- ગુજરાતમાં ‘1916’ હેલ્પલાઇનનો જળ ક્રાંતિમાં મોટો ફાળો
- ગ્રામજનોની 99% થી વધુ ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું છે
- ‘પાણીદાર ગુજરાત’ ના નિર્માણમાં આ સેવા એક મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
ગુજરાતના જળ વ્યવસ્થાપન અને ગુજરાતમાં થયેલી જળક્રાંતિએ રાજ્યના વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. એક સમયે પાણીની ભયંકર અછતનો સામનો કરતું ગુજરાત આજે દેશભરમાં પાણીદાર ગુજરાત તરીકે ઓળખાય છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પાણીનું નક્કર આયોજન કરીને રાજ્યના નગરિકોને પીવા માટે, ખેડૂતોને સિંચાઇ માટે અને ઉદ્યોગોને ઉત્પાદન માટે પર્યાપ્ત પાણી પુરૂં પાડ્યું છે.
ગુજરાતના નાગરિકોને પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતના શહેરી વિસ્તારોની સાથે જ ગ્રામીણ વિસ્તારોના પણ તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જોકે, પાણી પુરવઠા વિભાગે ફક્ત ગ્રામ્ય સ્તરે પાણી પહોંચાડીને જ સંતોષ નથી માન્યો, પરંતુ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે ટોલ ફ્રી નં. “1916” સેવા પણ ઉપલબ્ધ કરાવી છે. આ ટોલ ફ્રી નંબરની સેવાના કારણે રાજ્યના ગ્રામીણ વિસ્તારના લોકો સરળતાથી પીવાના પાણી બાબતની ફરિયાદ સરકાર સુધી પહોંચાડી શકે છે, અને તેનું નિરાકરણ પણ મેળવે છે. આ દરમિયાન ઉલ્લેખનીય છે કે આ ટોલ ફ્રી નં.1916 સેવા શરૂ થયેથી અત્યાર સુધીમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની પીવાના પાણી સંબંધિત 99% થી વધુ ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું છે.
કેવી રીતે કામ કરે છે ટોલ ફ્રી સેવા નં.1916
ગ્રામજનોને નડતી પીવાના પાણીની સમસ્યાઓની ફરિયાદ તેઓ ટોલ ફ્રી નં.1916 પર કરી શકે છે. તેમજ તેમના દ્વારા ફરિયાદ મળ્યા બાદ, સંબંધિત ફરિયાદ વિશે સિવિલ, મિકેનિકલ, વાસ્મો જેવા સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવે છે. ત્યારબાદ ફરિયાદકર્તાના નામ, ગામ, તાલુકો, જિલ્લો, મોબાઇલ નંબર અને ફરિયાદ અંગેની વિગતવાર માહિતી નોંધીને તેને ERP પોર્ટલ પર ઓનલાઇન કરવામાં આવે છે. ઓનલાઇન નોંધણી થયા પછી ફરિયાદીને ટેક્સ્ટ મેસેજ (SMS) અને ઇ-મેઇલ દ્વારા તેમની ફરિયાદનો નંબર આપવામાં આવે છે. ત્યારબાદ જે જિલ્લામાંથી ફરિયાદ આવી હોય, તેના સંબંધિત જવાબદાર વિભાગના સબ ડિવિઝન અધિકારીને ટેક્સ્ટ મેસેજ (SMS)અને ઇ-મેઇલ દ્વારા ફરિયાદની વિગતો જણાવવામાં આવે છે.
પાણીની સમસ્યામાં અધિકારીએ સ્થળ મુલાકાત પણ કરવાની રહેશે
જિલ્લા કક્ષાએ ફરિયાદ મેળવ્યા પછી, અધિકારી ફરિયાદની સ્થળની મુલાકાત લઇને 48 કલાકમાં ફરિયાદનું નિરાકરણ લાવે છે. એકવાર ફરિયાદનું નિરાકરણ થઈ જાય, પછી સંબંધિત અધિકારી દ્વારા ERPમાં તે ફરિયાદને રિસોલ્વ કરવામાં આવે છે. ત્યારબાદ ફરિયાદકર્તાને ટેક્સ્ટ મેસેજ (SMS) દ્વારા ફરિયાદનું નિવારણ થઈ ગયું હોવાની જાણ કરવામાં આવે છે. પાણી પુરવઠા વિભાગના કોલ સેન્ટર દ્વારા ફરિયાદીને ફોન કરીને ફરિયાદ નિવારણ માટે કરવામાં આવેલ કામગીરી અંગેનો ફીડબેક પણ લેવામાં આવે છે.
ટોલ ફ્રી નંબર 1916 પર કેવા પ્રકારની ફરિયાદો કરવામાં આવે છે?
ટોલ ફ્રી નંબર 1916 પર ગ્રામ્ય પેયજળ યોજનાને લગતી અનેક પ્રકારની ફરિયાદો નોંધવામાં આવે છે, જેમાં મુખ્યત્વે નીચે મુજબની ફરિયાદોનો સમાવેશ થાય છે:
- ગામમાં પીવાનું પાણી મળતું ન હોય.
- આંતરિક પાઈપલાઈનમાં લીકેજ હોય.
- બોરમાં ખરાબી હોય.
- પમ્પિંગ મશીનરીની મરામત જરૂરી હોય
- ઓપરેટર સતત ગેરહાજર રહેતો હોય.
- જૂથ યોજનાનું પાણી નિયમિત મળતું ન હોય.
- પાણી ચોરી અંગેની ફરિયાદ.
- પાણીની ગુણવત્તા અંગેની ફરિયાદ.
- મિની સ્કીમની મરામત અને સોલાર પેનલની મરામત.
- હેન્ડ પમ્પ રીપેરીંગ અંગેની ફરિયાદ.
આ પ્રકારની તમામ ફરિયાદોનું ટોલ ફ્રી નંબર 1916 દ્વારા ત્વરિત નિરાકરણ લાવવામાં આવે છે, જેનાથી ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળે છે અને સરકાર પ્રત્યે તેમનો વિશ્વાસ મજબૂત થાય છે. ‘પાણીદાર ગુજરાત’ ના નિર્માણમાં આ સેવા એક મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.