસ સતત સક્રિય રીતે ભણાવે છે.

આદર્શ શિક્ષક બનવા ‘સજ્જતા’ પ્રાપ્ત કરવી જરૂરી છે. જેમાં હકારાત્મક વિચારો, બાળ મનોવિજ્ઞાનનો અભ્યાસ, પ્રયોગાત્મક શિક્ષણ અને પ્રોત્સાહનરૂપી માર્ગદર્શન જેવા તમામ પાસા સાથે નિપુણ હોવું જરૂરી છે. એક વાત શિક્ષકે સમજવી જોઇએ કે વિદ્યાર્થીઓની એકાગ્રતાનો ગાળો ઓછો હોય છે માટે તેને છાત્રોને ટૂંકા જ્ઞાતા હોવો જોઇએ. પ્રવૃતિ સાથેનું શિક્ષણ સૌથી શ્રેષ્ઠ સાબિત થયું છે. શિક્ષક દરેક ક્ષેત્રે ‘ઓલરાઉન્ડર’ની ભૂમિકા માટે સજ્જ રહેતો હોવો જોઇએ.

સાચો શિક્ષક જ બાળકોને જીવનમૂલ્ય શિક્ષણ આપે છે. જ્ઞાન સાથે ગમ્મતથી ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા ભારેખમ વિષયો શિક્ષક પોતાની આગવી સ્ટાઇલ છાત્રોને શીખવે છે. આજનું બાળક ‘ગુગલ’ની દુનિયાનું છે તેથી તમારે સતત અપડેટ રહેવું પડશે. 21મી સદીના શિક્ષકમાં દરેક પ્રકારનું જ્ઞાન હોવું જરૂરી છે. અસરકાર વર્ગ વ્યવસ્થા શિક્ષકનું મુખ્ય હથિયાર છે તે જેટલું સબળ તેટલું જ શૈક્ષણિક કાર્ય સબળ બને છે. વર્ગખંડનો તમામ બાળક ક્લાસરૂમની દરેક પ્રવૃતિ સાથે જોડાય તે અતિ આવશ્યક છે. આજે તો શિક્ષકે વિદ્યાર્થીના વ્યક્તિગત ગુણો અને સ્વભાવથી પણ પરિચિત થશે તો જ તેના વર્તનમાં ફેરફાર કરી શકશે.

આજે આપણે શાળા સંકુલોમાં દરેક શિક્ષક એકબીજાથી તેમના જ્ઞાન, શિક્ષણ ટેકનીક જેવા વિવિધ પાસાથી અલગ પડે છે. દરેક વિષય વાઇઝ અલગ શિક્ષકો શાળામાં હોય છે. સંગીત, ચિત્ર, રમત-ગમત વિગેરે જેવી સહઅભ્યાસિક પ્રવૃતિ માટે પણ તેના નિષ્ણાંતો કાર્યરત હોય છે છતાં બાળકોનો સંર્વાંગી વિકાસ થતો નથી એ એટલું જ નગ્ન સત્ય છે.

” આ જીવન માટે મારા માતા-પિતાનો ઋણી છું, પણ આ જીવનને સારૂં બનાવવા માટે મારા શિક્ષકોનો ઋણી છું”

“ગુરૂ વગર તમે કેટલા પણ સફળ રહો, પણ સર્વશ્રેષ્ઠ નથી બની શકતા”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.