Abtak Media Google News

આજના દિવસનો હેતું સમાજને સંગ્રહાલયના મહત્વ વિશે જાગૃત કરવાનો છે: ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ 1977થી આ દિવસની ઉજવણી કરે છે: વિશ્વના  દરેક દેશના સંગ્રહાલયો પોત-પોતાના દેશમાં વિવિધ આયોજન કરીને જાગૃત કરે છે

મ્યુઝિયમ કે સંગ્રહાલયમાં પ્રાચિન અલભ્ય વસ્તુંને સાચવી રાખવામાં આવે છે. આપણાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને સુરક્ષિત રાખવામાં સંગ્રહાલયની ભૂમિકા મહત્વની છે. દર વર્ષે આજે વિશ્ર્વ મ્યુઝિયમ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1977થી વૈશ્ર્વિકસ્તરે મ્યુઝિયમ ડેની ઉજવણી કરાય રહી છે. જેનો મુખ્ય હેતું સમાજમાં તેના મહત્વ વિશે લોક જાગૃત્તિનો હોય છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ સમગ્ર વિશ્ર્વના મ્યુઝિયમોની વડી સંસ્થા છે. વિશ્ર્વના તમામ દેશો પોત-પોતાના દેશમાં આજે સંગ્રહાલય દિવસની ઉજવણી કરે છે.

2010થી પછી પ્રચાર-પ્રસાર વધતા વૈશ્વિક સંમેલનો પણ યોજાવા લાગ્યા હતા. જેમાં 2012ના છેલ્લા સંમેલનમાં 129 દેશોના 30 હજારથી વધુ મ્યુઝિયમોએ ભાગ લઇને એકબીજા વચ્ચે આદાન-પ્રદાન કર્યું હતું. આપણા ગુજરાતમાં પણ વડોદરાના રાજાએ 1895માં ઇજિપ્તનું મમી ખરીધ્યું હતું જે આજેપણ મ્યુઝિયમમાં જોવા મળે છે. મ્યુઝિયમ ઉપરથી આપણને ખબર પડે છે કે આપણો ભૂતકાળ કેવો હતો. ભવ્ય ઐતિહાસિક વારસો સાચવવા માટે મ્યુઝિયમ ઉપયોગી છે. સંગ્રહાલયમાં સોના, ચાંદીના ઘરેણાના નમૂના, તેની ડીઝાઇન, યુધ્ધ શાસ્ત્રોના નમૂના જેવી ઘણી અલભ્ય વસ્તુંની સાચવતણી કરવામાં આવે છે.

181854 Gandhi Museum

2012માં યોજાયેલ વૈશ્વિક સંમેલનમાં 129 દેશોના 30 હજારથી વધુ મ્યુઝિયમે ભાગ લીધો હતો: દરેક મ્યુઝિયમને રાત્રે સીલ કરીને લોક કરવામાં આવે છે: મ્યુઝિયમ ઉપરથી આપણને ખબર પડે છે કે આપણો ભૂતકાળ કેવો હતો

આપણો પ્રાચિન વારસો આજના યુવા વર્ગને ખાસ જાણવો જરૂરી છે. જેમાં પુરાતત્વીય ઇતિહાસના નમૂના, પ્રાણીઓના અવશેષો, અન્ય સાધન સામગ્રી, વાહન વ્યવહાર, શિલ્પકલા સાથે સંસ્કૃતિ અને સભ્યતા પણ મ્યુઝિયમમાં જોવા મળે છે. કચ્છના સંગ્રહાલય હમીરસર તળાવ સામે મહાદેવ નાકા પાસે ભૂજમાં 1877માં બનાવેલ ગુજરાતનું સૌથી જુનું અને પ્રથમ સંગ્રહાલય છે, જે બ્રિટિશ હુકુમતે નિર્માણ કરેલ હતું. આજથી ત્રણ દિવસ માટે વડનગર ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાય છે. જેમાં યુનેસ્કોના પ્રતિનિધી પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાનના મૂળ ગામ વડનગરને વિશ્ર્વમાં હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે ઓળખ મળતા તેના ભવ્ય ઇતિહાસ અને વિરાસતની લોક જાગૃતિ પ્રસરાવાશે. આપણે પણ આપણા સંતાનોને દેશના પ્રાચિન વારસા સાથે સંસ્કૃતિનો ખ્યાલ ખ્યાલ આવા મ્યુઝિયમ બતાવીને આપવો જરૂરી છે. દરેક દેશમાં પુરાતત્વ વિભાગ સમગ્ર મ્યુઝિયમોની વ્યવસ્થા સંભાળતું હોય છે.

કૃષ્ણ નાગણો વચ્ચે બંધાયેલા હોય તેવી એક અદ્ભૂત કલાકૃત્તિ અમદાવાદનાં મ્યુઝિયમમાં સચવાયેલી છે જે 12માં સૈકાની છે. 800 વર્ષ પહેલાની કલાકૃત્તિ આજના તમામ યુવા વર્ગે જોવા જેવી છે. ભોજે મ્યુઝિયમમાં અમદાવાદનો અમૂલ્ય ખજાનો સચવાયેલો છે. દર વર્ષે અપાતી ઉજવણી થીમમાં આ વર્ષે ખાસ “સંગ્રહાલયો સાંસ્કૃતિક વિનિમય, સંસ્કૃતિના સંવર્ધન અને લોકો વચ્ચે પરસ્પર, સમજણ, સહકાર અને શાંતિના વિકાસનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે” હેતું સમાયેલ છે.

આજની થીમ પાવર ઓફ મ્યુઝિયમ અન્વયે વિશ્ર્વના 37 હજાર સંગ્રહાલયો સાથે 158 દેશોમાં વિવિધ કાર્યક્રમો યોજાય છે

San Diego Natural History Museum

2022ની થીમમાં ‘ધ પાવર ઓફ મ્યુઝિયમ’ની વૈશ્વિક વાત કરવામાં આવી છે. સંગ્રહાલયોમાં આપણી આસપાસની દુનિયાને બદલવાની શક્તિ છે. શોધના અનુપમસ્થાનો, સાથે તે આપણને આપણો ભૂતકાળ શીખવે છે, અને નવા વિચારોની દિશા ખોલે છે. જે ભવિષ્યના સારા નિર્માણ માટે ઉપયોગી છે. આજના દિવસે મ્યુઝિયમ શિક્ષકો યુવા અને વૃધ્ધાને નોલેજ આપશે. મ્યુઝિયમની વોક આજના યુગમાં આપણને ઘણી માહિતી શિખવી જાય છે.

મ્યુઝિયમો સામાન્ય રીતે સ્થાનિક સમુદાયો માટે અને પ્રવાસીઓ વચ્ચે પણ શહેરને અલગ-અલગ દ્રષ્ટિકોણથી સમજવામાં મોટી ભૂમિકા ભજવે છે. કેટલાય સંગ્રહાલયો હવે નવી ટેકનોલોજી અને વિકાસ રજૂ કરે છે. ડિજિટલ નવિનતા સંગ્રહાલયને વધુ સુલભ અને આકર્ષક બનાવે છે. સંગ્રહાલયો સમાજને ઇતિહાસ, સંસ્કૃતિની સાચી સમજ આપે છે. 45 વર્ષથી ઉજવાતા આ દિવસ અને મ્યુઝિયમો સમુદાય માટે એક અનન્ય ક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે.

આજના દિવસે મ્યુઝિયમો ટકાઉપણું હાંસલ કરવાની શક્તિ, ડિજીટલાઇઝેશન અને સુલભતા પર નવીનતા અને શિક્ષણ દ્વારા સામુદાયિક નિર્માણની ત્રિલેન્સ દ્વારા તેમના સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા કાર્ય કરે છે. સંગ્રહ અને દસ્તાવેજોની સંભાળ અને એક્સેસ, સંગ્રહાલયોનો ઇતિહાસ, ભૂલી ગયેલી સ્મૃતિ, કુટુંબની ઓળખ, મેમરી, સમુદાયોની ઓળખ સાથે દેશનું કે રાજ્યનું સાંસ્કૃતિક યોગદાન પરત્વે મહત્વની કામગીરી સાથે લોકશિક્ષણનું અનેરૂ કાર્ય મ્યુઝિયમ કરે છે.

ગુજરાતના પ્રથમ ભૂજ મ્યુઝિયમમાં 42 હજારથી વધુ અમૂલ્ય વસ્તુંઓનો સંગ્રહ છે. 18મી સદીનો સાત સૂંઢવાળો સફેદ હાથી, સોનાનો મયુર મુગટ, સાતમી સદીની ભગવાન બુધ્ધની મૂર્તિ, સિંધુ સંસ્કૃતિની વસાહતોના ઉત્ખનન દરમ્યાન મળેલા વાસણો, શક સમયના શિલા લેખો, ટીપુ સુલતાને કચ્છી ઘોડાને બદલે આપેલ તોપ જેવી અનેક બહુમૂલ્ય વિરાસતો મ્યુઝિયમમાં સંગ્રહિત છે. આપણી પ્રાચિન ભારતીય કોતરણી, ચલણી નાણું, નક્ષત્રોની ઊંચાઇ માપવાનું સાધન વિગેરે આપણને સંગ્રહાલયોમાં જોવા મળે છે. ગમે ત્યાં તમો ફરવા જાવ ત્યાં પરિવાર સાથે મ્યુઝિયમ અવશ્ય નિહાળીને આપણો પ્રાચિન વારસો દરેક ભારતીય જાણવો જ જોઇએ.

19મી સદીમાં દેશના સૌથી રસપ્રદ મ્યુઝિયમ તરીકે વડોદરાનું સયાજી મ્યુઝિયમ જાણિતું હતું

આજે વિશ્વભરમાં  જે-તે દેશને સંસ્કૃતિની ધરોહરની સાચવણી કરતાં મ્યુઝિયમની ઉજવણી સાથે તેના કાર્યોમાં સાથ સહકાર આપવાનો દિવસ છે. ખાસ કરીને યુવા વર્ગ આ પરત્વે વધુ રસ લેતો થાય તે માટે જનજાગૃત્તિના પ્રયાસો કરવા જરૂરી છે. આપણાં ગુજરાતમાં 19મી સદીમાં દેશના સૌથી રસપ્રદ મ્યુઝિયમમાં વડોદરાના સયાજી મ્યુઝિયમનું સ્થાન હતું. આ મ્યુઝિયમમાં વિશ્ર્વની અજાયબીભરી ચીજોનું કલેક્શન છે, જેમાં ઇજિપ્તના મમીનો સમાવેશ થાય છે સાથે ગુજરાતમાં આ એક જ જગ્યાએ મમી જોવા મળે છે જે વડોદરાના રાજાએ 1895માં ખરીધ્યું હતું. આ ઉપરાંત રાજકોટનું વોટ્સન મ્યુઝિયમ પણ 150 વર્ષ પહેલા સ્થાપના કરી હતી. દિલ્હીમાં મહાત્મા ગાંધી સંગ્રહાલય, મુંબઇનું મ્યુઝિયમ પણ જોવા લાયક છે. 2009માં યોજાયેલા આંતરરાષ્ટ્રીય સંમેલનમાં 90 દેશોના 20 હજાર સંગ્રહાલયે ભાગ લીધો હતો. આવા જ 2011 અને 2012ના દિવસનો મુખ્ય હેતું સંગ્રહાલયના મહત્વ લઇને જાગરૂકત્તા પ્રસરાવવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.