Abtak Media Google News

ચોથી જાગીર ગણાતા પત્રકારો અને તેના સ્વજનોની કોરોનાની સારવારનો ખર્ચ સરકાર ભોગવે અને મિડિયા કર્મીઓ પ્રત્યે ઉતરદાયિત્વ નિભાવે તે અંગેની રજૂઆત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રી સમક્ષ કરી છે.

લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે કોરોના મહામારીની બીજી લહેર કેટલી ઘાતક અને જીવલેણ સાબિત થઇ છે. આ મહામારી વચ્ચે પણ પોતાની ફરજનિષ્ઠા ખૂબ જ જવાબદારીપૂર્વક નિભાવનાર તમામ કોરોના વોરિયર્સ પ્રત્યે સરકારની એક વિશેષ જવાબદારી બની રહે છે. પરંતુ કમનસીબે આ કોરોના વોરિયર્સનો હિસ્સો પત્રકાર જગતના હોય એવું જનમાનસમાં પ્રતિપાદિત થઇ રહ્યું છે.

પત્રકારોના સંગઠન દ્વારા એકત્રિત કરાયેલ માહિતી અનુસાર લગભગ પર જેટલા મિડિયાકર્મીઓએ કોરોના વચ્ચે કામ કરતાં-કરતાં એમનો જીવ ગુમાવ્યો છે. ગુજરાતના ખુણે-ખુણે ખબર માટે સંક્રમિત ગલીઓમાં ઘુમતા આ મિડિયાકર્મીઓના સંક્રમિત થવાથી એમના 3000 જેટલા પરિવારજનો પણ સંક્રમણનો ભોગ બન્યા હોવાનું પત્રકારોએ એકઠી કરેલ માહિતીમાં જાણવા મળ્યું છે. સરકારની વાત પ્રજા સુધી અને પ્રજાની સમસ્યા સરકાર સુધી પહોંચાડવાનું કામ કરતી આ મહત્વપૂર્ણ કડીરૂપ મિડિયાકર્મીઓ પ્રત્યે આપતા સૌનુ ઉત્તરાદાયિત્વ બને છે.

સરકારની આરોગ્ય વ્યવસ્થાનો પનો ટુકો પડતા ખાનગી દવાખાનાઓમાં સારવાર લેવાની મજબુરીએ પત્રકારો અને તેમના પરિવારની સારવાર પાછળ ઘણો અસહ્ય ખર્ચ થાય એ સ્વાભાવિક છે. ઓક્સીજન, ઇન્જેક્શન, આવશ્યક દવાઓ મેળવવા રઝળપાટ કરતી સામાન્ય પ્રજા જેવી જ સ્થિતિ તમામ વર્ગની હતી એટલે પત્રકાર જગત પણ તેનાથી અછુતુ ના જ રહ્યું હોય. આ સંજોગોમાં પત્રકારો અને તેમના સ્વજનોને કોરોનાની સારવાર માટે જે પણ ખર્ચ થયો હોય તે સરકારે ભોગવવો જોઇએ તેવી મિડિયાકર્મીઓની વ્યાજબી માંગણી પ્રત્યે સરકારે સકારાત્મક વલણ દાખવવું જોઇએ. જે મિડિયાકર્મીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને મરણોતર રાશી સ્વરૂપે વ્યાજબી વળતર સરકારે ચુકવવુ જોઇએ તેવી પત્રકાર જગતની લાગણી સાથે પણ કોંગ્રેસ પરિવાર સંમત છે. મિડિયા જગત જેમાં પત્રકારો, રીપોર્ટર, ટેક્નીશીયન, કેમેરામેન વિગેરે તમામને કોરોના વોરિયર્સ ગણી રાજ્ય સરકારે સહાય કરવી જોઇએ તેવી અંતમાં અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.