- એપ્રિલ પૂરો થતા પહેલા જ નવી જંત્રી અમલમાં!!!
- સરકારી પ્રણાલીઓમાં નવી જંત્રી પ્રણાલીને અપગ્રેડ કરવાની પ્રક્રિયા પૂર્ણ: આગામી નાણાકીય વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી થતી આવકમાં આશરે 5,094 કરોડ રૂપિયા વધવાની ધારણા
છેલ્લા કેટલાય દિવસોથી ગૂંચવાયેલ જંત્રી દર અંગેનો નિર્ણય આ મહિનાના અંત સુધીમાં આવે તેવી શક્યતા છે. 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ પહેલા નવા જંત્રી દર લાગુ કરવામાં આવશે. 2011 બાદ 2023માં જંત્રી દર બમણો કરાયો હતો. જે બાદ જંત્રીમાં 5 થી 2000 ગણા સુધીનો વધારો કરાયો હતો. જે અંગે વિરોધ થતા આ નિર્ણય મુલતવી રખાયો હતો.
ગુજરાત સરકાર દ્વારા સુધારેલા જંત્રી દરો અથવા વાર્ષિક દરોનું નિવેદન આગામી એક સપ્તાહ અથવા મહિનાના અંત સુધીમાં અમલમાં આવે તેવી પ્રબળ સંભાવના છે. સરકારના ટોચના સૂત્રોએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વિભાગ દ્વારા નવી જંત્રી પ્રણાલીને સરકારી સિસ્ટમમાં અપગ્રેડ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે સરકારની અંતિમ સૂચનાની રાહ જોવાઈ રહી છે. અગાઉ આ દરો 1 એપ્રિલથી લાગુ થવાના હતા, પરંતુ તેને મુલતવી રાખવામાં આવ્યા હતા.
મહેસૂલ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, “વિભાગે સરકારી પ્રણાલીઓમાં નવી જંત્રી પ્રણાલીને અપગ્રેડ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. વિવિધ ફોમ્ર્યુલા તૈયાર કરવામાં આવ્યા છે અને દર વધારા અંગે સરકારની અંતિમ સૂચનાઓ અનુસાર તેને લાગુ કરવામાં આવશે.” સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે સરકારે સમગ્ર સિસ્ટમને તૈયાર રાખી છે, જેથી ગમે ત્યારે આ અંગેની જાહેરાત થઈ શકે છે.
નિર્ણય લેવાની પ્રક્રિયાથી વાકેફ એક સૂત્રએ જણાવ્યું હતું કે, “અમે એક અઠવાડિયાની અંદર અથવા મહિનાના અંત સુધીમાં નવા જંત્રી દરો માટે સૂચનાની અપેક્ષા રાખીએ છીએ.” સુધારેલા જંત્રીના પ્રસ્તાવિત મુસદ્દા પર નજર કરીએ તો, ચોક્કસ કિસ્સાઓમાં જમીનના મૂલ્યાંકનમાં આશ્ચર્યજનક રીતે 2,000 ગણો સુધીનો વધારો જોવા મળ્યો છે, જે ખરીદનારાઓ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે એક મોટો ફેરફાર સાબિત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે 2023 ની શરૂઆતમાં 2011 ના જંત્રી દરને બમણા કર્યા હતા. ત્યારબાદ, ગયા વર્ષે નવેમ્બર મહિનામાં નવા જંત્રી દર જાહેરમાં મૂકવામાં આવ્યા હતા, જે રાજ્યના ઘણા વિસ્તારોમાં 2023 ના દરની તુલનામાં પાંચ ગણાથી લઈને સીધા 2,000 ગણા સુધી વધારે હતા. આ નવા દરો સામે વ્યાપક વિરોધ નોંધાયો હતો, જેના પગલે સરકારે સૂચનો અને વાંધાઓ માટેની છેલ્લી તારીખ 20 ડિસેમ્બર, 2024 થી વધારીને એક મહિનો કરી હતી. તેમ છતાં, નવા જંત્રી દરો અંગેનો અંતિમ નિર્ણય જાન્યુઆરી મહિનાથી હજુ સુધી પેન્ડિંગ છે.
દરમિયાન, સરકાર આગામી નાણાકીય વર્ષ 2025-26 માટે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી થતી આવકમાં નોંધપાત્ર વધારાની અપેક્ષા રાખી રહી છે. તાજેતરમાં જ 2025-26 માટે રાજ્યનું બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી થતી અંદાજિત આવક વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 ની આવકની તુલનામાં આશરે 5,094 કરોડ રૂપિયા વધવાની ધારણા છે. આ આંકડા સુધારેલા જંત્રી દરોથી થનારી સંભવિત આવક તરફ નિર્દેશ કરે છે.
હવે જ્યારે નવા જંત્રી દરો ટૂંક સમયમાં અમલમાં આવવાની શક્યતા છે, ત્યારે રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર તેની કેવી અસર પડશે તે જોવું મહત્ત્વનું રહેશે. એક તરફ સરકારને આવકમાં વધારો થશે, તો બીજી તરફ મિલકતો ખરીદનારાઓ માટે આ બોજારૂપ સાબિત થઈ શકે છે. નિષ્ણાતો માની રહ્યા છે કે સરકારે આ દરોને તબક્કાવાર રીતે લાગુ કરવા જોઈએ અથવા તો મિલકતોના પ્રકાર અને વિસ્તાર પ્રમાણે તેમાં યોગ્ય તફાવત રાખવો જોઈએ, જેથી સામાન્ય માણસ પર તેની વધુ અસર ન પડે. હાલમાં, સૌની નજર સરકારની સત્તાવાર જાહેરાત પર કેન્દ્રિત છે.