Abtak Media Google News

અનસિક્યોર્ડ ફાઇનાન્શિયલ ક્રેડિટર્સની સમકક્ષ ગણવાનો પ્રસ્તાવ લાગુ થતા ઘર ખરીદનારાઓને સમિતિનો હિસ્સો બનવાનો લાભ મળશે ઉપરાંત ધિરાણકારો, કામદારોના બાકી નિકળતા લેણાંની  ચૂકવણી પછીનું સ્થાન મળશે

રિયલ એસ્ટેટ કંપનીઓની ઇનસોલ્વન્સી પ્રક્રિયામાં ઘર ખરીદનારાઓને અનસિક્યોર્ડ નાણાકીય ક્રેડિટર્સની સમકક્ષ ગણવામાં આવશે. તેને લાગુ કરવામાં આવશે તો એવા લોકોને ફાયદો થશે જેમણે જેપી ઇન્ફ્રાટેક, યુનિટેક અને આમ્રપાલી જેવી કંપનીઓ પાસેથી મકાનની ખરીદી કરી હોય અને વળતર મેળવતી વખતે તેમની ઉપેક્ષા થતી હોય.

ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઇબીસી)ની સમીક્ષા કરતી સમિતિએ આ દરખાસ્ત કરી છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. જેપી ઇન્ફ્રાટેક અને આમ્રપાલી અનુક્રમે આઇડીબીઆઇ બેન્ક અને બેન્ક ઓફ બરોડાનું દેવું ચુકવવામાં નિષ્ફળ ગઈ ત્યાર બાદ બંને કંપનીને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) સમક્ષ રિફર કરવામાં આવી હતી. તેના કારણે ઘર ખરીદનારાઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. આ ઉપરાંત રિયલ્ટર યુનિટેકનો અંકુશ મેળવવા માટે કોર્પોરેટ બાબતોનું મંત્રાલય બેન્કરપ્સી કોર્ટમાં ગયું છે.

કોર્પોરેટ ઇનસોલ્વન્સી રિઝોલ્યુશન અને લિક્વિડેશનના માળખાને અસર કરતા પરિબળોની ચકાસણી કરવા ૧૪ સભ્યોની ઇનસોલ્વન્સી લો કમિટિની રચના કરવામાં આવી હતી. કોર્પોરેટ બાબતોના સચિવ ઇન્જેતી શ્રીનિવાસને ઇટીને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આ ભલામણો તથા આઇબીસીએ રજુ કરેલા સુધારા ચાલુ મહિનાના અંત સુધીમાં રજુ કરવામાં આવશે. ઘર ખરીદનારાઓ અંગેના પગલાં લાગુ કરવામાં આવે તો તેમને સૌથી મોટો ફાયદો એ થશે કે તેમને ઇનસોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયામાં ભાગ લેવાનો અધિકાર મળશે અને ક્રેડિટર્સની સમિતિનો હિસ્સો બની શકશે. તેનાથી રિઝોલ્યુશન પ્લાનમાં તેમને વોટિંગનો અધિકાર મળશે.

એક અધિકારીએ કહ્યું કે ઘર ખરીદનારાઓને અનસિક્યોર્ડ ફાઇનાન્શિયલ ક્રેડિટર્સનો દરજ્જો આપવાની દરખાસ્ત વિચારણા હેઠળ છે. તેમાં તમામ હિતધારકોની કાળજી લેવાશે. હાલના આઇબીસી નિયમોમાં કથિત વોટરફોલ મિકેનિઝમનું પાલન થાય છે. તેમાં લિક્વિડેટ કરવામાં આવેલી એસેટના વેચાણમાંથી મળેલી રકમ આઠ સ્તરમાં વહેંચવામાં આવે છે.

રિઝોલ્યુશન પ્રોફેશનલ અને વહીવટદારો પછી નાણાકીય ધિરાણકારો અને કામદારોના બાકી નીકળતા નાણાંને પ્રાથમિકતા મળે છે. ત્યાર બાદ કામદારો સિવાયના કર્મચારીઓનો વારો આવે છે. અંતમાં અનસિક્યોર્ડ ફાઇનાન્શિયલ ક્રેડિટર્સ અને સરકારના નાણાં ચૂકવાય છે. છેલ્લે ઇક્વિટી શેરધારકોને હિસ્સો મળે છે. ડેવલપર્સની વાત આવે ત્યારે ઘર ખરીદનારાઓને સૌથી છેલ્લું સ્થાન મળે છે. જેપી ઇન્ફ્રાટેકના લગભગ ૩૧,૦૦૦ અને આમ્રપાલીની સિલિકોન સિટી પ્રોજેક્ટના ૪૧,૦૦૦ હોમ બાયર્સે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે તેમને ફાઇનાન્શિયલ ક્રેડિટર્સની સમકક્ષ ગણવા જોઈએ. ઘર ખરીદનારાઓના હિતના રક્ષણ માટે સુપ્રીમ કોર્ટે જેપી ઇન્ફ્રાના પ્રમોટર્સને તેમની વ્યક્તિગત મિલ્કતનું વેચાણ ન કરવા અને કોર્ટમાં રૂ.૨૦૦૦કરોડ જમા કરવા આદેશ આપ્યો હતો. આમ્રપાલીની કિસ્સામાં કોર્ટે ડેવલપર્સને હોમબાયર્સને મકાનની ડિલિવરી ક્યારે મળશે તેનો પ્લાન રજૂ કરવા કહ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.