Abtak Media Google News

17 એપ્રિલ સુધી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં અદાલતો વર્ચ્યુઅલી ધમધમશે

જે રીતે દિનપ્રતિદિન કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે તેના કારણે પ્રજાથી માંડીને તંત્ર સુધીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અગાઉ હાઇકોર્ટે રાજ્ય સરકારને લોકડાઉન અમલી બનાવવા નિર્દેશ કર્યો હતો જે અંગે રાજ્ય સરકારે કોર કમિટીની બેઠક બોલાવી અનેકવિધ નિર્ણયો લીધા છે. હાલ હાઇકોર્ટ આ બાબતે ખૂબ જ ચિંતિત હોય, હાઇકોર્ટ દ્વારા રાજ્યની પાંચ મહાનગરોમાંની અદાલતોને ફિઝિકલ સુનાવણી પર રોક લગાવવા આદેશ આપવામાં આવ્યા છે. આજથી દસ દિવસ સુધી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરની અદાલતો ફક્ત વર્ચ્યુઅલ શરૂ રાખવા હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. 10 દિવસ માટે મહાનગરોની અદાલતોમાં ફિઝિકલ કામગીરી ઉપર સંપૂર્ણ લગાવવા માટે હાઇકોર્ટે આદેશ કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે એક પરિપત્ર જાહેર કરતા કોરોના સંક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. પરિપત્રમાં સ્પષ્ટપણે રાજ્યના પાંચ મહાનગરપાલિકાઓ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરની અદાલતોને આજથી 17 એપ્રિલ સુધી ફિઝિકલ કામગીરી ઉપર સંપૂર્ણપણે રોક લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દસ દિવસ સુધી પાંચ મહાનગરપાલિકાઓની અદાલતો ફક્ત વર્ચ્યુલી જ કાર્યરત રહેશે.તેમજ જરૂરિયાત મુજબના કર્મચારીઓને જ અદાલત ખાતે બોલાવવા માટે પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. 10 દિવસ સુધી પુરાવાઓનું રેકોર્ડિંગ, દલીલ સહિતની તમામ કામગીરી વર્ચ્યુલી કરવા હાઇકોર્ટે આદેશો આપ્યા છે. આ 10 દિવસના સમયગાળા દરમિયાન કોઈપણ જ્યુડિશિયલ ઓફિસર કોઈ પણ પ્રકારનો ઓર્ડર પણ આપી શકશે નહીં તેવો ઉલ્લેખ પણ પરિપત્રમાં કરવામાં આવ્યો છે.

અદાલતોમાં રહેલી કેન્ટીનમાંથી ફક્ત પાર્સલ સર્વિસ જ શરૂ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. અદાલત પરિસરમાં આવેલી કોઇપણ કેન્ટીન ખાતે પાર્સલ સર્વિસ સિવાય અન્ય કોઈ સવલતો આપી શકાશે નહીં તેવો ઉલ્લેખ પણ પરિપત્રમાં કરવામાં આવ્યો છે.

હાઈકોર્ટે અન્ય જિલ્લાઓની અદાલતને ટાંકીને કહ્યું છે કે, અન્ય અદાલતો ફિઝિકલ કામગીરી શરુ રાખી શકશે પરંતુ તે પણ સમય મર્યાદાને આધીન રહેશે. હાઈકોર્ટના પ્રથમ સેશનમાં બે કલાક તેમજ બીજા સેશનમાં પણ બે કલાક સુધી ફિઝિકલ કામગીરી શરૂ રાખવા માટે પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજને આદેશ આપવામાં આવ્યો છે. ડિસ્ટ્રિક્ટ જજ ને હાઈકોર્ટે એવો પણ આદેશ કર્યો છે કે, અદાલતોમાં ફક્ત 50 ટકા કર્મચારીઓને જ ફરજ માટે બોલાવવામાં આવે જેથી સંક્રમણનો ભય ઓછો રહે. નોંધનીય બાબત છે કે, આગામી સમયમાં રાજ્યની મહાનગરોની અદાલતોને ફિઝિકલ શરૂ કરવી કે નહીં તે અંગેનો હાઈકોર્ટ 15મી એપ્રિલના રોજ નિર્ણય લેનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.