Abtak Media Google News

પોલીસે યુવકની ફરિયાદ પરથી બનાસકાંઠા પંથકના સસરા સહિત ચાર સામે ગુનો નોંધ્યો

રાજકોટ નજીકના નવાગામના દીવેલીયાપરા વિસ્તારમાં રહેતા અને થોડા સમય પહેલા જ કોર્ટમાં પ્રેમ લગ્ન કરનાર યુવકની પત્નીને તેના પરિવારજનો પ્રેમ લગ્ન કર્યાનો ખાર રાખી અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તેના સસરા સહિત ચાર સામે ગુનો નોંધી તેઓની શોધખોળ શરૂ કરી છે.

પોતાની ફરિયાદમાં જયંતી ધીરાભાઈ સેજુ (ઉ.વ.24) એ જણાવ્યું છે કે તેણે વકતા ગમનાભાઈ સોલંકીની પુત્રી મમતા (ઉ.વ.18) સાથે 15 દિવસ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. બાદમાં તેની સાથે નવાગામના દીવેલીયાપરામાં રહેવા આવ્યો હતો. પાંચેક દિવસ બાદ થરાદ પોલીસ તેને અને પત્નીને લઈ ગઈ હતી. બંનેના નિવેદનો લઈ છોડી મુકયા હતા.

ગઈ તા.29 ના રોજ તે પત્ની સાથે ઘરે હતો ત્યારે તેનો સસરો વકતા અન્ય ત્રણ શખ્સો સાથે તેના મકાનમાં ધસી આવ્યો હતો.  એટલુ જ નહી તેને બેફામ ગાળો ભાંડી માર માર્યો હતો. તેની પત્નીને મારકુટ કરતા કરતા મકાનના ગ્રાઉન્ડ ફલોર ઉપર લઈ ગયા બાદ તેને મારી નાખવાની ધમકી આપી તેની પત્નીના વાળ પકડીને પોતાની સાથે આવેલી કારમાં બળજબરીપૂર્વક બેસાડી લઈ ગયા હતા.

જે અંગે તેણે કુવાડવા રોડ પોલીસમાં અરજી આપી હતી. ત્યારબાદ તેના પક્ષ તરફથી સમજાવટ શરૂ કરાઈ હતી. તેના પક્ષે પત્ની મમતાને તેના સસરા પરત મોકલી આપે તેમ કહેવડાવાયું હતું. પરંતુ તેના સસરાએ તેની પત્નીને પરત નહી મોકલતા અંતે ચાર સામે પોલીસે અપહરણની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.