Abtak Media Google News

વડાપ્રધાન મોદીના હસ્તે રૂ. 1200 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવા સંસદ ભવનનું ઉદઘાટન : રૂ. 75નો ખાસ સિક્કો પણ જાહેર કરાયો

વાસ્તુ, વિરાસત, કલા, કૌશલ અને સંસ્કૃતિ સહિતના પાસાઓને આવરી લઈને નવા સંસદનું નિર્માણ કરાયું, દરેક ભારતીયો માટે ગૌરવની ક્ષણ : વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદની ઉદ્ઘાટન વિધિ વિધાન સાથે કર્યું છે. નવું સંસદ ભવન પહેલેથી જ ઘણું ભવ્ય છે. ત્રિકોણીય આકાર ધરાવતું નવું સંસદ ભવન 64,500 ચોરસ મીટરમાં બનાવવામાં આવ્યું છે. ચાર માળની આ ઇમારતમાં ત્રણ મુખ્ય દરવાજા છે. તેમના નામ જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર રાખવામાં આવ્યા છે. અંદાજે 1200 કરોડના ખર્ચે આ ભવન તૈયાર થયું છે.

પીએમ મોદીએ રવિવારે સવારે નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું હતું. સંપૂર્ણ વિધિ વિધાન સાથે પૂજા બાદ લોકસભામાં આસન પાસે સેંગોલ સ્થાપિત કરવામાં આવ્યું હતું. એ પછી પીએમ મોદીએ નવા સંસંદ ભવાનના ઉદ્ધાટનના શિલાપાટનું અનાવરણ કર્યુ હતુ. પછી નવી સંસદના નિર્માણમાં યોગદાન આપનારા શ્રમિકોનું સન્માન કર્યું હતું. નવા સંસદ ભવનમાં પોતાના પહેલાં સંબોધન પીએમ મોદીએ કહ્યું કે, દરેક દેશની વિકાસ યાત્રામાં કેટલીક ક્ષણો એવી આવે છે કે જે હંમેશા માટે અમર થઈ જાય છે. કેટલીક તારીખો સમયના કપાળ પર ઈતિહાસના અમર હસ્તાક્ષર બની જાય છે. આજે 28 મે, 2023નો દિવસ એવો જ શુભ અવસર છે. પીએમ મોદીએ નવા સંસદ ભવનમાંથી નાણા મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા રુપિયા 75નો ખાસ સિક્કો પણ જાહેર કર્યો હતો.

પંચાયત ભવનથી સંસદ ભવન સુધી

પીએમ મોદીએ નવા સંસદ ભવનમાંથી પોતાના પહેલાં સંબોધનમાં કહ્યું કે, સંસદ ભવન લગભગ 60 હજાર શ્રમિકોને રોજગાર આપવાનું કામ કર્યું છે. તેમના કામને સમર્પિત એક ડિજીટલ ગેલેરી પણ બનાવવામાં આવી છે. આજે જ્યારે આપણે લોકસભા અને રાજ્યસભાને જોઈને ઉત્સવ મનાવી રહ્યા છીએ તો મને સંતોષ થાય છે કે આપણે દેશમાં 30 હજારથી પણ વધુ નવા પંચાયત ભવન પણ બનાવ્યા છે. પંચાયત ભવનથી લઈને સંસદ સુધી આપણી નિષ્ઠા એક જ છે.

દરેક ભારતીય ગૌરવથી ભરાયેલો છે

આજે નવા સંસદ ભવનને જોઈને દરેક ભારતીય ગૌરવથી ભરેલો છે. જેમાં વાસ્તુ, વિરાસત, કલા, કૌશલ, સંસ્કૃતિ અને બંધારણ પણ છે. લોકસભાના અંદરનો ભાગ રાષ્ટ્રીય પક્ષી મોર પર આધારિત છે. રાજ્યસભાનો અંદરનો ભાગ રાષ્ટ્રીય ફૂલ કમળ પર આધારિત છે. સંસદના પ્રાંગણમાં રાષ્ટ્રીય વૃક્ષ વડ પણ છે. ગુલામી બાદ આપણા ભારતે ઘણુ બધુ ગુમાવીને પોતાની યાત્રા શરુ કરી હતી. એ યાત્રા કેટલાંક ઉતાર ચઢાવમાંથી પસાર થઈ, કેટલાંય પડકારોને પાર કર્યા અને આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ કરી ચૂકી છે. આઝાદીનો આ અમૃતકાળ વિરાસતની જાળવણી સાથે વિકાસના નવા આયામો સર્જવાનો અમર સમય છે.

ભારત લોકતંત્રની જનની પણ છે

ભારત એક લોકતાંત્રિક રાષ્ટ્ર જ નહીં પણ લોકતંત્રની જનની પણ છે. મધર ઓફ ડિમોક્રેસી પણ છે. ભારત આજે વૈશ્વિક લોકતંત્રનો પણ બહુ મોટો આધાર છે. લોકતંત્ર અમારા માટે માત્ર એક વ્યવસ્થા નથી, એક સંસ્કાર છે, એક વિચાર છે, એક પરંપરા છે. આજે આ ઐતિહાસિક અવસર પર સંસદના નવા ભવનમાં પવિત્ર સેંગોલની સ્થાપના પણ થઈ છે. મહાન ચોલ સમ્રાજ્યમાં સેંગોલને કર્તવ્ય પથનું, સેવા પથનું, રાષ્ટ્ર પથનું પ્રતિક માનવામાં આવતું હતું. રાજાજી અને અધિનમના સંતોના માર્ગદર્શનમાં આ સેંગોલ સત્તાના હસ્તાતંરણનું પ્રતિક બન્યું હતું. તમિલનાડુથી ખાસ કરીને અધિનમના સંત ભવનમાં આપણને આશીર્વાદ આપવા માટે હાજર રહ્યા હતા.

આત્મનિર્ભર ભારતના ઉદયનું સાક્ષી બનશે નવું સંસદ

આ નવું સંસદ ભવન આપણાં સ્વતંત્ર સેનાનીઓને સપનાઓને સાકાર કરવા માટેનું નવું સાધન બનશે. આ નવું ભવન આત્મનિર્ભર ભારતના સૂર્યોદયનું સાક્ષી બનશે. આ નવું ભવન વિકસિત ભારતના સંકલ્પોની સિદ્ધી જોઈ શકશે. આજે નવા ભારતનું લક્ષ્ય નક્કી કરી રહ્યું છે. નવો જોશ છે, નવી ઉમંગ છે, નવી દિશા છે. પીએમ મોદીએ આ અવસરે દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તેઓએ કહ્યું કે, આ એક માત્ર ભવન નથી. આ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રિતબિંબ છે. આ વિશ્વને ભારતના દ્રઢ સંકલ્પનો સંદેશ આપતું આપણાં લોકતંત્રનું મંદિર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.