Abtak Media Google News

આગામી માર્ચમાં ધોરણ ૧૦-૧૨ની બોર્ડ પરિક્ષા લેવાનાર છે. અને ટાઈમ ટેબલ પણ બહાર પડી ગયું છે. એ સાથે જ પરિક્ષા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પાલન કરવાના નિયમો પણ બહાર પાડયા છે. મોટાભાગનાં જૂના નિયમો ફરરી મેન્શન કરાયા છે. પણ જે કેટલાક ફેરફાર પણ દર્શાવવામાં આવ્યા છે. આ વર્ષથી હવે પરિક્ષાના દુષણોને ડામવા માટે અતિ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જો કોઈ વિદ્યાર્થી પરિક્ષા દરમિયાન મોબાઈલ લઈ જશે અને પકડાશે તો ત્રણ વર્ષ સુધી પરિક્ષા નહી આપી શકે.

આ ઉપરાંત દરેક સેન્ટર પર સીસીટીવી કેમેરા ફરજીયાત કરાયા છે. તેમજ કોઈપણ વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને ઈશારો કરતા ઝડપાશે કે સાંકેતિક વાત કરતા ઝડપાશે તો પરિણામ રદ કરવા સાથે ગેરરીતિનો કેસ નોંધાશે વિદ્યાર્થી પરિક્ષા ખંડમાંથી પ્રશ્ર્નપત્ર કે ઉતરવહી બહાર નાંખશે તો તેનું પરિણામ રદ કરવામાં આવશે. વિદ્યાર્થી કોઈ પણ ઘાતક હથિયાર સાથે ઝડપાશે તો તેને હંમેશા માટે પરિક્ષામાંથી બાકાત કરવામાં આવશે. પરિક્ષાની ઉતરવહીમાં લગાવેલ બારકોડ સ્ટીકર સાથે કોઈપણ પ્રકારની છેડછાડ ચલાવી નહી લેવાય અને જો એવું થાશે તો ગંભીર ગુનો માનવામાં આવશે.

દર વર્ષે થતા અનેક કોપીકેસને કારણે આ કડક નિર્ણય લેવામાં આવ્યા છે. ખાસ તો વિદ્યાર્થી કોઈપણ પ્રકારનાં ઈલેકટ્રોનીક ગેઝટ કે મોબાઈલ લઈ જતો ઝડપાશે તો કડક કાર્યવાહી તેમજ ત્રણ વર્ષ સુધી પરિક્ષા નહી આપી શકે. જાહેર થયેલા ૩૩ નિયમોમાં કેટલાકમાં અગત્યના ફેરફાર કરવામાં આવ્યા છે.

જે મુજબ જો કોઈ વિદ્યાર્થી પોતાની ઉતરવહીમાં મદદ કરવાની કે આજીજી લખી હશે કે ચલણી નોટ મૂકી હશે તો નાપાસ જાહેર કરાશે. અને તેની સામે શિક્ષાત્મક પગલા લેવામા આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની સામે નિરિક્ષણ કાર્ય કરતા શિક્ષકો માટે પણ કેટલાક કડક નિયમો દર્શાવાયા છે. હવે જોવાનું રહેશે કે આ નવા નિયમથી ગેરરીતિના અને કોપીકેસનાં બનાવનું પ્રમાણ કેટલા અંશે ઘટે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.