- બિલ્ડરો આનંદો.. ટીઆરપી કાંડમાંથી રાજકોટ બહાર નીકળ્યું!!
- પ્રપોઝડ બાંધકામ પ્લાન અંગે ધડાધડ નિર્ણયો લેવાતા પ્રજાજનો અને બાંધકામના ધંધાર્થીઓમાં હરખની હેલી
રાજકોટમાં ગત વર્ષે બનેલી ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાને પગલે શહેર આખું હિબકે ચડ્યું હતું. ગોઝારી દુર્ઘટનામાં 27 નિર્દોષ માનવ જિંદગી ભડથું થતા ગેમઝોનની દીવાલો ધ્રુજી ઉઠી હતી. હૃદયદ્રાવક ઘટના બાદ મહાનગરપાલિકાના ટીપીઓ, ફાયર બ્રિગેડના ઓફિસરો સહિત અનેક અધિકારીઓ વિરુદ્ધ ગુના દાખલ કરી ધરપકડ કરવામાં આવ્યા બાદ દૂધના દાઝેલા છાશ ફૂંકી પીવે તેવી રીતે ટાઉન પ્લાનિંગ શાખા પ્લાન મંજુર કરવા અને કંપ્લીશનની કામગીરીમાં ક્યાંક ઢીલી અપનાવતા અરજીઓનો ભરાવો થયો હતો. પરિણામે બિલ્ડરોથી માંડી પ્રજામાં કચવાટ ઉભો થયો હતો પણ મનપા કમિશ્નરે હવે અરજીઓનો નિકાલ ઝડપથી કરી દેવા મન બનાવતા કર્મચારીઓમાં પણ નવી ઉર્જાનો સંચાર થતાં એક માસમાં જ પ્રપોઝડ બાંધકામ પ્લાન અને કમ્પ્લીશનની અરજીઓનો નિકાલ થઇ જાય તેવો આશાવાદ છે.
રાજકોટ મહાનગરપાલિકા ટીઆરપી ગેમઝોન દુર્ઘટનામાંથી હવે ધીમેધીમે બહાર આવી રહી છે. દુર્ઘટના બાદ ગેમઝોનના પ્રપોઝડ બાંધકામ, કંમ્પ્લીશન અંગે અનેક સવાલ ઉભા થયાં હતા અને ગેરરીતિઓ સામે આવતા મનપાના ટાઉન પ્લાનર એમ ડી સાગઠીયા સહિતના અનેક અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જેના પરિણામે પ્રપોઝડ બાંધકામ પ્લાન અને કમ્પ્લીશન આપવા અંગે અધિકારી-કર્મચારીઓએ ક્યાંક ઢીલી નીતિ અપનાવતા અરજીઓનો ભરાવો શરૂ થયો હતો. જેના પગલે રિયલ એસ્ટેટ ક્ષેત્રને નકારાત્મક અસરનો પણ સામનો કરવો પડી રહ્યો હતો. જો કે, હાલના તબક્કે અધિકારી વર્તુળો અને બિલ્ડર લોબીમાં ચાલી રહેલી ચર્ચાએ નવી આશાનું કિરણ જગાવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર તુષાર સુમેરાએ આ બાબતને ગંભીરતાપૂર્વક લેતા તમામ અધિકારી-કર્મચારીઓને અરજીઓમાં યોગ્ય નિર્ણય લઇ તાત્કાલિક નિકાલ કરવાની સૂચના આપતાં હવે પ્રપોઝડ બાંધકામ પ્લાન અંગે ધડાધડ નિર્ણયો લેવાઈ રહ્યા છે. બીજી બાજુ આ પ્રકારે જ કમ્પ્લીશન અંગે પણ ત્વરિત નિર્ણય લેવામાં આવે તેવી બિલ્ડર લોબીથી માંડી પ્રજાજનોની લાગણી અને માંગણી છે.
કોઈપણ સમયે બિલ્ડીંગ પ્લાનને મંજૂરી આપી શકાય તેવી સિસ્ટમ વિકસાવવા વિચારણા: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે ગુજરાતના બિલ્ડીંગ પ્લાન મંજૂરી પ્રણાલીમાં સંભવિત ફેરફારનો સંકેત આપ્યો હતો. જેમાં રિયલ એસ્ટેટ ડેવલપર્સની ઝડપી મંજૂરી માટેની લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ક્રેડાઈના ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન હંમેશા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ પર ભાર મૂક્યો છે. અમે એવી સિસ્ટમ પર વિચાર કરી રહ્યા છીએ જે કોઈપણ સમયે પ્લાનને મંજૂરી આપી શકે છે, જો કે, નિયત શરતોનું પાલન થવું અનિવાર્ય છે. આ કાર્યક્રમ દરમિયાન બિલ્ડરોની સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ તરીકેનો કાર્યબહાર ગણેશ હાઉસિંગ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર શેખર પટેલે સંભાળ્યો હતો. કાર્યક્રમ દરમિયમ મુખ્યમંત્રી સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસ, રોજગારી, એફોર્ડેબલ હાઉસિંગ સહીતની બાબતોમાં ચર્ચા કરવામાં આવી હતી.