- વિજયભાઈ રૂપાણીના અકાળે નિધનથી ગુજરાત અને ખાસ કરીને રાજકોટને ક્યારેય ન પુરાય તેવી મોટી
- ખોટ પડી, તેઓના લોકલાડીલા નેતા હવે રહ્યા નથી તે વાત માનવા કાર્યકરો – સમર્થકો તૈયાર નથી
અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ ઉડાન ભર્યાની બીજી જ મિનિટમાં ક્રેશ થવાના કારણે વિમાનમાં સવાર 242 પૈકી 241 મોત નીપજ્યા છે. ગુજરાતની પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ પ્લેન દુર્ઘટનામાં અકાળ અવસાન થયું છે.ભાજપના લાખો કાર્યકરો અને વિજયભાઈના સમર્થકો હજી એ વાત માનવા તૈયાર નથી કે તેઓના લોકલાડીલા રાજનેતા હવે તેમની વચ્ચે હયાત રહ્યા નથી. ગઈકાલ બપોરથી જ જ્યારે આ ઘટના બની હોવાનું સામે આવ્યું ત્યારથી રાજકોટવાસીઓના આંસુ સુકાતા નથી કાર્યકરો શોકમાં ગરકાવ થઈ ગયા છે.અમદાવાદથી લંડન જતી જે ફ્લાઈટ ક્રેશ થઈ છે તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા તે વાતની જાણ થતાની સાથે જ રાજ્યભરમાં ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકરોમાં ચિંતાનું મોજુ કરી વળ્યું હતું. વિજયભાઈની સ્થિતિ જાણવા માટે સતત કાર્યકરોએ પ્રયાસ કર્યા હતા દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર.પાર્ટીલે પ્લેન દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હોવાની પુષ્ટિ કરતાંની સાથે જ ભાજપના લાખો કાર્યકરો અને વિજયભાઈ રૂપાણીના હજારો સમર્થકો પડી ભાંગ્યા હતા. તેઓના રાજકોટ સ્થિર નિવાસ સ્થાન ખાતે ગઈકાલ બપોરથી જ સમર્થકો ઉમટી પડ્યા હતા. તેમની રક્ષા માટે સતત પ્રાર્થના કરવામાં આવતી હતી વિજયભાઈ હંમેશા એક કોમનમેન જ રહ્યા હતા. નાનામાં નાના માણસને સામાન્ય મુશ્કેલીને પણ તેઓ હંમેશા મોટી માની તેના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા જેના કારણે લોક હૃદયમાં તેઓનું સ્થાન ખૂબ જ અડીખમ હતું. રાજકોટના તેઓ પનોતા પુત્ર હતા મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષના કાર્યકાળમાં વિજયભાઈ માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર ભરને અનેકવિધ પ્રોજેક્ટની ભેટ આપી હતી વિજયભાઈ કરેલા એક એક કાર્યોને યાદ કરી આજે કાર્ય કરો રડી રહ્યા છે મહિલાઓના આંખમાંથી આંસુ ચુકાતા નથી પોતાના લોકપ્રિય રાજ નેતાના અકાળે અવસાનથી ભાજપ પરિવાર રિતસર પડી ભાંગ્યો છે. કોઈ કશું કહેવા કે કરવા અસમર્થ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. સપનામાં પણ કલ્પી ન હોય તેવી કરુણ ઘટના બની છે. આખી રાત વિજયભાઈના રાજકોટ સ્થિત નિવાસસ્થાન ખાતે કાર્યકરોની અવર જવર ચાલુ રહી હતી. કેટલાક કાર્યકરો ગઈકાલે સાંજે જ અમદાવાદ પહોંચી ગયા હતા.દુ:ખની આ કડીમાં ભાજપ પરિવાર રૂપાણી પરિવાર માટે મોટો સધિયારો બની રહ્યો છે. માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રમાં એવા કોઈ નેતા નહીં હોય જેને વિજયભાઈ માટે માન ન હોય તેઓએ હંમેશા એક અજાત શત્રુ તરીકે જ કામ કર્યું છે કોંગ્રેસ ના નેતાઓ સાથે પણ તેઓએ હંમેશા સારા સંબંધો કેળવ્યા છે તેમને સંગઠનના માણસ માનવામાં આવતા હતા તેઓ કાયમ કહેતા હતા કે હું કોઈ પણ રાજકીય પદ કે સરકારી પદ પરથી ભલે પૂર્વ કે ભૂતપૂર્વ બની જાવ પરંતુ ભાજપનો કાર્યકર તો આજીવન રહેવાનો છું. આખો કાર્યકરોની રાજકીય કારકિર્દી નું ઘડતર કરનાર વિજયભાઈ હવે રહ્યા નથી તે વાત કાર્ય કરો કે સમર્થકોનું મન માનવા માટે તૈયાર નથી મહિલા પણ ચોધાર આંસુએ રડી રહી છે.