- ચેમ્પિયન્સ ટ્રોફીનો આજે સૌથી મોટો મુકાબલો
- ભારત અને પાકિસ્તાન દુબઈમાં ટકરાશે
india vs Pakistan CT 2025 Pre Match Analysis: ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બપોરે 2.30 વાગ્યે બંને ટીમો વચ્ચે રસાકસી ભરી મેચ શરૂ થશે. આ બંને ટીમ છેલ્લે 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમી હતી. જેમાં ભારતીય ટીમને 110 રનથી પરાજય મળ્યો હતો. અગાઉ 2013માં ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની ચેમ્પિયન રહી ચૂકી હતી. 2002માં પણ તે જોઈન્ટ ચેમ્પિયન હતી. જો કે, બાદમાં 2017માં પાકિસ્તાને આ ખિતાબ પોતાના નામે કર્યો હતો.
19 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે પ્રથમ મુકાબલામાં બાંગ્લાદેશને છ વિકેટથી હરાવ્યો હતો. બીજી બાજુ પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે 60 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને પાકિસ્તાનના કોચ આકિબ જાવેદ છે. પાકિસ્તાનની ટીમના મુદસ્સર નઝર પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમને સ્પેશિયલ ઈનપુટ આપી રહ્યા છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની શરૂઆતના હિરો શુભમન ગિલ અને મોહમ્મદ શમી રહ્યા છે. રોહિત શર્માએ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે 41 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 41 રન બનાવ્યા હતાં. જ્યારે મોહમ્મદ શમીએ પાંચ વિકેટ, હર્ષિત રાણાએ ત્રણ વિકેટ અને અક્ષર પટેલે બે વિકેટ ઝડપી હતી. હાર્દિક પણ આકર્ષક બોલિંગ અને બેટિંગ માટે સજ્જ છે. અક્ષર પટેલ ટીમ ઈન્ડિયા માટે એક્સ ફેક્ટર છે. તે આક્રમક બોલિંગની સાથે ધૂઆંધાર બેટિંગ પણ કરે છે. તેનો સ્ટ્રાઈક રેટ 139નો છે.
ભારત કે પાકિસ્તાન કોનું પલડું છે ભારે !
ભારતીય ટીમનું તાજેતરનું ફોર્મ પાકિસ્તાન કરતા સારું લાગે છે. ભારતની મજબૂત બેટિંગ અને બૉલિંગ લાઇન-અપ તેમને કોઈપણ મેચ જીતવામાં મદદ કરી શકે છે. ભારત અને પાકિસ્તાન દુબઈમાં 28 વખત એકબીજા સામે આવી ચૂક્યા છે. જેમાં પાકિસ્તાને ભારતને 19 વખત હરાવ્યું છે. જ્યારે ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને માત્ર 9 વાર જીત મેળવી છે. દુબઈમાં ભારત સામે પાકિસ્તાનનો હાથ ઉપર રહ્યો છે.
રોમાંચક મેચની આશા
પાકિસ્તાને ભારત સામે ODI ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. બંને ટીમો વચ્ચેની મેચ હંમેશા રોમાંચક હોય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માત્ર ક્રિકેટ પ્રતિભાનું પ્રદર્શન કરતી નથી પરંતુ તે ખૂબ જ ભાવનાત્મક સ્પર્ધા પણ છે જેમાં બંને દેશોના લોકો ઘણો રસ દાખવે છે. આવી સ્થિતિમાં, ફરી એકવાર હાઇ વોલ્ટેજ મેચની અપેક્ષા છે.
ભારતીય ટીમને મોટી જીતની આશા
અત્યાર સુધીમાં ભારત અને પાકિસ્તાન ODI ફોર્મેટમાં ૧૩૫ વખત એકબીજા સામે આવી ચૂક્યા છે. જેમાં પાકિસ્તાને ભારતને 73 વખત હરાવ્યું છે. જ્યારે ભારતીય ટીમે પાકિસ્તાનને 57 વાર હરાવ્યું છે. જો આપણે છેલ્લા કેટલાક વર્ષોની વાત કરીએ તો, ભારતીય ટીમ પાકિસ્તાન પર પ્રભુત્વ ધરાવે છે. આવી સ્થિતિમાં, વર્તમાન ફોર્મને ધ્યાનમાં લેતા, ભારતીય ટીમને જીતનો મજબૂત દાવેદાર માનવામાં આવે છે.
ભારતની નબળાઈ
વિરાટ કોહલી બાંગ્લાદેશ વિરૂદ્ધ 22 રન બનાવી આઉટ થઈ ગયો હતો. એવામાં પાકિસ્તાન વિરૂદ્ધ તે ઉમદા પર્ફોર્મન્સ આપે તેવો આશાવાદ છે. શ્રેયસ અને અક્ષર પણ ઝડપથી આઉટ થઈ ગયા હતાં. જો કે, સૌથી નબળો પોઈન્ટ કુલદીપ યાદવની બોલિંગ છે. તેઓ પોતાના આક્રમક અંદાજમાં હજી આવ્યા નથી. તેમણે પ્રથમ મુકાબલામાં બે કેચ છોડ્યા હતા.
પાકિસ્તાનની ટીમનું એક્સ ફેક્ટર
પાકિસ્તાનના કેપ્ટન ભલે પાછલા મુકાબલામાં નિષ્ફળ રહ્યા પરંતુ તેઓ શ્રેષ્ઠ ફોર્મમાં છે. મીડ બેટર સલમાન આગા પણ ટોપ ફોર્મમાં છે. શાહિન શાહ, આફ્રિદી, નસીમ શાહ અને હારિસ રઉફની બોલિંગમાં પણ નવા ટ્વિસ્ટ જોવા મળી શકે છે. જે ભારતીય ટીમ માટે જોખમી બની શકે છે. ખુશદિલ શાહ, સલમાન આગાએ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ક્રમશઃ 69 અને 42 રન બનાવ્યા હતા. આ બંને ખેલાડી પણ એક્સ ફેક્ટર બની શકે છે.
પાકિસ્તાનની નબળાઈ
બાબર આઝમે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 19 ફેબ્રુઆરીના ઓપનિંગમાં 90 બોલ પર 64 રન બનાવ્યા હતા. જેના લીધે તેની આકરી ટીકા થઈ હતી. બોલિંગમાં શાહીન શાહ, નસીમ શાહ અને આફ્રિદી ન્યૂઝીલેન્ડ માટે મોંઘા ખેલાડી સાબિત થયા હતાં. જે પોતાના પર્ફોર્મન્સમાં સુધારો નહીં લાવે તો ભારત માટે પણ મોંઘા ખેલાડી સાબિત થઈ સકે છે. તુદપરાંત ટીમની ગ્રાઉન્ડ ફિલ્ડિંગ પણ નબળી રહી છે.
બંને ટીમમાંથી કોણ રમશે
ભારતીય ક્રિકેટ ટીમના સિલેક્શન મુદ્દે અનેક વાદ-વિવાદો થયા હતા. આ મેચમાં વરૂણ ચક્રવર્તીને તક મળશે કે, કુલદીપ યાદવને… અર્શદીપ સિંહ અને હર્ષિત રાણામાંથી કોઈ સ્થાન બનાવશે. બીજી તરફ પાકિસ્તાનના ફખર જમાં ઈજાગ્રસ્ત છે. તેના સ્થાને ઈમામ-ઉલ-હક રમતાં દેખાશે. જો કે, કામરાન ગુલામ અને તૈયબ તાહિરને પણ સ્થાન મળી શકે છે.
પાકિસ્તાન સામે ભારતની સંભવિત પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી
ભારત સામે પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ 11: બાબર આઝમ, સઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન, વિકેટકીપર), ઈમામ-ઉલ-હક, સલમાન અલી આગા (વાઈસ કેપ્ટન), તૈયબ તાહિર, ખુશદિલ શાહ, અબરાર અહમદ, હારિસ રઉફ, નસીમ શાહ, શાહિન શાહ આફ્રિદી.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન
|
ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલીનું પ્રદર્શન
વિરાટ કોહલીએ તેના કરિયરમાં અત્યાર સુધી 13 ચેમ્પિયન્સ ટ્રોફી મેચ રમી છે, જેમાં તેણે 78.71ની એવરેજથી કુલ 551 રન બનાવ્યા છે, જેમાં 5 હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. તેના ODI કરિયર પર નજર કરીએ તો, વિરાટે 298 મેચમાં 57.79ની એવરેજથી 13,985 રન બનાવ્યા છે, જેમાં 50 સેન્ચુરી અને 73 હાફ સેન્ચુરી સામેલ છે.
તે જ સમયે, મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમને પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડે 60 રનથી હરાવી હતી. આ મેચ યજમાન પાકિસ્તાન માટે કરો યા મરો જેવી છે. જો પાકિસ્તાન ભારત સામે હારી જાય તો ટુર્નામેન્ટમાં તેનો આગળનો રસ્તો ખૂબ જ મુશ્કેલ બની જશે. કેપ્ટન રોહિતનું ફોર્મમાં વાપસી ભારત માટે સારા સંકેત છે. તેણે બાંગ્લાદેશ સામે ૪૧ રનની ઝડપી ઇનિંગ રમી. ચાહકો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસેથી ધમાકેદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે. ઓપનર શુભમન ગિલે છેલ્લી મેચમાં સદી ફટકારી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પોતાના પંજા ખોલીને પોતાની લય પાછી મેળવી લીધી છે. બીજી તરફ, ઈજાગ્રસ્ત ફખર ઝમાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવાથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. બાબર આઝમનું ફોર્મ પણ પાકિસ્તાની છાવણી માટે ચિંતાનો વિષય છે.