Abtak Media Google News

ડરો મત… સાવચેતી જરૂરી

ફક્ત 7 દિવસમાં 10 ગણો વધેલાં કોરોનાની ઝડપ યથાવત રહી તો

જાન્યુઆરી અંત સુધીમાં દૈનિક કેસ 10 લાખને પાર થવાની ભીતિ

 

અબતક, નવી દિલ્લી

ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે અને કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. દેશમાં કોરોનાના કેસ દરરોજ લગભગ બમણા થઈ રહ્યા છે. દેશમાં ગુરુવારે કોરોનાના નવા એક લાખથી વધુ કેસ નોંધાયા હતા, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 36,000 કેસ સામે આવ્યા હતા. ઉપરાંત દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં પણ એક જ દિવસમાં 15-15 હજાર કેસ નોંધાયા હતા. આ સિવાય તામિલનાડુ, કર્ણાટક, કેરળ સહિતના રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

દેશમાં હજુ ગયા સપ્તાહે જ કોરોના મહામારી નિયંત્રણ હેઠળ હોવાનું જણાતું હતું અને કોરોનાના દૈનિક કેસ 5,000થી 7,000 સામે આવી રહ્યા હતા. પરંતુ એક જ સપ્તાહમાં કોરોનાના દૈનિક કેસ એક લાખને પાર થઈ ગયા છે. દેશમાં ઓમિક્રોનના કેસમાં પણ અસાધારણ ઊછાળો આવ્યો હતો. ગુરુવારે એક દિવસમાં ઓમિક્રોનના સૌથી વધુ 495 કેસ નોંધાયા છે. સાથે દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 2630ને પાર થઈ ગયા છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથતી વધુ 797 કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3,43,41,009 દર્દીઓ સાજા થયા છે. જે રીતે કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે તેને જોતા એક અંદાજ કાઢવામાં આવે તો એક સપ્તાહ પૂર્વે દેશમાં દૈનિક કેસ 10 હજારની આસપાસ હતા જે ફક્ત એક જ સપ્તાહમાં દૈનિક કેસની સંખ્યામાં 10 ગણો વધારો થયો છે. હવે આ આંકડા પરથી અંદાજ મેળવવામાં આવે તો આ જ ગતિ યથાવત રહી તો ફક્ત એક જ સપ્તાહમાં કેસ 10 ગણો વધે તો દૈનિક કેસની સંખ્યા 10 લાખને પાર પહોંચી શકે છે.

દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ પણ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 36,265 કેસ નોંધાયા હતા અને 13 લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે 8,907 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. રાજ્યમાં ગુરુવારે ઓમિક્રોનના 79 કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ પણ વધીને 1,14,847 થઈ ગયા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે રાજ્યમાં મેડિકલ ઓક્સિજનની માગ દૈનિક 800 મેટ્રિક ટનથી વધુ થશે તો રાજ્યમાં લોકડાઉન લાગુ કરવા અંગે વિચારણા કરાશે. મુંબઈમાં પણ કોરોનાના નવા કેસ 20,000ને પાર થઈ ગયા છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 79,260 થઈ છે. મુંબઈમાં ટેસ્ટ કરાયેલા 67 હજાર સેમ્પલમાંથી 20,181 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે.

દિલ્હીમાં પણ કોરોના સંક્રમણના કેસ વધીને 15,000ને પાર થઈ ગયા છે. અને વધુ છ લોકોનાં મોત થયા છે. એક્ટિવ કેસ 31,498 થયા છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ વધીને 15.34 ટકા થઈ ગયો છે. દિલ્હીમાં કોરોનાના વધતા કેસના પગલે ફરી એક વખત કોવિડ સેન્ટર્સ ખોલવામાં આવ્યા છે, જ્યાં 100 ઓક્સિજન બેડવાળી સુવિધા છે. પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના નવા 15,000 કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં ગુરુવારે સતત આઠમા દિવસે કોરોનાના કેસ વધ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગના બુલેટિન મુજબ કોરોનાના નવા 15,421 કેસ સામે આવ્યા હતા અને અડધાથી વધુ 6,569 નવા કેસ એકલા કોલકાતામાં જ નોંધાયા હતા.

તામિલનાડુમાં કોરોનાના દૈનિક કેસ 6,983 નોંધાયા હતા જ્યારે 11નાં મોત નીપજ્યાં હતા. કર્ણાટકમાં પણ 5,000થી વધુ કેસ સામે આવ્યા છે જ્યારે એક દર્દીનું મોત થયું હતું. હરિયાણામાં પણ કોરોનાના નવા 2,678 કેસ સામે આવ્યા હતા.

દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુરુવારે કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેઓ બીજી વખત કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આજે સાંજે મેં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. મને હળવા લક્ષણો જણાય છે. વધુ કોઈ સમસ્યા નથી. મારા સંપર્કમાં આવનારા બધા લોકોએ તેમના કોરોના ટેસ્ટ કરાવવા જોઈએ. રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહમંત્રી નિત્યાનંદ રાયનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સીએપીએફના એક કાર્યક્રમમાં હાજરી આપ્યાના બીજા દિવસે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી ભારતી પવારનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.