Abtak Media Google News

આજે વસંત પંચમી છે.વસંત પંચમી હિંદુ ધર્મમાં ખૂબ મહિમા ધરાવતો દિવસ છે.વસંત પંચમીને જ્ઞાનપંચમી પણ કહેવામાં આવે છે. સંત પંચમી એટલે આનંદ ઉત્સાહનો દિવસ, આ દિવસે વૃક્ષ અને વનસ્પતિમાં નવચેતન ઉભરાય છે. ડાળીએ ડાળીએ નવજીવન રેડાય છે. વસંત પંચમીના દિવસે જીવનમાં રૂપ, રસ, રંગ અને સુગંધ છવાય છે.

વસંત પંચમીના દિવસે વિદ્યાના દેવી સરસ્વતી માતાજીનું પૂજન તથા વિષ્ણુ ભગવાનના પૂજનનો મહિમા રહેલો છે. વસંત ઋતુની કથા મુજબ હિમાલયમાં તપ કરતા શંકર ભગવાનનું તપોભંગ કરવા માટે કામદેવે વસંત ઋતુની મદદ લેવી પડી હતી. કથા પ્રમાણે ભગવાન રામચંદ્ર સીતાજીની ખોજમાં જાય છે ત્યારે શબરીને મળે છે અને ભગવાન શ્રી રામચંદ્રને શબરી બોર અર્પણ કરે છે તે ભગવાન આરોગે છે તે દિવસ પણ વસંત પંચમીનો દિવસ હતો.

આ દિવસે મા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે.મા સરસ્વતીને પીળા વસ્ત્રો,પીળા ફૂલ અને પીળી વસ્તુઓ ધરવામાં આવે છે.આ જગત ત્રણ વસ્તુથી ચાલે છે.બળ,બુદ્ધિ અને પૈસાથી.અર્થાત મસલ્સ પાવર,માઈન્ડ પાવર અને મની પાવર.આ ત્રણે વસ્તુના અધિષ્ઠાત્રી દેવી અનુક્રમે મા જગદંબા, મા સરસ્વતી અને મહાલક્ષ્મી છે.નવરાત્રી(આસો સુદ એકથી નોમ)દરમિયાન નવ દિવસ આપણે સૌ મા જગદંબાનું અનુષ્ઠાન અને વ્રત કરીને પૂજા અર્ચના કરીએ છીએ. તેવી જ ધનતેરસ (આસો વદ તેરસ)ના દિવસે અને દિવાળી(આસો વદ અમાસ)ના દિવસે આપણે મા લક્ષ્મીની પૂજા કરીએ છીએ.એ જ રીતે આવતીકાલે વસંત પંચમી(મહા સુદ પાંચમ)ના દિવસે આપણે એ મા શારદાની પૂજા કરીને જ્ઞાનની પૂજા કરવામાં આવે છે.

Whatsapp Image 2023 01 26 At 10.00.25 Am

વસંત પંચમીના દિવસે શું કરવું ??

વસંત પંચમીના દિવસે એકટાણું કરી અને સૌપ્રથમ વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું, ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવું અને પ્રસાદ સ્વરૂપે પોતે લેવું. વસંત પંચમીના દિવસે ખાસ કરીને જે અભ્યાસ કરે છે તેવા બાળકો અને યુવાનોને માતા સરસ્વતીનું પૂજન કરવું.

એક બાજોટ પર સફેદ વસ્ત્ર પાથરી તેના પર ચોખા અને સોપારી પધરાવી ત્યારબાદ માતાજીની છબી પધરાવવી, દીવો, અગરબતી કરી માતાજીને ચાંદલો-ચોખા કરવા અને ફૂલ અર્પણ કરવું. સાથે બાજુમાં જે અભ્યાસ કરતા હોય તે મુખ્ય પુસ્તક મુકી અને તે પુસ્તકને પણ ચાંદલો ચોખા કરી અને અબીલ-ગુલાલ અર્પણ કરવું.

મા સરસ્વતીનું પુજન કરવાથી વિધા બળ વધે છે. યાદ શકિત વધે છે. અભ્યાસમાં એકાગ્રતા આવે છે. ગુરુવારે વસંત પંચમીના દિવસે સવારે નિત્યકર્મ કરી અને ત્યાર પછી એક બાજોઠ અથવા પાટલા ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખાની ઢગલી કરી મા સરસ્વતીની છબી રાખવી. માતાજીને ચાંદલો ચોખા કરવા, દિવો અગરબતી કરવી. ત્યારબાદ આ મંત્રની માળા કરી. ૐ ઐ રીં કલીં મહાસરસ્વતી દેવ્યે નમઃ આ મંત્રની એક, ત્રણ કે પાંચ જેટલી માળા કરવી. ત્યારબાદ માતાજીને મીઠાઇ ધરાવી, આરતી કરવી અને ક્ષમાયાચના માંગવી. આમ પુજન કરવાથી વિદ્યાબળ મળે છે અને અભ્યાસમાં એકાગ્રતા આવે છે…. આ ઉપરાંત નીચે આપેલા કોઈપણ મંત્રના જપ પણ કરી શકાય છે

(૧)ૐ હ્રીં ઐ હ્રીં ૐ સરસ્વત્યૈ નમઃ

(૨) વદ-વદ વાગ્વાદિની સ્વાહા

(૩) ૐ ઐ નમ ભગવતી વદ વદ વાગ્દેવિ સ્વાહા

વસંત પંચમીના દિવસે વિષ્ણુ ભગવાન શ્રીકૃષ્ણ ભગવાનનું રાધાજી સહિત પુજન કરવું. મનોકામના સિદ્ધ કરનારૂ છે. જે લોકોના લગ્ન ન થતા હોય તો આ દિવસે રાધાકૃષ્ણનું પુજન કરી શ્રી કૃષ્ણ શરણં મમ ની એક માળા કરવી. લગ્ન યોગ થશે. શાસ્ત્રી રાજદીપ જોશી.. વેદાંત રત્ન

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.