Abtak Media Google News

જામ કલ્યાણપુર તાલુકાના દેવરીયા ગામના આહિર યુવાનની આડા સંબંધના કારણે સાળા-બનેવીએ ધારિયાથી હુમલો કરી કરપીણ હત્યા કર્યાનું પોલીસમાં નોંધાતા પોલીસે બંને શખ્સોની શોધખોળ હાથધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દેવરીયા ગામે રહેતા છગનભાઇ દેવાભાઇ વરૂ નામના આહિર યુવાનની રણમલ પબા અને તેના બનેવી મેરૂ રામા લાડકે ધારિયાથી હુમલો કરી હત્યા કર્યાની ઘેલુભાઇ દેવાભાઇ વરૂએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

છગનભાઇ વરૂ પરિણીત છે અને તેમને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. છગનભાઇ વરૂને તેના ગામની લાભુબેન પબા સાથે છેલ્લા એકાદ વર્ષથી આડો સંબંધ હોવાથી ઘરે અવાર નવાર મોડો આવતો હતો. ગત તા.6ના સવારે કુટુંબી મામા જગાભાઇ આલાભાઇએ છગનભાઇ વરૂ રણમલના ઝુપડા પાસે લોહીલુહાણ હાલતમાં પડયો હોવાની જાણ કરતા ઘેલુભાઇ વરૂ પોતાના કુટુંબીઓ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.છગનભાઇ વરૂને માથા અને છાતીમાં ઇજાના નિશાન જોવા મળ્યા હતા અને તે મૃત હાલતમાં હોવાથી પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. છગનભાઇ વરૂને લાભુબેન પબાભાઇ સાથે આડા સંબંધ હોવાના કારણે અને ગત તા. 5મીએ છગન અને લાભુબેનને કઢંગી હાલતમાં રણમલ પબા અને મેરૂ રામા જોઇ જતા ધારિયાથી હુમલો કરી હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.