Abtak Media Google News

અગમ્ય કારણોસર આગ લાગતા શ્રમજીવીઓની ઘર વખરી બળીને ખાખ

ફાયર ફાઇટરની સમયસૂચકતાથી આગ કાબૂમાં: જાનહાની ટળી

જેતપુરના ભાદર નદીના પુલ પાસે આવેલ ઝૂંપડાઓમાં રાત્રીના અઢી વાગ્યાની આસપાસ અગમ્ય કારણસર આગ લાગતા પાંચથી છ જેટલા ઝુંપડાઓ આગની ઝપટે ચડી ગયા હતા જેના પર નગરપાલિકાના ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાંખી હતી. પરંતુ ઝૂંપડાઓમાં તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.

ભાદર નદીના જુના પુલ હેઠળ ઝૂંપડાઓ વાળીને રહેતા શ્રમજીવીઓ કડકડતી ઠંડીમાં ગાઢ નિદ્રામાં સુતા હતા ત્યારે રાત્રીના અઢીક વાગ્યે ઠંડીને બદલે ગરમાવો જેવું લાગતા નિદ્રામાં પોઢી રહેલ આ શ્રમજીવીઓ બહાર નીકળી જોતા ઝૂંપડાઓમાં આગ લાગી હતી. જેથી અન્ય સુતેલા લોકોને જગાડી બહાર કાઢ્યા અને નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

પરંતુ ઝૂંપડાઓ ક્ષણના કોથળાઓના બનેલ હોય અને આ કોથળાઓ આગ વાહક હોવાથી આગ તરત જ ફેલાઈ ગઈ હતી. જેથી ફાયર ફાઇટરે આગ પર કાબુ મેળવી લીધો. એટલીવારમાં પાંચથી છ ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા. અને ઝૂંપડાઓમાં રહેલ શ્રમજીવીઓની તમામ ઘરવખરી પણ બળીને ખાખ થઈ ગઈ હતી. આવી કડકડતી ઠંડીમાં શ્રમજીવીઓને માથા પરથી છત છીનવાઈ જતા આખી રાત બહાર બેઠા રહ્યા હતા. એકબાજુ મહેનત મજૂરી કરીને કમાયેલ થોડી ઘણી બચત પણ આગમાં ખાખ થઈ જતા હવે શું કરવું ? ક્યાં જવું ? તેવો સવાલ સતાવી રહ્યો છે. સદનસીબે કોઈ જાનહાની તો ન થઈ પરંતુ શ્રમજીવીઓ અન્ન અને ઘરવિહોણા બની ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.