Abtak Media Google News

શાસક પક્ષ મોટુ મન રાખી મહામારીને નાથવા સર્વપક્ષીય મીટીંગ બોલાવે તેવી માંગ

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રાજભા ઝાલાએ અખબારના માધ્યમથી શાસક પક્ષને સુચનો કર્યા છે અને મહામારીમાં અરાજકતા વ્યાપી ગઈ છે. તમામ સ્તરે સરકારી મશીનરીમાં સંકલનનો અભાવ ઉડીને આંખે વળગે છે તેવા સમયે ગુજરાતના દરેક સામાજિક અને રાજકીય આગેવાનો એક જુથ થઈને નાગરિકોને મહામારીમાંથી ઉગારી કેમ શકાય તે બાબતે ચિંતન કરે અને બધા પોત-પોતાના અનુભવ અને આવડતનો લાભ ગુજરાત સરકારની મદદમાં આવે તેજ ઉપાય અત્યારના સમયમાં કારગત નીવડશે.

રાજભાએ જણાવ્યું છે કે, મેડિકલ ઈમરજન્સી જેવી સ્થિતિ ગુજરાતમાં છે. ચારે બાજુ અરાજકતા અને ઉચાટનું વાતાવરણ છે ત્યારે એક બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવાથી નાગરિકોને કોઈ જ ફાયદો નથી થવાનો. તેના બદલે સરકાર અને શાસક પક્ષ વાસ્તવિકતા સ્વીકારીને સર્વપક્ષીય મીટીંગનું આયોજન કરે તેમાં તમામ પક્ષના આગેવાનોને બોલાવે અને મુખ્યમંત્રી પોતે જ અપીલ કરે અને વાસ્તવિક સ્થિતિથી બધાને અવગત કરે વિના સંકોચે અને બધા સાથે મળીને વર્તમાન પરિસ્થિતિમાંથી ગુજરાતને કેમ ઉગારવું તેની ચર્ચા થાય અને દરેક પક્ષના આગેવાનોની મદદ માંગે કે તમારો પક્ષ વર્તમાન સ્થિતિમાં ગુજરાતના નાગરિકો માટે શું મદદ કરી શકે અને આ ચર્ચાના અંતે નિર્ણય થાય અને એક એવો માહોલ ઉભો થાય કે ગુજરાત સરકારની પડખે ગુજરાતના નાગરિકોની ચિંતા કરવા તમામ પક્ષો એક જુથ થઈને મહામારીને નાથવા સંકલ્પબઘ્ધ છે. તેવું કરવા માત્રથી જ ગુજરાતમાં પોઝીટીવ વાતાવરણ ઉભુ થશે જેનાથી ગુજરાતની જનતાને પણ ધરપત થશે અને સરકાર પ્રત્યેનું જે અવિશ્ર્વાસનું વાતાવરણ ઉભુ થયું છે તેને બદલે સરકારની વિશ્ર્વસનીયતા વધશે.

અંતમાં રાજભાએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રીએ જશ-અપજશની વાતમાં પડયા વગર માત્ર ગુજરાતની પરિસ્થિતિને પૂર્વવત કરવી છે તેજ ઉદેશથી તમામ પક્ષના લોકોની મદદ માંગશે અને તેવું થશે તો મને વિશ્ર્વાસ છે કે ઈમાનદારીથી નિષ્ઠાપૂર્વક બધા આગેવાનો પ્રયત્ન કરશે તો થોડા જ દિવસોમાં ગુજરાતમાં પરિસ્થિતિ પૂર્વવ્રત થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.