Abtak Media Google News

મહુવાના ભવાની મંદિરના સાનિધ્યમાં ચાલતી મોરારીબાપુની રામકથા માનસ માતુ ભવાની કથામાં બીજા દિવસે માનવ મહેરામણ

મહુવા પાસેના સમુદ્ર તટે ભવાની મંદિરની સાનિધ્યમાં પુ.મોરારીબાપુ દ્રારા ગવાઇ રહેલી રામચરિત માનસની કથા દ્વિતીય દિવસે વિવિધ મહેમાનોની હાજરી વચ્ચે સંપન્ન થઈ હતી. આ રામકથામાં દીકરીઓનું મહત્વ પ્રસ્થાપિત કરતાં અને માં ભવાનીના હિમાચલના ઘરે અવતરણને ટાંકીને મોરારીબાપુએ કહ્યું કે, દીકરીનો જન્મ એ બાપના ઘરનો રૂડો અવસર હોય છે. માં ભવાની પાર્વતીના બે પરિચય છે. એક શ્રદ્ધા અને બીજી નિષ્ઠા બાપુ દ્વારા ઉચ્ચારાયેલાં આ શબ્દો આજે એટલાં માટે મહત્વનાં બની રહ્યાં કે જોગાનુંજોગ આજનો દિવસ એ “ડોટરડે” હતો. બાપુએ માતાજી ભગવતીના નવરાત્રીના નવ અનુષ્ઠાનો અને સદગુણોનું વર્ણન કરીને તેનું મહત્વ દરેકના જીવનમાં શું છે તે પ્રસ્થાપિત કર્યું હતું. આ નવ અનુષ્ઠાનોમાં પ્રતિષ્ઠા, ભીતરી નિષ્ઠા ઉપાસના,આરાધના, સાધના, વ્રત, સેવા, શણગાર અને સંકલ્પનો સમાવેશ થાય છે.

Img 20220925 Wa0096

શારદિય નવરાત્રીમાં આ અનુષ્ઠાન દરેકના જીવનમાં ખૂબ મહત્વનું છે. અને સૌવ યતકિંચિત તેનું પાલન કરવું જોઈએ. જ્યાંથી અને જેટલું થઈ શકે તે જો આપણે સ્વીકારી શકીએ તો ખરા અર્થમાં માતાજીનું અનુષ્ઠાન કર્યું કહેવાય. માનસની રચનાના સંદર્ભમાં બાપુએ કહ્યું કે, આ કથા શિવજીએ શિવાને સંભળાવી છે એટલે કે મહાદેવ એ અનાદિકવિ છે, અને તેની રચના એ રામચરિત માનસ છે. અખિલ બ્રહ્માંડના રચયિતા દ્વારા સર્જાયેલી આ કૃતિ એ તેઓએ પોતાના હૃદયમાં “નિજ માનસ રાખા” એમ કહીને રાખી હતી. જગતનિયંતાએ જગતમાતા સામે પોતાનું હૃદય ખોલ્યું અને હૃદયથી એ ઇતિહાસ બની ગયો. આજની કથામાં મોરારીબાપુએ મહત્વના ચિંતનો દ્વારા સૌને જીવનની અનમોલ ઉપાસનાની ભેટ કરી અને તેઓએ કહ્યું કે, માતાજીના નામે થતી વિવિધ તંત્રની ક્રિયાઓ હવે અટકવી જોઈએ.ભરોસો વેચાતો નથી પણ વહેંચાય છે.

આ કથામાં જલારામ મંદિરના મહંત રઘુરામબાપા તથા ગુજરાત સરકારના મંત્રી તથા સ્થાનિક ધારાસભ્ય આર. સી. મકવાણા, રાજુલાના ધારાસભ્ય અંબરીષભાઈ ડેર, સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. અને દિવસેને દિવસે બહોળી સંખ્યામાં રામકથાનો શ્રોતાઓ દ્વારા લાભ લેવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.