Abtak Media Google News

બાંધકામ વેસ્ટનું રિસાઈકલ કરી મોરમના વિકલ્પેમાં વાપરો- બાંધકામ સમિતિના ચેરમેન કેતન પટેલ

શહેરમાં બાંધકામ વેસ્ટના નિકાલ માટે મહાપાલિકા દ્વારા નિયત કરાયેલી જગ્યાઓ પર કોઈ નિકાલ થતો નથી. જેના કારણે શહેરમાં આડેધડ બાંધકામ વેસ્ટના ઢગલા ખડકાયેલ હોવાનું નજરે પડે છે. આ વેસ્ટને રિસાઈકલ કરી તેનો મોરમ તરીકે ઉપયોગ કરવા બાંધકામ સમીતીના ચેરમેન કેતનભાઈ પટેલે મ્યુનિ.કમિશનર અમિત અરોરાને પત્ર લખી બહુ ઉપયોગી સુચન ર્ક્યું છે.

તેઓએ મ્યુનિ.કમિશનરને લખેલા પત્રમાં જણાવેલ છે કે, શહેરના જુદા જુદા વોર્ડમાં બાંધકામ વેસ્ટ એટલે કે કોઈ જૂનુ મકાન પાડવામાં આવ્યું હોય, ઈમલામાંથી નિકળતો વેસ્ટ જેઓ કે રેતી, કપચી, ઈંટ અને પત્થર વગેરેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવાને બદલે તેને મુખ્ય રોડ, વોંકળા કે ખુલી જગ્યાઓ પર ઠાલવી દેવામાં આવે છે. જેથી ન્યુશન પોઈંટ ઉભા થાય છે જેને દૂર કરવા કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવો પડે છે. જે તમામ કચરો બાંધકામ વેસ્ટની સાઈટ પર નાખવામાં આવે તો ત્યાં પણ મોટા પ્રમાણમાં ઢગલો થાય છે. જેથી આગામી દિવસોમાં ખરેખર બાંધકામ વેસ્ટ તંત્ર માટે બોજારુપ ન બને તે માટે પથ્થરના ક્રશરમાં આ વેસ્ટનો ભુકો કરી તેમાં જરૂરીયાત મુજબનું કેમીકલ ઉમેરી મોરમની જગ્યાએ ભરતી ભરવા માટે તેનો ઉપયોગ થઈ શકે તેમ છે. જે અંગે વિચારણા કરવા તેઓએ જણાવ્યું છે.

કેતન પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્રકારના બાંધકામ વેસ્ટનો જો સદ્ઉપયોગ કરવામાં આવે તો મોરમની જગ્યાએ ભરતી ભરવામાં તેનો ઉપયોગ થઈ શકે છે અને ઓછા ખર્ચે આ વેસ્ટનો નિકાલ પણ કરી શકાય તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.