Abtak Media Google News

ઓળખ અને અસ્તિત્વ માટે સંઘર્ષ કરતા વનબંધુ માટે સયુંકત રાષ્ટ્રસંઘે જાહેર કરેલ આંતરરાષ્ટ્રીય વર્ષ દાયકા સુધી માન્યતા નવ ઓગસ્ટ ઉજવતા આદિવાસી દિન

આદિવાસીઓ પોતાની અસ્મિતા , ઓળખ અને અસ્તિત્વ ટકાવી રાખે , તેમની જે વિવિધ સમસ્યાઓ છે તે સમસ્યાઓ સમગ્ર વિશ્વ જાણે , સમજે , જાગૃત બને અને તેના વિશે ચિંતિત બને એવા આશયથી સંયુક્ત રાષ્ટ્રસંઘે 1993 ના વર્ષને  આંતરરાષ્ટ્રીય આદિવાસી વર્ષ  તરીકેની જાહેરાત કરી હતી . તથા 1995 થી 2004 ના દશ વર્ષ સુધીના સમયગાળાને  આદિવાસી દાયકા ’ તરીકેની માન્યતા આપેલ છે અને પ્રતિવર્ષ 9 મી ઑગસ્ટને  આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન ’ તરીકે ઊજવવાનું તેવી જાહેરાત કરેલી છે.

આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય સ્તરે આદિવાસીઓની સમાજલક્ષી , આર્થિક , રાજકીય , શૈક્ષણિક એમ વિવિધ સમસ્યાઓ છે . તેમનો સ્વાતંત્ર્યનો , સમાનતાનો અને સામાજિક ન્યાયનો માનવીય હક્ક છે . આ માનવીય હક્કો તેઓ ભોગવી શકતા નથી . હજારો – લાખો વર્ષથી તેઓ પ્રકૃતિની સાથે રહીને જીવ્યા છે . આજે શહેરીકરણના પ્રતાપે આ જંગલો કપાવા મંડ્યાં છે . સમાન કામ માટે સમાન વેતન તથા આર્થિક પ્રવૃત્તિની પસંદગીથી તેઓ વંચિત છે . સરકારી ક્ષેત્રની અમલદારશાહી અને નોકરશાહીથી ત્રસ્ત છે.

આદિવાસીઓના ઘણા ઘણા પ્રશ્નો છે જે તેના વિકાસ આડે અંતરાયો ઊભા કરે છે . તેમની આ પછાતતા જ્ઞાતિ કે પેટા જ્ઞાતિની કસોટીના આધારે નક્કી ના કરી શકાય . આથી આ પછાતપણામાંથી વિકાસ તરફ ગતિ કરવા , સશક્તિકરણ કરવા , મૂળ રહેવાસીઓની ઓળખ , અસ્મિતા અને અસ્તિત્વ , પછાતપણાને લગતા પ્રશ્નો અંગે સમગ્ર વિશ્વ સભાન બને તથા આદિવાસીઓ પોતે સ્વમાનભેર જીવી શકે તે સામાજિક ન્યાય અને સમાનતાના સિદ્ધાંત પ્રમાણે આજના યુગની તાતી જરૂરિયાત છે . આદિવાસીની વ્યાખ્યા : આદિવાસીઓ ભારતના મૂળ રહેવાસી કે મૂળ વાસી તરીકે ઓળખાય છે , તેઓ આદિકાળથી જ ભારતમાં વસતા હોવાથી  આદિવાસીઓ  એવું નામ આપવામાં આવ્યું છે .

આજે ભારતની કુલ વસ્તીના 8 ટકા જેટલા આદિવાસીઓ ગણાય છે . જ્યારે ગુજરાતની કુલ વસ્તીના 15 ટકા જેટલા આદિવાસીઓ ગણાય છે . ભારતની કુલ જમીનના 19 ટકા જમીનમાં આ આદિવાસીઓ વસવાટ કરે છે , જેમાં ભિન્ન ભિન્ન જનજાતિઓના લગભગ પ00 સમુદાયો છે . ગુજરાતમાં આદિજાતિના આજે ઓગણત્રીસ વિવિધ સમુદાયો કે ઉપજાતિઓ વિકસેલી છે . હમણાં હમણાં દક્ષિણ ગુજરાતમાં વિકસેલો  સતિપતિ સમુદાય  આ રાષ્ટ્રના મૂળ રહેવાસી અને હક્કદાર હોવાનો દાવો કરે છે અને આ સમુદાયના લોકો વર્તમાન સરકારને માનવાનો ઇન્કાર કરે છે.

ગુજરાતમાં આદિવાસી વિસ્તાર તરીકે પૂર્વ પટ્ટીમાં અંબાજીથી ઉંમરગામ સુધીના વિસ્તારમાં , ઉત્તરમાં અરવલ્લીના પહાડો , પૂર્વમાં સાતપુડા અને વિધ્યની હારમાળા અને દક્ષિણમાં સહ્યાદ્રિની પર્વતમાળા એ આદિવાસીઓનું નિવાસસ્થાન છે  આદિવાસી અસ્તિત્વનું જોખમ : સમગ્ર વિશ્વની વિવિધ સંસ્કૃતિઓમાં વિશ્વના મૂળવાસી તરીકે આદિવાસી ગણાય છે . અન્ય જાતિ , કોમ કે ધર્મના લોકો અન્ય વિવિધ પ્રદેશોમાંથી આવીને વસ્યા છે અને ત્યાં તેઓએ પોતાનો વિકાસ કર્યો છે.

આજના સમયે ધાર્મિક – સાંસ્કૃતિક આક્રમણો , ઔદ્યોગીકરણ , વિવિધ તકો વિ . થકી આદિવાસીઓ તેની મૂળ સ્વરૂપની સંસ્કૃતિ અને આધુનિકીકરણ , શહેરીકરણ , પાશ્ચાત્યકરણ , સ્થળાંતર , વિકાસની વધતી જતી અસ્મિતાને ખોઈ બેસવા માંડ્યા છે . વિવિધ આદિવાસી સમુદાયોમાંથી કેટલીક જતો આજે નષ્ટપ્રાય પણ થવા માંડી છે . જેમાં એકલા મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજયમાંની પાંચ આદિવાસી જાતિઓ લુપ્ત થતી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.