Abtak Media Google News

ગાય આડી ઉતરતા ચાલકે સ્ટીરીંગ પર થી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો: પરિવારમાં આક્રંદ

શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં અક્ષરનગર નજીક રહેતા અને ડ્રાઈવીંગનું કામકાજ કરતા રાજપુત યુવાન કારનું ભાડુ લઈ ગાંધીનગર ગયા બાદ ગાંધીનગરથી પરત ફરતી વેળાએ બેટીના પુલ પાસે ગાય આડી ઉતરતા યુવાને સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. કાર પલ્ટી ખાતા ગંભીર રીતે ઘવાયેલા કાર ચાલકનું મોત નિપજયું હતું. જયારે કારમાં બેઠેલા બે પેસેન્જરો ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરિવારના આધાર સ્થંભ રાજપૂત યુવાનના મોતથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં અક્ષરનગર પાસે રહેતા કેતનભાઈ મનસુખભાઈ ચૌહાણ નામના ૩૭ વર્ષીય યુવાન કારનું ભાડુ કરી ગાંધીનગર ગયા બાદ પરત રાજકોટ ફરતી વેળાએ બેટીના પુલ પાસે ગાય આડી ઉતરતા ગાયને બચાવવાની કોશિષ કરવા જતાં કાર પલ્ટી ગઈ હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત નિપજયું હતું. જયારે કારમાં બેઠેલા બે પેસેન્જરોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક કેતનભાઈ ચૌહાણ ડ્રાઈવીંગનું કામકાજ કરતા હોય અને પોતે ભાડુ બાંધી ગાંધીનગર ગયા બાદ ગત તા.૧૪મી માર્ચના ઘરે ફોન કરી પોતે રાતે ઘરે પહોંચી જશે તેમ જણાવ્યું હતું પરંતુ સાંજે ચાર વાગ્યાની આસપાસ કાર લઈ બેટીના પુલ પાસે હતા ત્યારે ગાય આડી ઉતરતા યુવાને ગાયને બચાવવા જતાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં ચાલક કેતનભાઈ ચૌહાણને ગંભીર ઈજા થતાં મોત નિપજયું હતું અને કારમાં બેઠેલા અન્ય બે પેસેન્જરો ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.