Abtak Media Google News

જો તમે ફરજિયાત છે એવા ૧૮ પ્રકારના નાણાકીય વ્યવહારો માટે તમે તમારો પાન નંબર ટાંકશો તો તમને ઇન્કમટેક્સ વિભાગ તરફથી એસએમએસ મળશે. ૧૮ પ્રકારનાં હાઈ વેલ્યૂ ટ્રાન્ઝેક્શન માટે પાન નંબર ફરજિયાત કરાયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)ના ચેરમેન પી.સી. મોદીએ જણાવ્યું છે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ હવે કરદાતા માટે એકાઉન્ટન્ટ તરીકે કામ કરશે.

કરદાતાને તેમના વાર્ષિક ઇન્કમટેક્સ રિટર્નમાં આ રકમનો ઉલ્લેખ કરવાનો અનુરોધ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે આ નવા ટેક્નોલોજિકલ પ્લેટફોર્મ માટે કામ ચાલુ છે અને તે ટૂંક સમયમાં શરૂ થશે. ૨૦૧૯ના કેન્દ્રીય બજેટમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે પાન અને આધાર બેમાંથી એક ચાલશે એવી જાહેરાત અંગે સ્પષ્ટતા કરતા પી.સી. મોદીએ જણાવ્યું હતું કે અહીં પણ એસએમએસ એલર્ટ આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે અત્યારે ૧૨૦ કરોડ કરતા વધુ લોકો માટે ૧૨ આંકડાનો આધાર નંબર છે.

એ જ રીતે ૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ ૪૪.૫૭ કરોડ લોકોને ૧૦ આંકડાનો પાન નંબર ફાળવાયો છે, જે પૈકી ૨૫ કરોડ લોકોએ પાન નંબરને આધાર સાથે લિંક પણ કરી દીધો છે. બાકીના પાનધારકોએ હવે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં આધાર સાથે પોતાનો પાન નંબર લિંક કરવો પડશે અન્યથા આવો પાન નંબર રદ થઇ જશે. ઇન્કમટેક્સ રૂલ્સનાં રૂલ નંબર ૧૧૪-બી અન્વયે ૧૮ પ્રકારનાં એવા નાણાકીય વ્યવહાર છે જેમાં પાન નંબરને ક્વોટ કરવો ફરજિયાત છે.

તેમાં મોટર વાહન કે વાહન (દ્વિચક્રી વાહનોનો સમાવેશ થતો નથી)ની ખરીદી, બેન્ક ખાતું ખોલવું, ક્રેડિટ-ડેબિટકાર્ડ માટેની અરજીમાં અને ડિમેટ ખાતું ખોલાવવા માટે પાન નંબર ફરજિયાત છે. એ જ રીતે રૂ. ૫૦ હજાર કરતાં વધુ રકમના રોકડ વ્યવહાર કે એક જ સમયે હોટલ કે રેસ્ટોરાંને રૂ. ૫૦ હજારનું કરવામાં આવેલ પેમેન્ટના કિસ્સામાં પણ પાન નંબર ફરજિયાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.