Abtak Media Google News

૫ સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય શિક્ષક દિન. મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન શિક્ષક દિન તરીકે ઊજવાય છે. આ દિવસે ૧૯૬૬ના રોજ ટીચિંગ ઇન ફ્રિડમ નામની એક સંધી પર હસ્તાક્ષર થયા હતા.આ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ટીચિંગ ઇન ફ્રિડમ સંધી હેઠળ  શિક્ષકોનાં અધિકારો, જવાબદારી અને શીખવા-શીખવવાનો માહોલ ઉભો કરવા જેવી બાબતોનો સમાવેશ થતો હતો. ૫ ઓકટોબર ૧૯૯૭નાં રોજ આયોજીત આ સંમેલનમાં યૂનેસ્કોએ ઉચ્ચતર શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષકોની સ્થિતિને લઇને વર્ગીકરણ કર્યુ હતું. માણસને સંસ્કાર આપીને સારો નાગરિક બનાવવામાં શિક્ષણનો મોટો ફાળો છે.આથી શિક્ષણને પ્રોત્સાહન આપવાનાં હેતુથી યુનેસ્કો દ્વારા દર વર્ષે શિક્ષક દિન ઉજવાય છે. જો કે વિશ્વનાં જુદા જુદા દેશોમાં શિક્ષક દિન અલગ તારીખે પણ ઉજવાય છે જેમાં ભારતમાં ૫ સપ્ટેમ્બર શિક્ષક દિન હોય છે.

આ સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં મોટામાં મોટો ફાળો હોય તો એક શિક્ષકનો છે. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધાર સ્તંભ છે. તે ઈમારતનો એક પાયો છે. એ પાયાને મજબૂત કરવાનું કામ શિક્ષક કરે છે. તેઓ ઈમારતનું પાકું ચણતર કરી તેને કદી ડગવા દેતા નથી. ખુબ સાદી અને સરળ રીતે કહી શકાય કે જે શિક્ષા આપે તે શિક્ષક.જે જીવન ઘડતરમાં મદદરૂપ થાય અને જીવનનાં મૂલ્યોની સાચી સમજ આપે એ શિક્ષક. શિક્ષકનું યોગદાન સમાજમાં ઘણું મહત્વનું છે. ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણએ પણ શિક્ષા મેળવવા માટે બાળપણમાં પોતાનું ઘર છોડીને શિક્ષા મેળવી અને પોતાનાં જીવનને સાર્થક બનાવ્યુ. વિદ્યા જેવુ અમૂલ્ય ધન મેળવવા માટે આપણે હંમેશા એક સારા ગુરૂની શોધ કરતા આવ્યા છે. બાળકનો પહેલો શિક્ષક તો તેની મા જ કહેવાય છે. વળી એક મા સો શિક્ષકની ગરજ સારે છે. આચાર્ય ચાણક્યએ કહ્યું હતું કે એક શિક્ષક ક્યારે સામાન્ય નથી હોતો, પ્રલય અને નિર્માણ તો એનાં ખોળામાં રમતા બે જીવો સમાન છે.

એક સારા શિક્ષક જ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. સારા શિક્ષક એ જ છે કે જે કાર્ય કરતા પહેલા વિચારે છે, કાર્ય કરતી વખતે વિચારે છે, અને કાર્ય કર્યા બાદ પણ તેનું જ ચિંતન કરે છે. પ્રવર્તમાન સમયમાં તો ટેકનોલોજી પણ શિક્ષકની ગરજ સારવા લાગી છે. આજે લોકો શિક્ષણ પ્રત્યે જાગૃત છે પણ આ ક્ષેત્રમાં હજુ ઘણું કરવાનું બાકી છે. આજનું શિક્ષણ આપણને ભૂતકાળ સાથે જોડે છે, પરંપરા સાથે જોડે છે પરંતુ ભવિષ્ય સાથે બહુ ઓછુ નિસ્બત રાખે છે. ખરેખર તો અત્યારે શું કરવું જોઈએ તેનાં પર શિક્ષણમાં સંશોધન કરવું જરૂરી છે. ભણતરની સાથે ગણતર ઉમેરાય તો જ જીવનનું ચણતર અને ઘડતર થઈ શકે. ચોપડીનાં જ્ઞાન સાથે ખોપડીનું જ્ઞાન પણ એટલું જ જરૂરી છે. ઓનલાઈન, ઓફલાઈન કે જ્યાં અને જેટલું જ્ઞાન મેળવી શકાય તેટલું મેળવવાનો આજીવન પ્રયત્ન કરવો જ જોઈએ. સાચો શિક્ષક એ જ બની શકે જે આજીવન સાચો વિદ્યાર્થી બની રહે. શિક્ષણની સાથે વિદ્યા મેળવવા પણ આજીવન એટલું જ સભાન રહીએ. ચાલો રાષ્ટ્રીય શિક્ષક દિનનાં પવિત્ર પર્વ નિમિત્તે આપણે સૌ સાથે મળીને મા સરસ્વતીની વંદના કરીએ તેમ  મિત્તલ ખેતાણીની યાદી જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.