પહેલા તમારી અંદર બદલાવ લાવો તો જ દુનિયા બદલાશે: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

‘તમે જે પરિવર્તન દુનિયામાં જોવા માંગો છો, તે પહેલા તમારી અંદર લાવો.’ આ સુવાક્ય વાંચવું સહેલું છે, પરંતુ તેનું પાલન કરવું ખુબ કઠિન છે. જો બધા લોકો આ વાક્યને સમજી પાલન કરવા લાગે તો મોટા ભાગની સમસ્યા ખતમ થઈ જાય. હાલ અમદાવાદમાંથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એરપોર્ટ પર કામ કરતા બે સફાઈકર્મી દ્વારા પ્રમાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

અમદાવાદ એરપોર્ટ પર સફાઈકર્મીનું કામ કરતા અર્ચના દિકોનદવાર અને જેકી ચાવડા દ્વારા એક અદભુત કામગીરી કરવામાં આવી હતી. સફાઈકર્મીઓને એક પેસેન્જરના 750 ડોલર અને સોનાની બંગલી મળી હતી. જે બંને એ પ્રામાણિકતાથી પેસેન્જરને પરત કર્યો હતો.

આ વાતની જાણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને થતા તેને બંને કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ વાતની માહિતી ખુદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટર પર શેર કરી છે. અમદાવાદ એરપોર્ટમાંથી સામે આવેલો આ પ્રામાણિકતાનો કિસ્સો બધા માટે ઉદાહરણ રૂપ બનશે.