Abtak Media Google News

નબળો પુરૂષ બૈરી પર શુરી!!!

શ્રીનગરની શાળામાં આતંકી હુમલો, 2 શિક્ષકોના મોત : આતંકીઓએ છેલ્લા 5 દિવસમાં 7 સામાન્ય નાગરિકોની હત્યા કરી

અબતક, નવી દિલ્હી : હાંફી ગયેલા આતંકવાદીઓ હવે નાગરિકોને ટાર્ગેટ કરી રહ્યા છે. સેનાથી ડરતા આ આતંકવાદીઓ હવે સેનાની સામે આવવામાં થરથર ધ્રુજી રહ્યા હોય નવી સ્ટ્રેટેજી બનાવી સામાન્ય નાગરિકોને મોતને ઘાટ ઉતારી હિંસા ભડકાવી રહ્યા છે. આ સિલસિલો યથાવત રહ્યો છે. શ્રીનગરમાં જ ગઈકાલે આતંકવાદીઓએ શાળા ઉપર હુમલો કરીને બે શિક્ષકોને મારી નાખ્યા છે. આમ છેલ્લા 5 દિવસમાં આતંકીઓએ 7 સામાન્ય નાગરિકોની હત્યા કરી છે.

શ્રીનગરના સંગામ ઇદગાહ વિસ્તારમાં બિન સ્થાનિક શિક્ષકો પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં બંને શિક્ષકોના મોત થયા છે. આ ઘટના બાદ સુરક્ષા દળો વધુ સતર્ક બન્યા છે અને આંતકીઓની શોધખોળ ચાલું કરી છે. આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સફાકદલ વિસ્તાપમાં આવેલ એક સરકારી માધ્યમિક શાળામાં આતંકી હુમલો કર્યો હતો. જેમા આતંકીઓએ સ્કૂલની અંદર ઘુસીને હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં આતંકીઓએ ગોળીબાર કર્યો જેમા બે શિક્ષકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ફાયરિંગમાં જે બે શિક્ષકોના મોત થયા છે મૃતક પ્રિન્સિપાલ સતિંદર કૌર અને શિક્ષક દિપક ચંદ છે. બંને સંગામ સ્કૂલમાં  હતા. તેઓ બંને અલ્લોચોઇબાગના રહેવાસી હતા. સ્કૂલની અંદર હુમલાખોરોએ તેમના ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યા હતા.

આતંકીઓ અગાઉથી જ ચોક્કસ નાગરિકોની પસંદગી કરી તેની હત્યાનો પ્લાન ઘડે છે

કાશ્મીરમાં પાંચ દિવસની અંદર સામાન્ય નગારિકોની હત્યાની આ સાતમી ઘટના છે. મંગળવારના રોજ શ્રીનગરમાં આતંકીઓએ બિંદરૂ મેડિકેટના માલિક એમ.એલ.બિંદરૂની ગોળી મારી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ એક મજૂરની ગોળી મારી હત્યા કરી હતી. હુમલાખોર સતત આ એરિયામાં હુમલા કરી રહ્યાછે. કહેવાય છે કે કદાચ સતત રેકી કરીને લોકોને મારવામાં આવી રહ્યા છે અને આખા વિસ્તારમાં પહેલેથી લોકોને પસંદ કરાય છે કે કોને-કોને અને કેવી રીતે મારવાના છે.

આતંકીઓ હાઈબ્રીડ આતંકવાદની સ્ટ્રેટેજી વાપરી રહ્યા હોવાની ભીતિ

આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં કેટલાક યુવાનોને હાથો બનાવીને આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે. ભારત સરકાર દ્વારા એવું માનવામાં આવે છે કે પાકિસ્તાની એજન્સીઓ કાશ્મીર ખીણના સામાન્ય યુવાનોનો ઉપયોગ લોકોની હત્યા કરવા માટે કરી રહી છે. ગુનો કર્યા પછી, આ યુવાનો તેમના રોજિંદા કામમાં લાગી જાય છે. તેથી, ઘણી વખત તેઓ સુરક્ષા એજન્સીઓની નજરથી છટકી જાય છે. આ આતંકવાદીઓને ‘હાઇબ્રિડ આતંકવાદી’ કહેવામાં આવી રહ્યા છે.

બિન મુસ્લિમોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે

કાશ્મીરમાં આતંકવાદીઓ વર્ષોથ હિંસા ફેલાવવાનું કામ કરી રહ્યા છે. પરંતુ હવે આ આતંકીઓ નાગરિકોને ટાર્ગેટ કરી તેમની હત્યાઓ કરી રહ્યા છે તેમાં પણ બિન મુસ્લિમ નાગરિકોને ખાસ ટાર્ગેટ કરી રહ્યા હોય તેવું જાણવા મળ્યું છે. શ્રીનગરની શાળામાં થયેલા હુમલામાં પણ આતંકવાદીઓએ બે શિક્ષકોના આઇડી ચેક કર્યા હતા. એક શીખ હતા અને બીજા પંડિત હતા. બન્ને બિનમુસ્લિમ હોવાની ખરાઈ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.