Abtak Media Google News

ધીમે ધીમે આપણે સૌ ડીજીટલ યુગ તરફ આગળ વધી રહ્યા છીએ અને અમુક ચુસ્ત રૂઢિઓને ભૂલતા થયા છીએ પરંતુ આજે પણ ઘણી જગ્યાઓ પર અંધ શ્રદ્ધાની પરાકાષ્ઠા સામે આવતી હોય છે જેમાં અનેક લોકોને અંધશ્રદ્ધાની આગમાં હોમવામાં આવતા હોય છે ત્યારે રાજકોટમાં હાહાકાર મચાવતી ઘટના સામે આવી છે જેમાં પતિ પત્નીએ અંધશ્રધ્ધામાં આવી પોતાના મસ્તક હવન કુંડમાં હોમી દીધા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ તથા મામલતદારે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના રાજકોટ જીલ્લાના વિંછીયા તાલુકાની છે જ્યાં અંધશ્રદ્ધાની આગમાં ૨ જીવને હોમવામાં આવ્યા હતા. વિછીયા ગામે મોઢુકા રોડ પર પોતાની વાડીમાં રહેતા હેમુભાઈ મકવાણા અને તેમની પત્ની હંસાબેન મકવાણાએ પોતાની વાડીમાં ઝુંપડી બનાવી વિધિ શીખતા હતા. ૧૫ એપ્રિલ શનિવારના દિવસે પોતાના માસુમ પુત્ર અને પુત્રીને વીંછીયા તેમના મામાને ઘરે મૂકી આવ્યા બાદ બંને પતિ પત્ની વાડીમાં બનાવેલ ઝૂંપડીમાં જઈ દંપતીએ જાતે બનાવેલા હવન કુંડમાં બલિ ચડાવી જિંદગીનો અંત આણ્યો હતો.

 અગાઉથી જ દંપતીએ બનાવી હતી યોજના 

દંપતીએ હવન કુંડમાં બલિ ચડાવવાનું અગાઉથી પ્લાનિંગ કર્યું હતું. બન્ને દ્વાર હવાન કુંડ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં પતિ-પત્ની હવન કુંડની બાજુમાં સુઈ ગયા હતા. કોઈપણ રીતે માંચડામાં ભારેખમ લોખંડના ધારદાર અને વજનદાર એક હથિયારને બે પાઈપના સહારે ઉપર ચડાવ્યું હતું. ત્યારબાદ તેને એક દોરી બાંધી હતી. જે દોરીને કોઈપણ પ્રકારે કાપીને કે છૂટી મૂકીને છાપરાંની ઉંચાઈથી પટક્યું હતું. જેમાં પતિ અને પત્નીના મસ્તક કપાઈ ગયા હતા. જેમાં પત્નીનું મસ્તક હવન કુંડમાં પડ્યું હતું અને પતિનું મસ્તક હવન કુંડથી દૂર પડ્યું હતું.

લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હેમુભાઈ મકવાણા અને તેમની પત્ની હંસાબેન મકવાણા  તાંત્રિક વિધિ અને અંધશ્રદ્ધામાં આવીને હોમ હવન કરતા હતા ત્યારે અંધ શ્રદ્ધાની આગમાં જ બન્નેએ  મસ્તકની બલી ચડાવી દીધી હતી. પતિ-પત્નીએ હવનકુંડમાં કમળપૂજા કર્યાના બનાવમાં બે સુસાઈડ નોટ પણ મળી છે. બંને સુસાઈડ નોટને લોકો જોઈ શકે એ માટે ચીપકાવવામાં આવી હતી. સાથે રૂ. 50નો સ્ટેમ્પ પેપર પણ મળ્યો હતો. તેમના પરિવારને ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. વીછીયા પોલીસ તેમજ મામલતદાર અને રાજકોટ SOGના વિજયભાઈ વેગડ તેમની ટીમ સાથે પહોંચી ગયા હતા તાત્કાલિક બંને મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બંને પતિ પત્નીને અંધશ્રધ્ધામાં ધકેલનાર કોણ છે ?? હોમ હવન ના નામે બલી ચડાવવાનું કહેનાર કોણ છે ?  કોણ છે જેણે પતિ પત્નીને અંધશ્રદ્ધા જેવા ગેરમાર્ગે ચડાવ્યા હતા કેમ કે ગુરુ વિના જ્ઞાન ન હોય !!  ઝૂંપડી માંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં લખ્યું હતું કે મા બાપ ધ્યાન રાખજો બધા ભાઈઓ સંપીને રહેજો મારા પુત્ર અને પુત્રીનું ધ્યાન રાખજો. અમે અમારી મરજીથી આ મસ્તક ની બલી દઈએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.