Abtak Media Google News

સ્વચ્છ રાજકોટ અભિયાન માટે શહેરીજનોની જાગૃતિને બિરદાવતા મેયર અને સેનીટેશન સમિતિના ચેરમેન

સ્વચ્છતામાં રાજકોટ દેશનું નં-1 શહેર બને તે માટે મહાપાલિકા દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. શહેરમાં એકપણ ન્યુસન્સ પોઈન્ટ ન રહે તેમાટે મેયર ડો.પ્રદિપ ડવે હાથ ધરેલા અભિયાનને હવે સફળતા મળી રહી છે. 163 ન્યુસન્સ પોઈન્ટમાંથી 30 જેટલા ન્યુસન્સ પોઈન્ટનો ખાત્મો થઈ ગયો હતો. અગાઉ જ્યાં ટ્રેકટર ભરાય તેટલો કચરો એકત્રીત થતો હતો ત્યાં હવે માત્ર નહીંવત કચરો ભેગો થાય છે.

સફાઈ પ્રત્યે રાજકોટવાસીઓની જાગૃતતાને મેયરે બિરદાવી અભિનંદન પાઠવ્યા છે.આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ તથા સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભરે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન-2નું લોન્ચિંગ કરેલ છે. દિલ્હી ખાતે યોજાયેલ આ લોન્ચિંગ સમારોહમાં મેયરે ભાગ પણ લીધેલ. આ સમારોહમાં પ્રધાનમંત્રીએ દેશમાં સ્વચ્છતા જળવાઈ તે બાબત પર ખૂબજ ગંભીરતાપૂર્વક ભાર મુક્યો હતો. આ અંતર્ગત જનજાગૃતિ અને હાથ ધરવાની થતી વિવિધ પ્રવૃતિઓ માટે વિવિધ યોજનાઓ પણ હાથ ધરાયેલ છે.

શહેર સ્વચ્છ, સુંદર અને રળિયામણું બને તે માટે સૌના પ્રયાસોથી અભિગમ આપવાનીશું તો ખૂબ જ સારૂ પરિણામ મળશે. મેયર ડો.પ્રદિપ ડવએ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ગંદકીના ન્યુસન્સ પોઈન્ટના કારણે આજુબાજુના રહેવાસીઓને થતી મુશ્કેલીને ધ્યાને લઇ ગત જુલાઈ માસમાં રાજકોટને ગંદકીના ન્યુસન્સ પોઈન્ટ મુક્ત અભિયાન શરૂ કરાયેલ. શહેરમાં કુલ 163 ગંદકીના ન્યુસન્સ પોઈન્ટ હતા.

તેમાં આ અભિયાનના પરિણામ સ્વરૂપે 30 જેટલા ન્યુસન્સ પોઇન્ટનો ઘટાડો થયેલ છે અને વધુ ને વધુ ન્યુસન્સ પોઈન્ટ જેવા પોઈન્ટ પર દરરોજ ટ્રેક્ટર ભરાઈ એટલો કચરો નીકળતો ત્યાં હાલમાં નહીવત કચરો થાય છે. તેમજ તમામ ન્યુસન્સ પોઈન્ટ પર નિયમિત સફાઈ કરવામાં આવી રહી છે. દીન-પ્રતિદિન ન્યુસન્સ પોઈન્ટ પર ઘટાડો થાય તેવા તંત્ર દ્વારા પ્રયત્નો થઇ રહ્યા છે અને આ અભિયાનની જાગૃતતા માટે પત્રિકા વિતરણ પણ કરવામાં આવેલ. વિશેષમાં, સ્વચ્છ રાજકોટ અભિયાન માટે શહેરીજનોની જાગૃતિને મેયરે બિરદાવી હતી.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી આવાસોમાં ડસ્ટબીન ન હોવાથી ટીપરવાનને કચરો આપવામાં આવતો ન હતી જેના કારણે પણ આવાસની બાજુમાં ન્યુસન્સ પોઈન્ટ ઉભા થતા હતા. આ પોઈન્ટના નિવારણ માટે રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજનામાં આગામી સમયમાં મોટી ડસ્ટબીન આપવામાં આવશે અને આવાસ યોજનાના રહેવાસીઓને ટીપરવાનમાં જ કચરો નાંખવા સમજાવવામાં આવેલ.

સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટ શહેરનો નંબર આવે તે માટે તંત્રની સાથે હજુ વધુને વધુ શહેરીજનો સફાઈ માટે સહકાર આપવા મેયર તથા સેનીટેશન કમિટીના ચેરમેન અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.