Abtak Media Google News

કોર્પોરેશન દ્વારા વર્લ્ડ વોટર ડે નિમિત્તે જળસંચય અને નવા જળસ્ત્રોત અંગે સેમિનાર યોજાયો

રાજકોટનો દિન પ્રતિદિન વિસ્તાર થાય છે અને વસ્તીમાં વધારો થાય છે. શહેરીજનોને પીવાના પાણી માટે આજી, ન્યારી અને ભાદર જળાશયો ઉપલબ્ધ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ આજી અને ન્યારીને જોડેલ છે. સૌની યોજના મારફત પાણીની જરૂરત મુજબ નર્મદાના પાણી ડેમમાં ઠાલવવામાં આવેલ છે. વિશેષમાં, જમીનના તળ ખુબ જ નીચા જઈ રહેલ છે.જેના અનુસંધાને કોર્પોરેશન  દ્વારા વિશ્વ જળ દિવસ અંતર્ગત મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને જળસંચય અને નવા જળસ્ત્રોત અંગે સેમિનાર યોજાયો હતો.

આ અવસરે મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું હતું કે,શહેરમાં દિનપ્રતિદિન વિસ્તાર તથા વસ્તીમાં વધારો થયેલ છે આજે જો “સૌની યોજના” અમલમાં ન હોત તો શહેરના પીવાના પાણીની શું સ્થિતિ હોત તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. નવા ડેમો બનાવવા એ પડકારરૂપ કાર્ય છે કેમકે, ડેમ માટે યોગ્ય સ્થળે પર્યાપ્ત માત્રામાં જમીન મળવી, કુદરતી જળ પ્રવાહ ઉપલબ્ધ થવો, આ લાંબાગાળાનું આયોજન હોય છે અને ખુબ ખર્ચાળ પણ હોય છે. આવા સંજોગોમાં ઝડપથી અને સરળતાથી પાણીના વૈકલ્પિક સ્ત્રોત વિશે વિચાર કરીએ ત્યારે રેઈન વોટર રીચાર્જ અને સંગ્રહનો વિકલ્પ સર્વ પ્રથમ ધ્યાનમાં અવે છે. જેના માટે નિષ્ણાતોના મૂલ્યવાન સુચનો મળી રહે તેમજ તેના પર જરૂરી વિચાર વિમર્શ થાય તે માટે આજ રોજ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશેષમાં મેયરે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષથી ચોમાસામાં સારો વરસાદ થતો રહ્યો છે, તાજેતરની વાત કરીએ તો ગત ચોમાસામાં પણ સારો વરસાદ થયેલો છતાં પણ આ વર્ષમાં એક મહિના વહેલા રાજકોટમાં બોરના જળ સ્તર ઊંડા ઉતરી ગયા હોવાનું ધ્યાનમાં આવે છે. જેથી ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવે તે માટે રાજકોટમાં વ્યાપક સ્તરે ઝુંબેશના રૂપમાં રેઈન વોટર રીચાર્જ કરવામાં આવે તે વર્તમાન સમયની માંગ છે. આ સેમિનાર રાજકોટની વિવિધ સંસ્થાઓ, તજજ્ઞો અને સૌ નાગરિકો સામાજિક જવાબદારી સમજી આ અભિયાનમાં સામેલ થશે અને પરિણામલક્ષી કાર્ય થાય તેવી મને અપેક્ષા છે.

આ અવસરે વોટર વર્કસ સમિતિના ચેરમેન દેવાંગભાઈ માંકડે ઉપસ્થિત મહાનુભાવોને આવકારી કાર્યક્રમની રૂપરેખા દર્શાવતા એમ જણાવ્યું હતું કે, રાજકોટમાં લોકોને તેમના ઘેર નળમાં રોજ 20 મિનિટ સુધી પીવાનું પાણી મળી રહે છે. વાંચવામાં અને સાંભળવામાં આ વાત જેટલી સામાન્ય લાગે છે તેટલી જ અસામાન્ય મહેનત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. જે બિરદાવા લાયક છે. રાજકોટમાં વિવિધ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ છે. આ સંસ્થાઓના સહયોગ સાથે નાગરિકોને પણ જોડીને રાજકોટના ભૂગર્ભ જળ સ્તર ઉંચા લઈ જવાની દિશામાં કંઇક ખાસ કાર્ય થાય તેવી આશા છે. ત્રણ માસ બાદ ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે અત્યારથી જ જળ સંચય માટે જરૂરી કામગીરી થાય તે ઇચ્છનીય છે. અત્યારે રાજકોટમાં રોજ 365 એમએલડી પાણીની જરૂરિયાત રહે છે. રાજકોટના જળાશયોની સાથોસાથ “સૌની યોજના” મારફત નર્મદાનું પાણી મેળવી આ જરૂરિયાત પૂરી કરીએ છીએ.  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજકોટ ખાતે જ “સૌની યોજના” લોન્ચ કરી હતી. એ સમયે ઘણા લોકોને સંશય હતો કે આ યોજનાથી ડેમ ભરાશે કે કેમ ? આજે આપણે જોઈ રહયા છીએ કે સૌરાષ્ટ્રના 115 ડેમની સાથે રાજકોટના આજી અને ન્યારી ડેમ વર્ષમાં બે વખત નર્મદા નીરથી ભરવામાં આવે છે.

 

મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ પાણી વિતરણની વર્તમાન વ્યવસ્થાનો ચિતાર આપતા એમ કહ્યું હતું કે, 2014માં રોજ 150 એમએલડી પાણીની જરૂરિયાત હતી જે આજે 365 એમએલડી  છે. આગામી વર્ષ 2035 સુધીમાં આ જરૂરિયાત વધીને 650 એમએમડી સુધી પહોંચી શકે છે. રાજકોટમાં સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ સુધરી રહ્યું છે. શહેરમાં વર્ટીકલ ડેવલપમેન્ટ વધ્યું છે મતલબ કે હાઈરાઈઝ ઈમારતો વધુ બની રહી છે. તેમજ રાજકોટ ટ્રેડીંગ હબ હોઈ અન્ય પ્રાંતના લોકોનું રાજકોટમાં માઈગ્રેશન સતત વધી રહ્યું છે. આ સ્થિતિમાં લોકોને ભવિષ્યમાં પણ રોજ પાણી મળી રહે તે માટે અત્યારથી જ આયોજન કરવું એટલું જ જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2023-24ના બજેટમાં જળ સ્ટોરેજ ક્ષમતા વધારવા માટેનું આયોજન મુકવામાં આવેલ છે. આ કામ પૂર્ણ થયે બે દિવસ ચાલે તેટલા પાણીનો સંગ્રહ થઇ શકશે અને તેનાથી વોટર મેનેજમેન્ટ અને મેઇન્ટેનન્સના કારણે ક્યારેક ક્યારેક જે પાણીકાપ મુકવો પડે છે તેનાથી બચી શકાશે. આગામી સમયમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના 400 જેટલા બોર આઇડેન્ટિફાય કરવામાં આવેલ છે જેને રીચાર્જ કરી શકાય તેમ છે. હાલમાં જન ભાગીદારીથી પેવિંગ બ્લોકના કામ થાય છે તે જ રીતે રાજ્ય સરકાર દ્વારા વોટર રીચાર્જ યોજના અમલમ મુકેલ છે જેનો લાભ તમામ સોસાયટીઓ લેવો જોઈએ. આ સામાજિક ક્રાંતિ માટે સેવાકીય સંસ્થાઓએ આગળ આવવું પડશે અને લોકો સમજદારી પૂર્વક કરકસરથી પાણીનો ઉપયોગ કરે તે માટે જન જાગૃતિ કેળવવી પડશે. વિશેષમાં, શહેરમાં “વોટર સ્માર્ટ સોસાયટી” ઝુંબેશ હાથ ધરવાની જરૂરિયાત સમજાય છે. જેમાં સોસાયટીના તમામ મકાનોમાં બોર રીચાર્જ થયેલ હોય, પાણીનો બગાડ ન થાય, પોતાની જરૂરિયાતનું પાણી મળી ગયા બાદ નળ બંધ કરી વેડફાટ અટકાવવામાં આવે વિગેરે જેવા મુદ્દે લોક જાગૃતિ અને અમલ કરાવવું જોઈએ.

આ સેમિનારમાં સૌ પ્રથમ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રગટ્ય કરાયું તથા વોટર વર્કસ સમિતિના વાઈસ ચેરમેન નીલેશભાઈ જલુ અને સભ્ય રસીલાબેન સાકરીયા પુસ્તક અર્પણ કરી મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરાયેલ.

આ સેમિનારમાં આ ક્ષેત્રમાં કામ કરી રહેલ તજજ્ઞો  ડો. યોગેશ જાડેજા,  ચિન્મયબેન હેમાણી,  પાર્થભાઈ શાહ,  દિનેશભાઈ ટીલવા, રાજકોટ મહાનગરપાલિકાના ભૂતપૂર્વ સીટી એન્જી. જયસુખભાઈ કગથરા તેમજ નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ધીમંત વ્યાસ સહિતના અન્ય નિષ્ણાતો દ્વારા ચર્ચા વિચારણા બાદ તેમના અવલોકનો અને તારણો રજુ કરવામાં આવનાર હતા.

આ પસંગે ડે. મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વોટર વર્કસ સમિતિના ચેરમેન દેવાંગભાઈ માંકડ, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ધીમંત વ્યાસ તેમજ જુદી જુદી સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો, જળસંચય ક્ષેત્રે કામ કરી રહેલ તજજ્ઞો વિગેરે ઉપસ્થિત રહયા હતા.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.