Abtak Media Google News

૩૦૦ બાળકોને ભળતા પાસપોર્ટને આધારે અમેરીકામાં વેચી નાખ્યાનો ઘટસ્ફોટ

પ્રત્યેક બાળક દીઠ રૂ.૪૫ લાખ વસુલતા હતા

મુંબઈ પોલીસે ગરીબ બાળકોને વેચવાનું આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ કર્યા છે. વર્ષ ૨૦૦૭ થી ચાલતા બાળકોને વેચવાના આ કૌભાંડમાં મુંબઈ પોલીસે મુળ ગુજરાતનાં રાજુ ગમલેવાલાને દબોચી લેતા આ ચોકાવનારા કૌભાંડમાં ગરીબ મા બાપ પાસેથી ૩૦૦ બાળક વેચી પ્રત્યેક બાળકના રૂ. ૪૫ લાખ લેખે અમેરીકામાં વેચવામાં આવ્યા હોવાનું અને ભળતા નામના પાસપોર્ટના ઉપયોગ આવ્યા હોવાનું અને ભળતા નામના પાસપોર્ટના ઉપયોગ થકી બાળકોને વિદેશમાં વેશ્યાગીરી અને અંગો વેચવા માટે ધકેલાયા હોવાનો પણ ખુલાસો થયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મુંબઈ પોલીસે વર્ષ ૨૦૦૭ થી દેશમાંથી ગરીબ બાળકોને વેશ્યાવૃત્તિ અને અંગોના વેપાર માટે વિદેશમાં અને ખાસ કરીને અમેરીકામાં વેચવામાં આવતા હોવાનો ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ કરી ગુજરાતનાં ૫૦ વર્ષિય રાજુ ગમલેવાલાની ધરપકડ કરી છે. પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં રાજુ ગમલેવાલની ગેંગ દ્વારા પ્રત્યેક બાળકનાં રૂ.૪૫ લાખના લેખે ૩૦૦ બાળકો વિદેશમાં ધકેલાયા હોવાનો ઘટસ્ફોટ તપાસમાં થયો છે.

વધુમાં બાળકોને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચી મારતી આ ટોળકી દ્વારા ગરીબ માતા પિતા પાસેથી બાળકોને ખરીદવામાં આવતી હોવાનું અને ત્યારબાદ ભળતા પાસપોર્ટના આધારે બાળકોને મેકઅપ કરી અમેરીકા ધકેલી દેવાતા અને ત્યાંથી પાસપોર્ટ પણ મેળવી લેવામાં આવતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

૨૦૦૭થી ચાલતા આ કૌભાંડમાં પોલીસે આમિરખાન, તાજુદીન ખાન, અફઝલ શેખ અને રિઝવાન ચોટારી નામના ચાર શખ્સોને ઝડપી લીધા છે.

આ ચારેય શખ્સો ગમલેવાલા સાથે વોટસએપ મારફતે બાળકોનો વ્યાપાર કરતા હોવાનું અને વોટસએપ મારફતે જ બાળકોની ખરીદી અને વેચાણ કરતા હોવાનો ખુલાસો પણ પોલીસ તપાસમાં થયો છે.

જોકે ભળતા પાસપોર્ટના આધારે વિદેશમાં બાળકોને ઈમિગ્રેશન વગર કેવી રીતે મોકલવામાં આવતા હતા અને કુલ કેટલા બાળકો વિદેશમાં કયા કયા મોકલાયા છે તે સહિતની બાબતો તપાસવા માટે પોલીસ ઉંડાણ પૂર્વકની તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છેકે મુંબઈનાં વસોવામાં એક બ્યુટી સલુનમાં બે યુવતીઓને મેકઅપ કરવા દરમિયાન ગત માર્ચ માસમાં પોલીસે આ કૌભાંડ ઝડપ્યું હતુ અને અભિનેત્રી પ્રિતી સુદ દ્વારા આ મામલે પોલીસને જાણ કરી સગ્ર હકિકતથી વાકેફ કરતા પોલીસે બાળકોને આંતરરાષ્ટ્રીય સ્તરે વેચવાનું કૌભાંડ ઝડપ્યું હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

હાલતમાં મુંબઈ પોલીસ દ્વારા બાળકોને વિદેશમાં વેચવા મામલે રાજુ ગમલેવાલા સહિતનાને દબોચી આઈપીસીની કલમ ૩૪, ૩૭૩ સહિતની ભારેખમ્મ કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે. અને મુખ્ય સુત્રધાર રાજુ ગમલેવાલાને ૧૮ ઓગષ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં લઈ સમગ્ર કૌભાંડની વિગતો મેળવાઈ રહી હોવાનું ઝોનના ડીસીપી પણજીતસિંહ દહીયાએ જણાવ્યુંં હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.