Abtak Media Google News

પરિવાર દીઠ સરકાર ૩૦ હજાર રૂપિયાની કરશે સહાય

દેશની અનેકવિધ રાજયની સરકારો ઘણાખરા વિકાસલક્ષી અને સમાજ ઉત્થાન માટેના પગલા લેતી હોય છે ત્યારે કેરેલા સરકારે પણ એક સરાહનીય પગલુ ભર્યું છે જેમાં કેરેલાનાં પાકા કામના કેદીઓ જે સજા ભોગવી રહ્યા હોય તેઓની દિકરીઓનું કન્યાદાન સરકાર કરશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. સરકાર પ્રતિ પરીવાર દીઠ ૩૦ હજાર રૂપિયાની સહાય ચુકવશે. સરકાર દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જે કેદીઓ બે વર્ષથી વધુનો જેલવાસ ભોગવી રહેલા હોય તેઓને આ લાભ સરકાર દ્વારા આપવામાં આવશે.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જે પરીવારનાં સભ્યો જેલવાસ ભોગવે છે તેઓની નાણાકિય સ્થિતિ ડામાડોળ હોવાથી તેમની દિકરીઓનાં લગ્ન થઈ શકતા નથી ત્યારે આ મુદ્દાને ધ્યાને લઈ સરકાર મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાજીક ન્યાય અને મહિલા ઉત્થાન વિભાગનાં સચિવ બીજુ પ્રભાકર દ્વારા ચાલુ વર્ષમાં ૨૦ પરીવારને ૩૦-૩૦ હજાર રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. આ સહાય માટે સરકારે અમુક નીતિ-નિયમો પણ બહાર પાડવામાં આવ્યા છે જેમાં દિકરીની માતા અથવા તેના પિતા બે વર્ષથી વધુ જેલવાસ ભોગવી રહેલા હોય અને તેઓ ગરીબી રેખા નીચે જીવતા હોય તે પરીવારને આ સહાયનો લાભ મળશે. બીજી તરફ દિકરીના લગ્ન કરાવ્યા બાદ આ સહાય માટે પરીવાર લગ્નનાં ૬ માસથી ૧ વર્ષ વચ્ચે આ સહાય માટેની માંગણી કરી શકશે. સરકારી સુત્રોનાં જણાવ્યા મુજબ આ યોજના થકી પરીવારની બે દિકરીઓને નાણાકિય સહાય આપવામાં આવશે અને તે માટે જેલ સુપ્રીટેન્ડેન્ટનાં હસ્તે અરજી કરવાની રહેશે. તેઓનાં જણાવ્યા મુજબ પ્રોબેશન ઉપર ફરજ બજાવી રહેલા અધિકારીઓના નિર્ણય ઉપર જ નાણાકિય સહાય પરીવારની દિકરી અથવા તો તેમનાં માતા-પિતાને મળવાપાત્ર રહેશે. હાલ સરકાર જેલવાસ ભોગવી રહેલા કેદીઓનાં બાળકોને ઉચ્ચ અભ્યાસ મળી રહે તે માટે નાણાકિય સહાયની સ્કીમ ચલાવી રહ્યા છે સાથો સાથ મહિલા કેદીઓનાં બાળકોને પણ આ સહાયનો મહતમ લાભ કરેલા સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.