Abtak Media Google News

આકર્ષક વ્યક્તિત્વ-કપડાંની પસંદગી-મફલર-સફેદ બૂટ સાથે સંવાદ બોલતી વખતે રાજકુમારની આંખો જ તેના અભિનયની તાકાત હતી: તેમની વોઇસ ક્વોલીટીને કારણે વક્ત-તિરંગા-પાકિઝા જેવી ફિલ્મોના સંવાદ આજે પણ પ્રેક્ષકો યાદ કરે છે

હિન્દી સિમેમા જગતમાં આમ તો કેટલાય દમદાર અભિનેતાએ દર્શકોના દિલ પર રાજ કર્યું પણ એક સિતારો એવો બોલીવૂડમાં આવ્યો જેને દર્શકો જ નહીં પણ પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો રાજકુમાર બન્યો. તે એટલે સંવાદનો બેતાજ બાદશાહ કુલભૂષણ પંડિત યાને ફિલ્મસ્ટાર રાજકુમાર. તેનો જન્મ પાકિસ્તાનના બલુચિસ્તાન વિસ્તારમાં 8 ઓક્ટોબર 1926નાં રોજ થયો હતો. તેઓ પ્રારંભે મુંબઇના માહિમ થાણામાં સબ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા હતા. તે જે પોલીસચોકીમાં નોકરી કરતાં ત્યાં ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલ લોકોનો આવરો-જાવરો રહેતો હતો. એકવાર નિર્માતા બલદેવ દુબે આવ્યા અને તેને રાજકુમારની વાતચિતનો અંદાજ પસંદ પડ્યો અને પોતાની ફિલ્મ ‘શાહીબઝાર’માં અભિનેતા બનવા માટે ઓફર કરીને તેઓ તૈયાર થઇ ગયાને શરૂ થઇ રાજકુમારની બોલીવૂડયાત્રા ફિલ્મ બાદ તેમને ઘણા વખત પછી કામ મળતાં મુશ્કેલી વચ્ચે પણ 1952માં ‘રંગીલી’ ફિલ્મમાં નાનકડી ભૂમિકા પણ કરી.

પ્રથમ ફિલ્મ ફેલ ગઇ લોકો પણ કહેવા લાગ્યા કે તારો ચહેરો ફિલ્મ માટે લાયક નથી, તારે ખલનાયક બનવું જોઇએ. 1952 થી 1957 તેમણે ઘણી મુશ્કેલી ભોગવી સંઘર્ષ કર્યો. રંગીલી ફિલ્મ બાદ અનમોલ સહારા-અવસર-ધમંડ-નિલમણી અને કૃષ્ણ સુદામા જેવી ફિલ્મોકરી પણ આ પૈકી એકપણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ ન થઇ, પણ 1957માં આવેલી મહબુબખાનની ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ ફિલ્મથી તેનો સિતારો ચમકી ગયો. અભિનેત્રી નરગિસ કેન્દ્રીત ફિલ્મમાં તેના નાનકડા રોલમાં સુંદર અભિનયથી અમીટ છાપ છોડી હતી. 1959માં દિલીપકુમાર સામે તેમણે પૈગામ ફિલ્મ કરી પછી તો દિલ અપના ઔર પ્રિત પરાઇ-1960માં ઘરાના-1963માં ગોદાન – 1963માં દિલ એક મંદિર – 1964માં દૂજ કા ચાંદ જેવી કામયાબ ફિલ્મોથી રાજકુમાર બોલીવૂડમાં ‘રાજ’ કરવા લાગ્યા.

1965માં ‘કાજલ’ ફિલ્મની સફળતાએ બોલીવૂડમાં તેમનું નામ દેવાનંદ-દિલીપકુમાર-રાજકપૂર સાથે દર્શકો લેવા લાગ્યા. પોતાની અલગ છાપથી સફળતા મેળવતા 1965માં બી.આર.ચોપડાની ‘વક્ત’ ફિલ્મે તો ચાર ચાંદ લગાવી દીધા હતાં. પછી તો હમરાજ-નિલકમલ-મેરેહૂજૂર-હિરરાંજડા-પાકિઝા જેવી ફિલ્મોએ તેમને સુપરસ્ટાર બનાવી દીધા હતા. રાજકુમારે બીજા કલાકારો કરતા ઓછી ફિલ્મો કરી પણ દર્શકોના દિલ પર રાજ કર્યું. અભિનયમાં વિવિધતા લાવીને 1978માં કર્મયોગી-1980માં બુલંદી પછી 1990 સુધીમાં તો શરારા-ધરમકાંટા-રાજતિલક- મરતે દમતક-સૂર્યા-એક નઇ પહેલી- જંગબાજ- પુલિસ પબ્લિક જેવી ઘણી ફિલ્મો કરી હતી.

1991માં આવેલી ‘સૌદાગર’ ફિલ્મમાં 1959માં ફિલ્મ પૈગામ બાદ ફરી દિલીપ-રાજ ભેગા થયાને અભિનયની દુનિયાના બે બેતાજ બાદશાહના ડાયલોગથી ફિલ્મે ધૂમ મચાી દીધી હતી. 1990 પછી કામ કરવાનું ઓછુ કર્યું છતાં 1995 સુધીમાં તિરંગા-પુલિસ ઔર મુજરિમ- ઇંસાનિયત કે દેવતા, બેતાજ બાદશાહ-જવાબ અને ગોડ ઔર ગન જેવી ફિલ્મો કરી જો કે આ બધી ફિલ્મો દર્શકો તેના ડાયલોગ સાંભળવા જ જોવા જતા હતાં.

દમદાર અવાજના માલિકનું 3 જુલાઇ 1996ના રોજ મુંબઇ ખાતે અવસાન થયું. તેના પુત્ર પુરૂ રાજકુમાર પણ પિતાના પગલે અભિનયમાં આવીને થોડી ફિલ્મો કરી હતી. રાજકુમારને દિલ એક મંદિર અને વક્ત ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મ ફેર એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડ 1996માં મળ્યો હતો. તેમણે ચાર દશક સુધી બોલીવૂડમાં રાજ કર્યું હતું. છેલ્લી ફિલ્મ ‘બકવાસ’ 1995માં આવી હતી.

બોલીવૂડના અન્ય કલાકારો કરતાં રાજકુમાર તેની ડાયલોગ ડિલિવરી માટે જાણીતા હતા, તેઓ તેના આ બળે જ ફિલ્મ જગતમાં નામના મેળવનાર એકમાત્ર કલાકાર છે. ‘જાની’ના ડાયલોગ દેશના કરોડો ચાહકોના દિલો, દિમાગ પરથી આજે પણ ભૂલાયા નથી. આગવી સ્ટાઇલથી રૂઆબ ઘાંટનાર રાજકુમારને બોલીવૂડ એક ‘અનક્ધવેશનલ હીરો’ તરીકે ઓળખે છે. તલવાર કટ મૂછો- ગંભીર ચહેરો અને પથ્થર જેવી સખ્ત આંખો હોવા છતા તે અભિનયના બાદશાહ હતા. ફિલ્મ ‘તિરંગા’ના એક-એક સંવાદ અને તેમા રહેલો પંચ આજેય ચાહકોને યાદ છે. સ્વભાવની દ્રષ્ટિએ રાજકુમાર કિશોર કુમારની જેમ જ તરંગી હતા. મુહમ્મદ રફીના અવાજના ચહેરા રાજકુમારે “છૂ લેને દો નાજુક હોઠોકો” “યે ઝૂલ્ફ અગર બિખર જાયે તો અચ્છા હૈ’ તથા હિર રાંઝાનું “યે દુનિયા….યે મહેફીલ” જેવા અવિસ્મરણીય ગીતો હતાં.

રાજકુમાર વાંચનના શોખીન હતા લિયો ટોલ્સ્ટોય, બર્ટ્રાન્ડ રસેલ – સ્વામી વિવેકાનંદ  અને ગાયડી, મોમ્પાસા જેવા સાથીરોને વાંચ્યા હતા. કાશ્મિરી પંડિત હોવા છતાં ઉર્દૂ અને અંગ્રેજી ભાષામાં તેનું પ્રભુત્વ એટલું શ્રેષ્ઠ હતું કે ‘પાકિઝા’ ફિલ્મના નિર્માણ વખતે કમાલ અમરોહી પણ તેની મદદ લેતાં હતાં. બોલીવૂડમાં ‘છટા’ શબ્દ રાજકુમાર અને શશીકપૂર માટે જ વપરાતો હતો. શૂટિંગના બ્રેક સમયે કોઇ સહ અભિનેત્રી તેની પાસે જવાની હિંમત ન કરતી. જાનીના હાથમાં પાઇપ કે સિગાર હોય જ ને તેઓ બ્રેકમાં કોઇ અંગ્રેજી ક્લાસિક પુસ્તક વાંચતા હોય.

રાજકુમાર એક એવો કલાકાર હતો જે વગર સંવાદ બોલે માત્ર આંખોના હાવભાવથી અનેક સંવાદો બોલી શકતો હતો. એની ચાલ એના કપડાં આજના નાયકોને શોભતા નથી. એના રોલ મુજબની ફિલ્મોમાં તેના ડાયલોગ હીટ થતાં છેલ્લે ગળાના કેન્સરને કારણે તેઓ બોલી શકતા નહી સાથે તેઓ વર્ષોથી વિગ પહેરતા પણ બહુ જ ઓછા લોકોને આ વાતની ખબર હતી. કેન્સરને કારણે તેના આખરી જીવનમાં ઘણુ રિબાયો હતો. ફિલ્મ જગતમાં બધા કલાકારથી અલગ રાજકુમાર ‘મહારાજા’ની જેમ રહીને પ્રેક્ષકોના દિલ પર ચાર દાયકા રાજ કર્યું હતું.

 

Main Image 0001

“જાની, હમ તુમ્હે મારેંગે, ઔર જરૂર મારેંગે,

પર બંદૂક ભી હમારી હોગી, ઔર વક્ત ભી હમારા હોગા”

તેમના ચાહકોને આજે પણ તેમના તમામ ડાયલોગ મોઢે હોય છે.

રાજકુમારના હીટ ડાયલોગ

  • ચિનોઇ શેઠ, જિન કે ઘર શીશે કે બને હોતે હૈ વો દૂસરો પર પથ્થર નહીં ફેંકતે, ફિલ્મ- વક્ત
  • હમારી જુબાન ભી હમારી ગોલી કી તરહ હે, દુશ્મન સે સીધી બાત કરતી હૈ, ફિલ્મ – તિરંગા
  • આપ કે પૈર બહુત ખૂબસુરત હૈ, ઇન્હે જમીન પર મત રખીયે, મૈલે હો જાયેંગે, ફિલ્મ – પાકિઝા
  • હમ કુતોં સે બાત નહીં કરતે, ફિલ્મ – મરતે દમ તક
  • યે બચ્ચો કે ખેલને કી ચીઝ નહીં, લગ જાતા હૈ તો ખૂન નિકલ આતે હૈ, ફિલ્મ – વક્ત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.